SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અનિચ્છનીય - તેનાથી ગ્રામ-સ્વાવલંબનની સિદ્ધિ મુશ્કેલ બને છે. એ દૃષ્ટિએ કૌટિલ્યે વસ્તીસમતુલા માટે સામ-સામા બે વૈકલ્પિક વહીવટી પગલાંની એક પરંપરા પોતાના અનુમોદન (ટેકા) સાથે ઉલ્લેખી છે : (૧) જો કોઈ ગામની કે ગ્રામસમૂહની વસ્તી ઓછી હોય તો કાં તો સ્વરાષ્ટ્રના ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાંથી, કાં તો અન્ય રાષ્ટ્રમાંથી (પ્રાયઃ મિત્રરાષ્ટ્રમાંથી) પ્રમાણસરની વધારે વસ્તીને આકર્ષીને (અપવહનેન) વસાવવી. (અન્ય રાષ્ટ્રમાંથી સુધ્ધાં વધારાની વસ્તીને અકર્ષવાના વિકલ્પનો ઉલ્લેખ એ બતાવે છે કે કૌટિલ્યને મન વિદેશ-નીતિ પણ છેવટે તો, જ્યાં-જ્યારે શક્ય હોય ત્યાં-ત્યારે, રચનાત્મક સહયોગ, બરાબરીભર્યા પરસ્પરાવલંબન અને સાંસ્કૃતિક વિકાસ દ્વારા જ સાર્થક બને છે.) (૨) એથી ઊલટું, જો કોઈ ગામ કે ગ્રામસમૂહમાં વસ્તી વધુ ગીચ હોય તો થયેલા ભરાવા(મિક્ષન્દ્ર)ના, અન્ય અનુકૂળ (ઓછી વસ્તીવાળા) સ્વરાષ્ટ્રના કે પરરાષ્ટ્રના પ્રદેશમાં સ્થાનાંતર (વમન) દ્વારા વસ્તીની સમતુલા સ્થાપવી. રાષ્ટ્રના વિવિધ પ્રદેશોના વસ્તીપ્રમાણનું આમ વિવિધ સ્તરે દીર્ઘદષ્ટિપૂર્વક કરાતું નિયમન પ્રજાની અને અર્થતંત્રની એમ બંનેની સુખશાંતિનું નિમિત્ત બની રહે. કૌટિલ્યે રજૂ કરેલું આ સૂચન કોઈને વિવાદાસ્પદ લાગે તો ય રસપ્રદ જરૂર છે અને પ્રજાની પૂરેપૂરી અનુકૂળતા જળવાય તેમ અમલ કરવા યોગ્ય પણ લાગે છે. અમેરિકામાં એક વર્ષો-જૂનું વિચારમંડળ છે, જે શહેરો મધ્યમ વસ્તીપ્રમાણવાળાં રહે તેને અત્યંત આવશ્યક માને છે અને તે માટેના વહીવટી આયોજનમાં રાજ્યતંત્રે સક્રિય થવું જોઈએ એમ પણ માને છે. સંસ્કૃતિ-વિકાસ માટે, આ પ્રાચીન અને અર્વાચીન સમાન સમજણ ખૂબ જ પાયાનું મહત્ત્વ ધરાવે છે. એના અમલમાં આડે આવે છે કહેવાતું ‘આધુનિક' આસુરી, અવળું અર્થતંત્ર — જે અવિચારે આત્મઘાત તરફ ઊંધું ઘાલીને દોડી રહ્યું છે. ૧૯૬ પ્રત્યેક વહીવટક્ષમ પ્રદેશઘટક(ગ્રામજૂથ)ના મહેસૂલી અને વહીવટી નિયમન માટે અને પૂરક વ્યાપારી સુવિધા માટે અમુક મસંખ્યાના ઘટક દીઠ નાનાં-મોટાં નગરો કે કસ્બાઓની આવી યોજના સૂચવાઈ છે ઃ દશ ગામના ઘટક માટે ‘સંગ્રહણ’ તરીકે ઓળખાતું મથક, બસો ગામે ‘ખાર્વટિક’, ચાર-સો ગામ વચ્ચે ‘દ્રોણમુખ’ અને આઠસો ગામ વચ્ચે ‘સ્થાનીય’ એવાં ક્રમશઃ વધુ મોટાં અને આવાં પ્રકારનામોથી જુદાં તરી આવે તેવાં મથકો (નગરોરૂપ વેપારી-વહીવટી ધામો). આમાંનું છેલ્લું સ્થાનીય તે દુર્ગરૂપ એટલે કે રાજધાનીરૂપ નગર હોવાનું જણાય છે. જો એમ હોય તો કૌટિલ્યની દષ્ટિએ રાષ્ટ્રો બહુ વિશાળ ન હોય તે જ ઇષ્ટ સ્થિતિ ગણાય. (બ્રિટિશ ઉદ્યોગકાર શુમાખરે પ્રચલિત કરેલો Small is Beautifulનો વિચાર !) રાજ્ય-હસ્તકનાં ન્યાયાલયો પણ આવાં મથકોએ હોવાના અણસાર મળે છે. આવાં મથકો તળ ગામો અને રાજ્યતંત્ર વચ્ચેની જીવંત આપ-લે માટે કડીરૂપ બની રહે. કૃષિપ્રધાન ગામોના આયોજનના જ ભાગરૂપે દરેક ગામ માટે એક કે બે ક્રોશ (કોસ) લાંબી સીમનું ધોરણ સૂચવાયું છે. એ સીમમાં ગામના પરિવારોનાં ખેતરો, ઉપરાંત ગોચર-વિભાગો તેમ જ એનુકૂળતા મુજબ વન ઉપવનના ઉછેરનો પણ સમાવેશ થાય છે. સર્વ જીવોના વિકાસને અનુકૂળ કેવું સુંદર, સુસ્થિર આયોજન ! નિસર્ગ-ખોળે સહયોગપ્રધાન માનવજીવન ! બે ગામ વચ્ચેની સીમ પણ પ્રાકૃતિક નદી, પર્વત, વન, સેતુ, ગુફા કે કોઈ વિશિષ્ટ મહાવૃક્ષરૂપ ! Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy