________________
જિનશાસનના સાતક્ષેત્રો ભક્તિ કરવા યોગ્ય જીવદયા-અનુકંપાના ક્ષેત્રો દયા કરવા યોગ્ય
જગતના સર્વ જીવો શાશ્વત, સંપૂર્ણ અને સ્વાધીન સુખને ઈચ્છે છે. છતાં નાશવંત, અપૂર્ણ અને પરાધીન એવા સંસારના સુખ પ્રત્યેની આસક્તિના કારણે અનાદિકાળથી દુ:ખ, દારિદ્રય અને દુર્ગતિમાં ભટકે છે. સંસારના તે નાશવંત સુખને પામવા માટે જ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન પરિગ્રહ વગેરે પાપો કરે છે. તે પાપનાં પરિણામે આવતાં દુઃખોથી બચવા સંસારના સુખની આસક્તિ તોડવી અનિવાર્ય છે. તે આસક્તિ તોડવાનું સામર્થ્ય એક માત્ર વીતરાગ પરમાત્માએ સ્થાપેલા જિનમૂર્તિ વગેરે સાતક્ષેત્રોમાં છે. આ સાતક્ષેત્રોના આલંબન, ભક્તિ અને પ્રભાવથી જીવો શાશ્વત સુખ અને પરમ શાંતિ પામી શકે છે, ઉત્તરોત્તર આત્મકલ્યાણ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે,
“સાત ક્ષેત્રો અનંત માતા-પિતા કરતા પણ અધિક ઉપકારી છે અને બહુમાનપૂર્વક ભક્તિ કરવા યોગ્ય છે.” .
દુઃખી પ્રત્યે દયા તથા દીન અનાથની અનુકંપા કરવાથી તે જીવોને અલ્પ સમય માટે શારીરિક-માનસિક દુઃખ મુક્ત કરી શકાય છે. જ્યારે સાત ક્ષેત્રોની ભક્તિથી અનંત જીવોના અનંતકાલીન સર્વ દુઃખો દૂર કરી શકાય છે. તેથી સર્વ પ્રકારે સાતે ક્ષેત્ર ભક્તિ કરવા યોગ્ય છે.
શરાબ (દારૂ) વિના તડપતા શરાબીને દયાભાવથી શરાબ પીવડાવવાથી અલ્પ કાલીન તડપન દૂર કી શકાય. પણ જો તેને શરાબની કુટેવથી મુક્ત કરવામાં આવે તો જ સાચો પરોપકાર કર્યો કહેવાય. તે જ રીતે દીન દુઃખીના દેખાતા દુઃખો દૂર કરવા તે જીવદયા-અનુકંપા છે. જ્યારે તે જીવોને સંસારના સુખની આસક્તિ તોડાવી ધર્મના માર્ગે વાળવા; તે સાચો પરોપકાર છે. આ કામ એક માત્ર સાત ક્ષેત્રો કરે છે.
સાત ક્ષેત્રોનું સ્થાન જીવદયા-અનુકંપા કરતા અનેકગણું ઉપર છે. તેથી સાત ક્ષેત્રની ભક્તિ નિમિત્તે આવેલ દ્રવ્યનો ઉપયોગ જીવદયા-અનુકંપામાં ન કરી શકાય. સમાજ સેવા, હોસ્પિટલ, કેમ્પ આદિના કાર્યોમાં તેનો ઉપયોગ કરવો તે ગાઢ કર્મબંધનું કારણ છે. જિનાજ્ઞાની વિરાધના છે. તે આપણે સૌએ હંમેશા યાદ રાખવું જોઈએ.
(24)