________________
વર્તમાનમાં સાધર્મિક વાત્સલ્ય દ્વારા સકળ શ્રીસંઘના પ્રત્યેક સાધર્મિકની એક સાથે ભક્તિ કરાવામાં આવે છે. તે બહુ ઉત્તમ કાર્ય છે, પરંતુ જો તેમાં પરમાત્માની આજ્ઞાનું પાલન ન હોય તો તે પાપબંધનું કારણ છે. સાધર્મિક વાત્સલ્યમાં પણ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત છે. ૧. સાધર્મિકને બહુમાનપૂર્વક બેસાડીને જ તેની ભક્તિ કરવી. ૨. અભક્ષ્ય વાનગીઓ ક્યારે પણ ન હોવી જોઈએ. ૩. રાત્રિભોજન કોઈ પણ હિસાબે ન થવું જોઈએ. ૪. થાળી ધોઈને પીવાનો-એઠું ન મૂકવાનો વિવેક જાળવવો જોઈએ.
શ્રી સંભવનાથ ભગવાને પૂર્વભવમાં ઉત્કૃષ્ટ સાધર્મિકભક્તિ દ્વારા તીર્થકર નામકર્મ બાંધ્યું હતું, તેથી સાધર્મિક ભક્તિનું સ્થાન જિનશાસનમાં અનેરું છે એમ કહી શકાય.
ધર્મશાસ્ત્રોના આઈનામાં જોઈ ગીતાર્થ ગુરુ ભગવંતોની દોરવણીમાં રહી સ્વ-સ્વ ભૂમિકાને ઉચિતપણે સાધર્મિક એવા શ્રાવક-શ્રાવિકાઓની ભક્તિ કરીને આપણે પણ ભવજલ તરીએ !