________________
જે ક્ષેત્રમાં જરૂરિયાત હોય ત્યાં નવા જિનમંદિરનું નિર્માણ કરવું. ભક્તિના આવા અનેક શાસ્ત્ર વિહિત માર્ગો છે.
જિનપ્રતિમા અને જિનમંદિરની આશાતના કોઈ પણ રીતે કે કોઈના પણ દ્વારા થતી હોય તો શક્તિ-પુણ્ય અનુસાર તે આશાતનાનું સ્વયં નિવારણ કરવું, બીજા પાસે કરાવવું. | જિનપ્રતિમા–જિનમંદિરની ભક્તિથી સમ્યદર્શન પામવું અને પરંપરાએ મુક્તિ મેળવવી એ તમારું-અમારું મુખ્ય અને અંતિમ ધ્યેય છે. દેવદ્રવ્યની રક્ષા દ્વારા જિનપ્રતિમાઓ તથા જિનાલયોનું રક્ષણ:
જગતના સર્વ જિનાલયોના જિર્ણોદ્ધાર અને તેમનું અસ્તિત્વ, દેવદ્રવ્યની આવક પર નિર્ભર કરે છે અને આ સર્વ જિનાલયો અને જિનબિંબોના અસ્તિત્વ પર જગતના સર્વજીવોનું આત્મકલ્યાણ તથા સદ્ગતિ નિર્ભર કરે છે માટે દેવદ્રવ્યની આવકની બાકી રહેતી રકમની વસુલાતમાં પ્રમાદ ન કરતાં કે તેની ઉપેક્ષા ન કરતા, દેવદ્રવ્યની સતતવૃદ્ધિ થાય તેવા શાસ્ત્રાનુસારી પ્રયત્નો કરવા જોઈએ.
દેવદ્રવ્યનું જાણે-અજાણ્યે થયેલું થોડું પણ ભક્ષણ તથા તેનો અનુચિત ઉપયોગ, તે શ્રી જિનેશ્વર ભગવંત તથા જગતના સર્વજીવો પ્રત્યે વિશ્વાસઘાત સમાન છે. તેથી દેવદ્રવ્યનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં પ્રાચીન જિનાલયો તથા પ્રતિમાઓના જિર્ણોદ્ધાર તથા નૂતન જિનબિંબ તથા જિનાલયોના નિર્માણ સિવાય ન થાય અને તેનો ઉચિત ઉપયોગ ત્વરિત થાય તેવી કાળજી લેવી.