________________
જીવનસાધના અને વિમળ વ્યક્તિત્વ
પ૩ “આચાર્યભગવાને (આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજે) એક કાળ, શાસ્ત્રના એક આદેશને ધ્યાનમાં લઈને, સાધ્વીઓના વ્યાખ્યાનનો અને કલ્પસૂત્રના વાચનનો નિષેધ કર્યો હતો. અને પછી, બદલાયેલી પરિસ્થિતિનો અને લાભાલાભનો તેમ જ સાધ્વીસમુદાયના વિકાસનો વિચાર કરીને, તેઓએ પોતે જ એની પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનું મહત્ત્વ સૌ કોઈએ આ દષ્ટિએ અવધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયજ્ઞતા એવી વિવેકભરી અને જાગૃત હતી કે, જો એમને એમ લાગ્યું હોત કે, સાધ્વીવર્ગને આવી છૂટ આપવાથી શાસનને નુકસાન થવાનો સંભવ છે, તો આ છૂટને પાછી ખેંચી લેતાં તેઓ ખમચાત નહીં. પણ તેઓએ આવું કોઈ પગલું ભર્યું ન હતું. એટલે આપણા સાધ્વીસંઘને શ્રાવકસંઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની તેમ જ એને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈનસંઘને લાભ જ થયો છે.” (“બે મહત્ત્વનાં પ્રવચનો', પૃ. ૭)
ધર્મને અને ધાર્મિકતાને વ્યાપક દૃષ્ટિએ સમજવાની જરૂરનું સૂચન કરતાં મહારાજશ્રીએ કહ્યું છે કે
આજે એ સમય આવી લાગ્યો છે, જયારે ધર્મમાત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિજ્ઞ મનુષ્યએ સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણા જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય, પોતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ પ્રમાણે, બાહ્ય ક્રિયાના વાઘા ગમે તેટલા નજરે દેખાય, પરંતુ સાચી ધાર્મિકતા તો મરી જ જશે. આજની આપણા સૌની જીવનચર્યાનો વિચાર કરવામાં આવે તો આપણને, કદાચ સાર્વત્રિક ન કહીએ તો પણ, આપણા મોટા ભાગની ધાર્મિકતા તો મરી ગયેલી જ દેખાશે. આનું મુખ્ય કારણ બીજું એકેય નથી પણ આપણે સૌએ સાંપ્રદાયિક અને સામુદાયિકતાના સંકુચિત અને અતિસંકુચિત કૂવામાં પડીને આપણી વિજ્ઞાનવૃત્તિ અને સમભાવનાના વિશાળ તત્ત્વને જીવનમાંથી ભૂલાવી દીધું છે, એ છે.” (જ્ઞાનાંજલિ, પૃ. ૧૭૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org