SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ ફરિયાદને આધારે ન્યાય તોળાય છે – એવા વ્યક્તિગત અપરાધો કે જેની સામે ફરિયાદ કરવાની હિંમત – સામાન્ય માણસ કરી શકે એમ છે. એવા અપરાધો સામાન્ય રીતે તો સામાજિક પ્રકૃતિ ધરાવતા મનુષ્યના સામાન્ય દોષો પર આધારિત છે. જ્યારે કંટકરૂપ વ્યક્તિના અપરાધો તો તીવ્ર દ્વેષ પર આધારિત, હિંસક અને ભયોત્પાદક હોઈ સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિજૂથો એની સામે ફરિયાદ કરવા હામ ભીડી શકતાં નથી; એવા અપરાધોને તો રાજ્યતંત્રે પોતાની સ્વયંભૂ, પાયાની ફરજ તરીકે જ, પોતાના સર્વથા સજ્જ એવા ગુપ્તચરતંત્ર દ્વારા જાણીને પોતાના અભિક્રમથી (suo moto) કાબૂમાં રાખવાના હોય છે. એમાં કાયદેસર કાર્યવાહી ચાલુ ન્યાયાધીશો (ધર્મસ્થો) નથી ચલાવતા, પણ સમાહર્તા, પ્રદેષ્ટા, ગોપ, સ્થાનિક વગેરે ઉચ્ચતર બુદ્ધિ, કૌશલ, શીઘ્રતા, સત્તા અને આત્મબળ ધરાવતા વહીવટી અને સુરક્ષાકારી અધિકારીઓના સંકુલ પ્રયત્ન દ્વારા યુદ્ધ-ધોરણે હાથ ધરાય છે, અને જરૂર પડ્યે રાજા પોતે પણ પોતાના અસાધારણ અભિક્રમ (પહેલ) દ્વારા ઉકેલ આણે છે. આજની પરિભાષા મુજબ ત્રીજું અધિકરણ એકંદરે ‘દીવાની’ (civil) અપરાધો ચર્ચે છે, ચોથું અધિકરણ ‘ફોજદારી’ (criminal) અપરાધો નિરૂપે છે. ૨૯ રાજ્યનાં કાંટારૂપ ઘટકો અંગેની કૌટિલ્યની ગણના પણ વિશિષ્ટ છે. અર્થતંત્રમાં કપટી કારીગરો અને વેપારીઓ, વહીવટી તંત્રમાં નાના-મોટા પ્રજાહિતભક્ષક અધિકારીઓ, ખુદ ભ્રષ્ટ ન્યાયાધીશો, ગુપ્તપણે હીનતમ અસામાજિક વહેવારોથી સંપત્તિ બનાવનારાં અસામાજિક તત્ત્વો, ધોરી માર્ગો પર પ્રવૃત્ત ધાડપાડુઓ, બળાત્કારી કામુકો – આ બધા છે રાષ્ટ્રકંટકો, જે સમાજ પર અસાધારણ ત્રાસ અને સંકટો પ્રવર્તાવી આખા રાષ્ટ્રજીવનને તેમ જ રાજ્યતંત્રને પણ અસહ્ય જફા પહોંચાડે છે. વળી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પાકભક્ષી પક્ષીઓ, ઉંદરો, અગ્નિ, જળપૂર, મારક ચેપી રોગો, હિંસક પ્રાણીઓ વગેરે ઝડપથી વ્યાપીને વ્યાપક વિનાશ વેરનારી પ્રાકૃતિક આપત્તિઓ (૩પનિપાત) પણ રાષ્ટ્રકંટકરૂપ ગણાવાઈ છે. આ સૂચવે છે કે પ્રાકૃતિક આપત્તિઓનું સમર્થ નિયમન-તંત્ર (Disaster-Management) પણ રાજ્યતંત્ર સામેનો એક મહા-કસોટીરૂપ પડકાર છે – મનુષ્યની અસાધારણ હામ, નવાં-નવાં સાધનો ઊભાં કરવાની કોઠાસૂઝ (resourcefulness), ખુવારીઓ વચ્ચે પ્રજાના ધૈર્યને ટકાવી રાખે તેવું ધીરવત્સલ નેતૃત્વ, નિર્ભય સમર્પણવૃત્તિ, અતૂટ રાષ્ટ્રભક્તિ ઇત્યાદિ મહાગુણોને નિમંત્રણ. ઉપર્યુક્ત વિવિધ કંટકોનું ‘શોધન’ એટલે કે તેમને દૂર કરવાનું કામ જુદા-જુદા અધ્યાયોમાં વિગતે નિરૂપાયું છે. આ ઉપરાંત આ પ્રકારનાં ગુનેગારો કે તત્ત્વો સામે કેવી-કેવી રીતે પ્રસંગ પાડવો તે પણ પ્રકરણવાર બતાવાયું છે. આવાં તત્ત્વોને પકડવા માટે માર્ગદર્શક બનતાં બાહ્ય લક્ષણો, શંકાસ્પદ રીતે મરેલી વ્યક્તિની મરણોત્તર શારીરિક (Post-Mortem) તપાસ, ગુનેગારની ઘનિષ્ઠ ઊલટતપાસ, આવશ્યકતાનુસાર સંયમપૂર્વકના શારીરિક પીડનપ્રકારો દ્વારા ગુનેગારો પાસે ગુનો કબૂલાવવાની કામગીરી – આવાં વિવિધ પાસાંઓનું અનુભવાશ્રિત સ્પષ્ટ નિરૂપણ કરાયું છે. વળી કૌટિલ્ય વ્યક્તિગત રીતે કેટલા જાગૃત અને વિચારશીલ છે તે એ પરથી જણાય છે કે આવા ગુનાઓની સજાઓમાં કે ઉપર નિર્દેશેલી ગુના સિદ્ધ કરવાની કે કબૂલાવવાની પદ્ધતિઓમાં અમાનુષી અતિરેકો ટાળવા માટે નરવા કે મધ્યમસરના વિકલ્પો પણ ઠેર-ઠેર સૂચવાયા છે – ભલે, સંજોગોવશાત્ તેમાં કૌટિલ્યનું પાયાની ક્રાંતિ ક૨વાનું વલણ કોઈને ન દેખાતું હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy