________________
જ્ઞાનોદ્ધારનું શકવર્તી કાર્ય
૨૩ કહેવા લાગતી ! પ્રત નાની હોય કે મોટી, સુરક્ષિત હોય કે જીર્ણ, અધૂરી હોય કે પૂરી-દરેકે દરેક પ્રતિનું મહારાજશ્રી પૂર્ણ ધ્યાનથી અવલોકન કરતા; અને, કોઈ ઝવેરી જેટલી ચીવટથી હીરાની પરખ કરે એટલી ચીવટથી, એનું મૂલ્યાંકન કરતા, મહારાજશ્રી ગ્રંથલેખનની અને ગ્રંથોની સાચવણીની પ્રાચીન તેમ જ અર્વાચીન પદ્ધતિથી તથા સામગ્રીથી તેમ જ આધુનિક વૈજ્ઞાનિક સાધનોથી પૂર્ણ પરિચિત હોવાને કારણે ક્યા જીર્ણ ગ્રંથના પુનરુદ્ધાર માટે કેવી માવજત કરવાની જરૂર છે તે તેઓ બરાબર જાણતા હતા. પ્રાચીન ગ્રંથોનાં એકસરખા માપનાં ભેળસેળ થઈ ગયેલાં પાનાંઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણતા ખરેખર અસાધારણ અને હેરત પમાડે એવી હતી. ચોંટીને રોટલો થઈ ગયેલી કંઈક પ્રતો એમના હાથે નવજીવન પામી હતી. પ્રતિઓના ઉદ્ધારના તેઓના આ કાર્યમાં માઇક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનો પણ સમાવેશ થતો. મતલબ કે જે રીતે બને તે રીતે તેઓ પ્રાચીન પ્રતોને સુરક્ષિત બનાવવાનું કાર્ય કરતા જ રહેતા.
ગ્રંથભંડારોનો ઉદ્ધાર-મહારાજશ્રી તથા એમના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલીતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તર સૂચિઓને મુદ્રિત પણ કરાવી આપી હતી. વળી, ક્યાંક ક્યાંક તો રેપરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરાવી કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા હતા. આ માટે તેમણે જે જહેમત ઉઠાવી અને જે કષ્ટસાધ્ય વિહારો કર્યા, તે બીના શ્રુતરક્ષાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ રહે એવી છે. તેમાંય જેસલમેરના ભંડારોની સાચવણી માટે સોળ-સોળ મહિના સુધી તેઓએ જે તપ કર્યું હતું અને કષ્ટ ઉઠાવ્યું હતું, એનો ઇતિહાસ તો જેવો પ્રેરક છે એવો જ રોમાંચક છે. આ કાર્યમાં જેમ અનેક મુશ્કેલીઓ આવી તેમ એમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org