________________
ઉપશમનાકરણ સારસંગ્રહ
૩૦૧
વિચ્છેદ પછી ક્રમશઃ માનાદિ ત્રણનો, માનના ઉદયે શ્રેણિ માંડનારને માનના ઉદય વિચ્છેદ થયા પછી માયાદિ બેનો, અને માયાના ઉદયે શ્રેણિ માંડનારને માયાનો ઉદય વિચ્છેદ થયા પછી લોભનો ઉદય કયાંથી થાય ? કારણ કે ત્યાં તે તે પ્રકૃતિઓના ભોગથવા યોગ્ય દલિકોનો જ અભાવ છે...
સમાધાન-જેમ ક્ષપકશ્રેણિમાં જે જે કષાયના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થયેલ હોય તે તે કષાયનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ પછી પછીના કષાયના દલિકોને આકર્ષી અંતરકરણરૂપ ખાલી જગ્યામાં લાવી પોત પોતાના ઉદયકાળથી એક આવલિકા અધિક પ્રથમ સ્થિતિરૂપે બનાવીને ભોગવે છે. તેમ અહીં પણ ક્રોધનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ માનના, માનનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ માયાના. માયાનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીયસ્થિતિમાં રહેલ લોભના દલિકોને આકર્ષી પોતપોતાના ઉદયકાળ પ્રમાણથી એક આવલિકા અધિક ક્રમશઃ માન, માયા અને લોભની પ્રથમસ્થિતિ બનાવી ભોગવે છે. એજ પ્રમાણે માનના ઉદયે શ્રેણિ માંડનારને માનનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીયસ્થિતિમાં રહેલ માયાના અને માયાનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીય સ્થિતિમાં રહેલ લોભના દલિકોને આકર્ષી માયા અને લોભની પોત પોતાના ઉદયકાળ પ્રમાણથી એક આવલિકા અધિક પ્રથમસ્થિતિ બનાવે છે અને ભોગવે છે. એજ પ્રમાણે માયાના ઉદયે શ્રેણિ માંડનારને માયાનો ઉદય વિચ્છેદ થાય ત્યારે દ્વિતીયસ્થિતિમાં રહેલ લોભના દલિકોને આકર્ષી પ્રથમ નવમા ગુણસ્થાનકના બાકી રહેલ કાળ પ્રમાણથી એક આવલિકા અધિક લોભની પ્રથમ સ્થિતિ બનાવી ભોગવે છે માટે કોઈ જાતનો વિરોધ લાગતો નથી અને ઉપરોકત શંકાને પણ સ્થાન નથી.
ક્રોધના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન ક્રોધનો ઉદય હોય છે, માનના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન માનનો ઉદય હોય છે, માયાના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને
જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન માયાનો ઉદય હોય છે. અને સંજ્વલન લોભના ઉદયે શ્રેણિ ઉપર આરૂઢ થનારને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી એટલે કે નવમાં ગુણસ્થાનકના ચરમ સમય સુધી સંજ્વલન બાદર લોભનો ઉદય હોય છે. પછી દસમા ગુણસ્થાનકે સૂક્ષ્મ લોભનો ઉદય હોય છે.
જે સમયે અંતરકરણ કરવાની ક્રિયા સમાપ્ત થાય છે તેના પછીના સમયથી આ સાત પદાર્થો પ્રવર્તે.... (૧) હમણાં સુધી મોહનીયકર્મનો રસ સ્થિાનિક વગેરે બંધાતો હતો પરંતુ હવેથી એકસ્થાનિક બંધાય.
(૨) મોહનીયકર્મનો નવીન સ્થિતિબંધ સંખ્યાત વર્ષ પ્રમાણ અને ઉદય તથા ઉદીરણા પણ સંખ્યાત વર્ષ પ્રમાણ હોય.
(૩) હમણાં સુધી બધ્યમાન પ્રકૃતિઓની બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉદીરણા થતી હતી, પરંતુ હવે બધ્યમાન દરેક પ્રવૃતિઓની બંધ સમયથી છ આવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા થાય.
(૪) હમણાં સુધી મોહનીયકર્મની બધ્યમાન પુરુષવેદ અને સંજ્વલન કષાય ચતુષ્ક આ પાંચનો અરસપરસ સંક્રમ થતો હતો પરંતુ હવેથી પુરુષવેદનો સંક્રોધાદિ ચારમાં, સંક્રોધનો સંવમાનાદિ ત્રણમાં થાય પણ પુરુષવેદમાં ન થાય. સંમાનનો સમાયા અને લોભમાં થાય પરંતુ પુરુષવેદ અને સંજ્વલન ક્રોધમાં ન થાય, સંમાયાનો સંક્રમ સંલોભમાં થાય પરંતુ પુરુષવેદ તેમજ સંઇક્રોધ તથા માનમાં ન થાય તેથી સંલોભનો કોઈમાં સંક્રમ ન થાય,અર્થાતુ સંક્રમનો જ અભાવ થાય.
(૫) હવેથી મોહનીય કર્મનો નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ સંખ્યાતગુણહીન-હીન અર્થાત્ સંખ્યાતમા ભાગ પ્રમાણ થાય.
(૬) શેષ કર્મોનો નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધની અપેક્ષાએ અસંખ્યાતગુણહીન-હીન અર્થાત્ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય.
(૭) દ્વિતીયસ્થિતિગત નપુંસકવેદના દલિકોને ઉપશમાવવાની શરૂઆત થાય.
ત્યાં પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે. અને જે જે સમયે જેટલું જેટલું દલિક ઉપશમાવે છે તેની અપેક્ષાએ અસંખ્યાતગુણ પરપ્રકૃતિમાં સંક્રમાવે છે, એમ નપુંસકવેદ ઉપશમાવવાના દ્વિચરમ સમય સુધી સમજવું, પરંતુ ચરમ સમયે તો જે અન્ય પ્રકૃતિમાં સંક્રમે છે, તેના કરતાં અસંખ્યાતગુણ ઉપશમાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org