________________
૧૯૬
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ તેવી વાત શાસ્ત્રોમાં આવે છે. તેથી છાસ્થને સંશય જ ન થાય તેવું નથી. જ્ઞાનના તો અસંખ્ય પ્રકાર છે. કોઈ પણ વિષયમાં અજ્ઞાન હોય તો સંશય ઉદ્ભવી શકે છે, પણ આત્મકલ્યાણના માર્ગનું અજ્ઞાન જ વિકાસમાં અવરોધક છે. તેને જેણે હટાવીને માર્ગજ્ઞતા પ્રગટ કરી છે, તે આત્મા ચોક્કસ તીર્થ બની શકે.
સભાઃ આત્મકલ્યાણ માટેનું જ્ઞાન શાસ્ત્રોમાં કઈ જગ્યાએ છે ?
સાહેબજીઃ આ શાખાનું જ્ઞાન સંગ્રહરૂપે યોગગ્રંથોમાં છે. તેમાં સાંગોપાંગ મોક્ષમાર્ગનું વર્ણન કર્યું છે. તેથી યોગગ્રંથોનો મહિમા ગાતાં પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ લખ્યું કે “આ પાટ પર બેસનાર ઉપદેશક બીજાં ગમે તેટલાં શાસ્ત્રો ભણ્યો હોય, માહિતી અને જ્ઞાનનો દરિયો હોય, પણ જો તેને યોગગ્રંથોનું તલસ્પર્શી જ્ઞાન ન હોય તો તે આ પાટ પર બેસી ઉપદેશ આપવા ગેરલાયક છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજા કહે
યોગગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફોગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાશે.
યોગમાર્ગની આખી શાખા છે, તેમાં અનેક યોગગ્રંથોનો અભ્યાસ આવે. આત્મવિદ્યાને પામવાના સાંગોપાંગ ઉપાયોનું તેમાં વર્ણન છે. જ્યોતિષશાસ્ત્રની શાખા, તર્કશાસ્ત્રની શાખા, ભાષાશાસ્ત્રની શાખા આદિ અન્ય શાખાઓનું જ્ઞાન ઓછું હોય તો ચાલે, પણ ઉપદેશકમાં યોગમાર્ગની જાણકારી, નિપુણતા તો અવશ્ય જોઈએ. આ વિષયમાં અજ્ઞાન હોય તો પોતે સ્વયં તરી નહીં શકે અને બીજાને તારી પણ નહીં શકે.
સભા ઉપદેશકને દ્રવ્યાનુયોગની શાખાનું જ્ઞાન પણ જોઈએ ને ?
સાહેબજી : ઉત્કૃષ્ટ ઉપદેશક બનનારને દ્રવ્યાનુયોગની શાખાનું જ્ઞાન પણ જોઈએ. દ્રવ્યાનુયોગનું જ્ઞાન ટોચ પર છે. તે એવી શાખા છે કે જે ભણ્યા પછી કોઈ વિષયમાં કચાશ ન રહે. તે શાખામાં નિષ્ણાત બનનારને દુનિયામાં એવી કોઈ જ્ઞાન-વિજ્ઞાનની શાખા નથી કે જેમાં તે આરપાર ન જઈ શકે.
તમે જીવનમાં નિર્ણય કરો કે તરવા માટે મારે આત્મકલ્યાણને ઉપયોગી જ્ઞાન અનિવાર્ય છે અને તે જાતે હું મેળવી શકું તેમ નથી, તો જાણકાર દ્વારા readymade-તૈયાર મેળવું. આ સંસારમાં જ્ઞાન ભાડૂતી મળી શકે છે, પણ ચારિત્ર ભાડે મળતું નથી. જ્ઞાનના વિષયમાં ભણવાની મહેનત બીજો કરે, તેનો સાર કે નિચોડ તે શોધે અને સીધેસીધું તેનું ફળ તેની સલાહથી તમે મેળવી શકો. જેમ એક ડૉક્ટર આંખના વિષયમાં નિષ્ણાત છે, આખા જીવનમાં પરિશ્રમ કરીને તેણે આંખના ચિકિત્સાવિજ્ઞાનમાં ઘણું નવું જાણ્યું, શોધ્યું છે, તો તેનું ફળ તમે ફી ચૂકવીને તેની consultancy-સલાહ દ્વારા મેળવી શકો છો. ભૌતિક ક્ષેત્રમાં પણ બીજાના જ્ઞાનનો લાભ આ રીતે લઈ શકાય છે. હા, નિષ્ણાત બનનારને તે જ્ઞાનનો જેટલો લાભ મળે તેટલો જ લાભ બીજાને કદાચ ન પણ મળે, છતાં વગર ભણે જ્ઞાનનું અમુક ફળ પામી શકાય છે. તેમ ધર્મક્ષેત્રમાં ભલે તમારામાં માર્ગદ્રષ્ટાપણું નથી, ભવસાગરથી બહાર નીકળવામાં સ્વયં દિશા સૂઝતી નથી, જાતે દિશા પકડી શકતા નથી, છતાં તમને જ્ઞાની ગુરુ દિશા બતાવી શકે, માત્ર અનુસરણ કરવાની તમારી તૈયારી જોઈએ. આવા દિગ્દર્શક જ્ઞાની તે જ જીવંત તીર્થ, જે નિયમા ઉભયજ્ઞ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org