SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ દોષોનું સેવન કરનાર દરેક વ્યક્તિના મનમાં ઊંડે ઊંડે ક્ષોભ, અથવા તો પોતે અસહાયપણે (ગીતાવચન મુજબ ઃ નજીગ્ન પ – અનિચ્છાએ પણ) ખોટું કરી રહી છે એવું ભાન પ્રાય: હોય જ છે. એથી જ દોષોનું સેવન પ્રાયઃ ગુપ્તપણે થતું હોય છે – પ્રજાજન દ્વારા યા રાજસેવક દ્વારા. (આ પણ સંસ્કૃતિનું એક સુફળ ગણાય !) પોતાના દોષને આમ ઢાંકવાનું વલણ, એવા દોષોમાંથી છૂટવાની મનુષ્યની સુષુપ્ત ઝંખનાનું સૂચક છે. આ વસ્તુસ્થિતિના અન્વયે જ કોઈ પણ સંસ્કૃતિનિષ્ઠ રાજનીતિનો પ્રયત્ન આવા દોષો ઉઘાડા પાડી, એને વિવેકી રીતે દંડીને, સરવાળે જે-તે વ્યક્તિનો સગુણ તરફનો માર્ગ સાફ અને વિજ્ઞાહિત કરવાનો જ હોય. અકાર્યની આ માંહ્યલામાં પડેલી લજ્જા જ માણસને જગાડી તેને સંસ્કૃતિના રાજમાર્ગ પર સ્થાપવાની અનુકૂળ ભૂમિકા બની રહે છે. અહીં એ પણ ચીંધવું જોઈએ કે સમાજમાં, હજી પોતાના જીવનમાં આવો સંસ્કૃતિનો સૂર્યોદય ન થયો હોય એવી વ્યકિતઓ પણ ઠેર-ઠેર જોવામાં આવે છે. એ, સમાજને તો શું, પ્રાયઃ પોતાના પરિવારને ય શત્રુ ગણતી હોય છે. કુકર્મ એનો સ્વભાવ બની રહે છે. એવાનો વિશિષ્ટપણે નિગ્રહ પણ રાજયતંત્રનું કર્તવ્ય ગણાય. મનુષ્યત્વની ઉત્ક્રાન્તિ અને લલિત ખિલવટમાં અપૂર્વ ભાગ ભજવવાની અપાર ક્ષમતાવાળા જગદ્રવ્યાપી વિવિધ ધર્મો, સવૃત્તિઓને સતત જીવંત અને મનોહર એવા નવા-નવા આકારે જનહૃદયમાં સીંચનારા, વિવિધ દેશ અને કાળમાં પાકતા રહેતા સંતોના પ્રેમપ્રધાન માધ્યમથી, માનવજીવનમાં દિવ્યતા સીંચી વ્યક્તિઓને પણ પરસ્પરાભિમુખ કરી ચૂપચાપ દિવ્ય સમાજના ઉદયનો યજ્ઞ કરી રહ્યા છે. એમાં ય પૂર્વના દેશોમાં ભારતભૂમિ નિર્વિવાદ રીતે બડભાગી ગણાઈ છે. એ ધર્મોએ કેવો ઉચ્ચ માનવસમાજ કંડારી આપ્યો છે તેની સાચી ઝલક પૂર્વગ્રહમુક્ત ચિત્તે પ્રકૃતિના પૂજક-સંરક્ષક બનીને પ્રકૃતિ વચ્ચે જીવતા જનપદવાસીઓમાં ને એમના એકંદરે સહયોગી સમાજમાં મળ્યા વગર ન રહે. આ ધિંગા સત્યને લીધે જ, કૌટિલ્ય બહુ જ ઊંચી સૂઝ-સમજથી, રાજયનાં ઘટકોમાં જનપદને, નિયામક ચૈતન્યના પ્રતીકરૂપ રાજા અને મંત્રીરૂપ બે સર્વોપકારક ઘટકો બાદ તરતનું સ્થાન, એના મહિમાને કારણે, એની અનંત ઉપકારકતાને કારણે આપ્યું છે. જનપદસમાજમાં જ્ઞાન-ભક્તિ-કર્મની ત્રિવેણીનો અપૂર્વ સંગમ, સહજપણે સમતોલ રૂપે થયેલો અનુભવી શકાય છે. તો ઉપર બતાવેલા રાષ્ટ્રવ્યાપી દોષોના નિયમનના અને શમનના કાર્યમાં રાજયતંત્રને સાથ આપવા માટે સજ્જ એવું ચુનંદું ચૈતન્યબળ જનપદમાં વ્યાપકપણે અને વિપુલ માત્રામાં પડેલું છે. (એ માટે પરદેશના જ્ઞાનને કે પરદેશીઓને, માત્ર તેનાથી ઉપરછલ્લી રીતે અંજાઈને, સ્વરાષ્ટ્ર પર ઠોકી બેસાડવાની જરૂર ઊભી થતી નથી.) ઉપર્યુક્ત રાષ્ટ્રવ્યાપી દોષોના અધિકૃત જ્ઞાન માટે આવાં, સૃષ્ટિ અને સમાજ તરફ જ્ઞાનપૂર્ણ ભક્તિ ધરાવતાં જાનપદ (જનપદવાસી) નરનારીઓને પ્રેમાદર સાથે રાજસેવક બનવા નોતરી, તેમને ગુપ્તચર્યા દ્વારા રાષ્ટ્રના ખૂણે-ખૂણે પડેલા દોષો ઉઘાડા પાડવાના પાયાના કામમાં સ્થાયી રૂપે જોતરવા તે દૃષ્ટિસંપન્ન રાજ્યતંત્રની ફરજ બની રહે છે. વળી આવું સ્વદેશી પ્રજાકીય ગુપ્તચરતંત્ર રાષ્ટ્રની દોષશોધનપ્રક્રિયામાં એકંદરે મોટા ભાગની નવી પ્રજાનો પણ ટેકો અને સાથ અવશ્ય પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy