________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૨/ગાથા-૧૨-૧૩
ભાવાર્થ :
શ્રાવક સર્વવિરતિના અત્યંત અર્થી હોય છે તેથી સર્વવિરતિના પાલન કરનારા એવા ગુણવાના ગુરુ પ્રત્યે અત્યંત ભક્તિવાળા હોય છે અને તે ભક્તિને કારણે તેઓ ચાર પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે.
૧. સેવના : ઉચિત અવસરે તે રીતે ગુરુની સેવા કરે છે જેનાથી ગુરુના ધ્યાનયોગમાં વિઘ્ન થાય નહિ. આશય એ છે કે ગુણવાન ગુરુ સદા મોક્ષ સાધક યોગોને સેવનારા હોય છે અને તેઓના મોક્ષ સાધક યોગોમાં વ્યાઘાત ન થાય તે રીતે તેમની સેવા કરે છે, જેથી દેહની અનુકૂળતાના બળથી ગુરુ વિશેષ પ્રકારે આરાધના કરી શકે અને તેમાં પોતે નિમિત્ત થાય જેથી પોતાને પણ સંયમની શીધ્ર પ્રાપ્તિ થાય. તે ગુરુસેવીનો સેવનારૂપ ભેદ છે.
૨. કારણ : વળી, શ્રાવક બીજાને પણ ગુરુના ગુણો કહે અને યોગ્ય જીવોને ગુરુની ભક્તિમાં પ્રવર્તાવે તે ગુરુસેવીનો કારણરૂપ બીજો ભેદ છે.
૩. સમ્પાદન : વળી, શ્રાવક પોતાની શક્તિ અનુસાર ગુરુને ઔષધ વગેરેનું દાન કરે અને બીજાને પણ તે પ્રકારે દાન કરવા પ્રેરણા કરે, જેથી ગુરુનું આરોગ્ય વગેરે સુંદર રહે તે ગુરુસેવીનો સમ્પાદનરૂપ ત્રીજો ભેદ છે.
૪. ભાવન : વળી, ગુરુના અભિપ્રાયને જાણીને તે પ્રમાણે સર્વ પ્રવૃત્તિ કરે તે ગુરુસેવીનો ભાવના નામનો ચોથો ભેદ છે. આશય એ છે કે શિષ્ય હંમેશા મોક્ષના ઉપાય સેવે તેવા આશયવાળા ગુરુ હોય છે તેથી શિષ્યની યોગ્યતા અનુસાર કે ગુરુને સમર્પિત એવા શ્રાવકની યોગ્યતા અનુસાર તે પ્રકારની પ્રવૃત્તિ કરવાના આશયથી શિષ્ય કે શ્રાવકને દરેક કથનો કરે છે અને તે પ્રકારની પ્રવૃત્તિ કરવાથી શિષ્યને કે સમર્પિત એવા શ્રાવકને નિર્જરાની પ્રાપ્તિ થાય અને શીધ્ર સંસારના પારને પામે. વળી, ગુરુસેવી ગુણવાળા શ્રાવક હંમેશા ગુરુ જે જે કંઈ કૃત્યો કરવાના કહે તે કૃત્ય માત્ર બાહ્યથી સંપાદન ન કરે પરંતુ ગુરુનો પારમાર્થિક અભિપ્રાય શું છે તેને જાણીને તે તે પ્રમાણે તે કૃત્ય સંપાદન કરે જે ગુરુસેવીનો ગુરુના ભાવને અનુસરનાર ‘ભાવના' નામનો ચોથો ભેદ છે. ll૧૨-૧૩ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org