________________
પ૧
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૯ ભાવાર્થ -
શરીરમાં રોગ ઉત્પન્ન થાય અને તે રોગ સામાન્ય હોય તો શરીરધારીને પીડાનું કારણ બને છે અને જો તે રોગ શીધ્ર ઘાતી હોય તો તે શરીરધારીને મૃત્યુનું કારણ બને છે. તેથી રોગના બે કાર્ય છે એક પીડા અને બીજું વિનાશ. તેમ ધર્મની ક્રિયામાં પણ રોગદોષના બે કાર્યો છે, એક પીડા અને બીજું વિનાશ અર્થાત્ ભંગ. જે મહાત્માને આત્મકલ્યાણની ઇચ્છા હોય છતાં વીતરાગે બતાવેલું આ અનુષ્ઠાન કયા પ્રકારે સમ્યગૂ સેવવાથી ભાવઆરોગ્યનું કારણ બને તેનો બોધ ન હોય તેવા જીવો રોગ મટાડવા સ્થાનીય ક્રિયારૂપ ઔષધનું સેવન કરે તો, જેમ સમજણ વગર સેવાયેલું ઔષધ દેહમાં રોગ કરે છે તેમ સમજણ વગર સેવાયેલું ક્રિયારૂપ ઔષધ આત્મામાં રોગ ઉત્પન્ન કરે છે અર્થાત્ ભાવરોગ નાશ કરવાને બદલે અન્ય પ્રકારના ભાવરોગ ઉત્પન્ન કરે છે અને તે રોગને કારણે તે મહાત્મા રોગથી પીડાય છે તેથી તે ક્રિયામાં રોગદોષની પ્રાપ્તિ થાય છે. વળી, તે રોગદોષ સામાન્ય કક્ષાનો હોય તો તે ક્રિયા દ્વારા મોહના ભાવો કરી તે મહાત્મા પીડાનો અનુભવ કરે છે અને વિશેષ પ્રકારનો રોગ હોય તો તે ક્રિયાના વિનાશનું કારણ બને છે અર્થાત્ તે ક્રિયા અલ્પ દોષને કારણે સર્વથા વિનાશ પામતી નથી પરંતુ ભંગ દોષને કારણે સર્વથા નિષ્ફળ બને છે. તેથી તે રોગદોષથી કરાયેલી ક્રિયામાં શુદ્ધ ક્રિયાનો ઉચ્છેદ થાય છે. માટે શુદ્ધ ક્રિયાના સેવનથી જે ફળ પ્રાપ્ત થવું જોઈએ તે ફળ તે ક્રિયાથી પ્રાપ્ત થતું નથી. ફક્ત પીડાકારી એવા રોગ હોય તો શુદ્ધ ક્રિયાના ફળની પ્રાપ્તિ થતી નથી તોપણ તે અશુદ્ધ ક્રિયા કંઈક શુભફળ આપે છે; પરંતુ ભંગરૂપ રોગ દોષવાળી ક્રિયા કોઈ શુભફળ આપતી નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે કોઈ સાધક આત્મા ક્રિયામાં ખેદ-ઉદ્વેગાદિ અન્ય દોષો ન સેવતા હોય અને ચિત્ત પણ ક્રિયામાં વર્તતું હોય, પરંતુ જે ક્રિયાનો પોતે સ્વીકાર કરે છે તે ક્રિયા ભગવાને કઈ રીતે બાહ્યથી સેવવાની કહી છે અને તે બાહ્ય સેવન દ્વારા કઈ રીતે અંતરંગ વિશુદ્ધિમાં ઉદ્યમ કરવાનો છે તેનો બોધ ન હોય તો તે ક્રિયા શાસ્ત્રવચન અનુસાર થતી નથી માટે રોગ દોષવાળી બને છે તેથી ગાથા-૧માં કહેલ કે જ્ઞાન વગરની ક્રિયાથી કર્મબંધની પ્રાપ્તિ છે. ll૧૯ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org