________________
૨૫૮
આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ ઈષ્ટસંતાનનો અવિચ્છેદ થાય છે; કેમ કે પ્રથમ વાર વિધિપૂર્વક ક્રિયા કરી ત્યારે તેનાથી શુભ પ્રકૃતિરૂપ પુણ્યબંધ થયો હતો અને અશુભ પ્રકૃતિરૂપ પાપનો ક્ષય થયો હતો, જે પુણ્યબંધના કારણે તે સાધુને પૂર્વની જેમ વિધિપૂર્વક ક્રિયા કરવામાં સહાયક બને તેવી બધી સામગ્રી મળે છે, અને તે ક્રિયાને સમ્યક્ કરવામાં પ્રતિબંધક એવા પાપકર્મનું વિગમન થયેલું હોવાથી તે ક્રિયા અવશ્ય સમ્યગ્ નિષ્પન્ન થાય છે. તેથી શાસ્ત્રવચનાનુસારી ક્રિયાના સંતાનનો અવિચ્છેદ થાય છે. તેથી મોક્ષની પ્રાપ્તિ સુધી આ રીતે શુભ ક્રિયાના સંતાનનો અવિચ્છેદ મુનિને થાય છે.
‘અયં ભાવ ..... પ્રાપ્તિઃ ।’ પૂર્વના કથનનો આ પ્રકારનો ભાવ છે – કોઈ સાધુ વિધિપૂર્વક સંયમયોગની પ્રવૃત્તિ કરે તેનાથી તેને પુણ્યપ્રકૃતિનો બંધ થાય છે અને તેનો અબાધાકાળ પૂરો થાય ત્યારે તે પુણ્યપ્રકૃતિની જેટલા કાળની સ્થિતિ હોય તેને અનુરૂપ સુખસંતાનને આપે છે. વળી, વિધિપૂર્વક પ્રવૃત્તિ કરવાને કારણે પાપક્ષય થયેલ હોવાથી તે સુખ અસુખથી અસંવલિત હોય છે.
આશય એ છે કે, પાપપ્રકૃતિના કારણે દુઃખ પેદા થાય છે અને પુણ્યપ્રકૃતિના કારણે સુખસંતાન પેદા થાય છે. જ્યારે સાધુ વિધિપૂર્વક સંયમની ક્રિયા કરે ત્યારે તેનાથી બંધાયેલું પુણ્ય તેનો અબાધાકાળ પૂર્ણ થતાં તેની કાળમર્યાદા પ્રમાણે સુખને આપે છે, અને તે પુણ્યપ્રકૃતિના ઉદયકાળમાં અસુખને પેદા કરે તેવું પાપ નહીં હોવાથી દુ:ખ વગરનું કેવળ સુખસંતાન પ્રવર્તે છે, તેથી કરીને સુખસંતાનનો અવિચ્છેદ થાય છે.
અહીં સાધુને સંયમયોગની પ્રવૃત્તિથી કેવા પ્રકારનો પુણ્યબંધ અને કેવા પ્રકારના પાપનો ક્ષય થવાથી સુખસંતાન ચાલે છે, તે બતાવવા માટે જ કહે છે કે, પૂર્વમાં સાધ્વાચારની ક્રિયા વિધિપૂર્વક કરેલી હોવાના કારણે લઘુકર્મવાળા એવા આ જીવને (૧) અન્ય ભવમાં મનુષ્યભવની પ્રાપ્તિરૂપ સુગતિ મળે છે, જે પુણ્યપ્રકૃતિના ફળરૂપ સુખસંતાન સ્વરૂપ છે; અને (૨) વિધિપૂર્વકની કરેલી ક્રિયાથી પાપક્ષય થયેલ હોવાથી ધર્માચાર્યના ચરણકમલમાં ભ્રમરની જેમ સમર્પિત થઈને તેમની આજ્ઞા અનુસારે પ્રવૃત્તિ કરે છે, તેથી બીજા ભવમાં પણ શાસ્ત્રોનું જ્ઞાન-વિજ્ઞાનાદિરૂપ શ્રવણાદિ ક્રમથી પૂર્વના કરતાં સંયમની ક્રિયા વિશેષ રીતે દૃઢતાપૂર્વક થાય છે. તેથી વિઘ્ન કરાવનાર પાપપ્રકૃતિ ઉદયમાં નહીં હોવાને કારણે કોઈ જાતના ક્લેશ વિના મનુષ્યભવ સફળ થાય એ રીતે તે આરાધના કરી શકે છે અને તેના ફળરૂપે સર્વ પ્રયોજનના ઉપનિષદ્ભૂત એવા મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે.
મુનિની ઉચિત પ્રવૃત્તિથી થતા પુણ્યબંધ અને પાપક્ષયથી થતા સુખસંતાનનો સારાંશ :
સાધુ જ્યારે શાસ્ત્રવિધિપૂર્વક સંયમયોગની પ્રવૃત્તિ કરે છે, ત્યારે ભગવાનના વચનનો રાગ અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિઓમાં વર્તતો પ્રશસ્તરાગ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરાવે છે અને ક્રિયામાં વર્તતો અપ્રમાદભાવ પાપક્ષયરૂપ નિર્જરા કરાવે છે. આ બંનેના ફળરૂપે ક્રમશઃ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે આ રીતે –
–
સતિઓની પરંપરા → ધર્માચાર્યનો સંગ → આજ્ઞાનુસારે પ્રવૃત્તિ ને અન્ય ભવમાં જ્ઞાનવિજ્ઞાનાદિરૂપ શાસ્ત્રશ્રવણ, પ્રત્યાખ્યાન અને સંયમરૂપ પાપરહિત ભાવ,તપરૂપ વ્યવદાન, અક્રિયાની પ્રાપ્તિ અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org