________________
૧૮૦ .
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ તરવાની કળામાં નિપુણ, સક્ષમ તરવૈયાને કોઈની સલાહ કે સૂચન, સહાયની જરૂર નથી, માત્ર તેણે મધદરિયેથી બહાર નીકળવા હાથ-પગ હલાવીને કાંઠા તરફ સડસડાટ સ્વયં ગતિ કરવાની છે, તેમ તીર્થકરો, સ્વયંબુદ્ધ, પ્રત્યેકબુદ્ધ વગેરે આત્માઓ સ્વયં મોક્ષમાર્ગના જાણકાર સક્ષમ તરવૈયા છે, તેમને અન્યની સહાયની જરૂર નથી. પરંતુ આવા જીવો અતિ અલ્પ સંખ્યામાં હોય છે, બાકીના સર્વ. લાયક જીવોને માર્ગદર્શકની, રાહબરની અવશ્ય જરૂર છે. વળી, મોક્ષમાર્ગ તો અવાવરો છે.
સભાઃ અવાવરો એટલે ?
સાહેબજીઃ તદ્દન નવો. જે પથમાં તમે કદી પથિક બનીને મુસાફરી પૂર્વે કરી નથી, જેને આત્માએ જાણ્યો-પિછાણ્યો નથી, અનુભવ્યો નથી, તેવો આંતર જગતનો સાવ અજાણ્યો રસ્તો છે. વળી ખૂબી એ છે કે આ માર્ગે જે જાય છે તે પહોંચ્યા પછી કોઈને કહેવા આવતા નથી. તેથી અગ્રગામી જાણકાર પથિકો જ નવા આવનારને માર્ગદર્શક બને છે. આવા મોક્ષમાર્ગના જ્ઞાતા પથિકો એટલે જ સંવિગ્ન-ગીતાર્થો. તેમની સહાય આપણા માટે અનિવાર્ય છે.
સામાન્ય સાધકને આ રસ્તે જવું તે મહાભારત કામ છે; કારણ કે સંપૂર્ણ અગમ-અગોચર માર્ગમાં પ્રયાણ કરવાનું છે. તેથી તીર્થરૂપ તારકની અવશ્ય જરૂર પડશે. તીર્થના આલંબન વિના તરનારા ૦.૦૦.૦૦૧ ટકો પણ નથી. પ્રાયઃ બધા લાયક જીવો તીર્થની સહાયથી જ તરે છે. જે કાળે તીર્થ વિદ્યમાન નથી હોતું તે કાળમાં પાત્ર જીવો પણ પ્રાયઃ તરી શકતા નથી. યુગલિકકાળમાં ભરતક્ષેત્રમાં મોક્ષમાર્ગ બંધ હતો. તે સમયે પણ અનેક પાત્ર જીવો હોઈ શકે, પરંતુ સહાયક તીર્થ જ નહોતું, તેથી તરવાની કોઈ સંભાવના નહોતી. ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં થોડોક કાળ જ તીર્થ હોય છે, હંમેશ માટે તીર્થ નથી હોતું, જે કાળે તીર્થ સ્થપાય ત્યારથી આ ક્ષેત્રોમાં મોંક્ષમાર્ગ વહે છે; જ્યારે મહાવિદેહક્ષેત્રમાં કાળ, વાતાવરણ, ભૂમિ ઉત્તમ છે, જીવો પણ પુણ્યશાલી છે અને ઉત્તમ પાત્રો વિપુલ સંખ્યામાં જન્મે છે, તેથી ત્યાં અવિચ્છિન્નપણે તીર્થની પરંપરા ચાલે છે. આમ, વિશ્વમાં એવો કોઈ કાળ નથી કે જે કાળે આ જગતમાં તીર્થ વિદ્યમાન ન હોય. સનાતન ધર્મતીર્થ પ્રવાહરૂપે મહાવિદેહમાં તો કાયમ હોય જ છે. ભારત અને એરવત ક્ષેત્રો એવાં છે કે જ્યાં અમુક કાળે તીર્થ હોય અને અમુક કાળે તીર્થ વિચ્છેદ થાય. ઋષભદેવ અને અજિતનાથ પરમાત્મા વચ્ચે પચાસ લાખ કરોડ સાગરોપમ કાળ પસાર થયો તો પણ તીર્થ સતત રહ્યું અર્થાત્ તે કાળમાં કોઈપણ લાયક જીવને ભવસાગરથી પાર પામવું હોય તો તેને સાંગોપાંગ રસ્તો દર્શાવી, ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે તેવા સંવિગ્ન-ગીતાર્થ ગુરુ ભગવંતો હયાત હોય જ. જે આત્માઓ ગુણોના પેજસ્વરૂપ સક્ષમ તારક વ્યક્તિત્વ ધરાવતા હોય તે તે કાળના જીવંત તીર્થ સમજવા. આવા તીર્થની અવિચ્છિન્ન પરંપરા અજિતનાથ ભગવાન સુધી ચાલી. અજિતનાથ ભગવાનથી સંભવનાથ ભગવાન સુધી પણ શાસન અવિચ્છિન્નપણે ચાલ્યું. આ ક્રમ છેક નવમા ભગવાન સુધી જળવાયો. પરંતુ સુવિધિનાથ અને શીતલનાથ ભગવાન વચ્ચે gap-સમયગાળો પડી ગયો, કારણ તીર્થ વિચ્છેદ પામ્યું. તે કાળમાં જૈન આચાર પાળતા જૈનોના સમૂહમાં તીર્થસ્વરૂપ કોઈ વ્યક્તિ રહી નહીં. લોકમાં ત્યારે દેરાસર, ઉપાશ્રય, યાત્રાનાં તીર્થો આદિ આલંબનો છે, જૈન ધર્મના અનુયાયી વર્ગ, જૈનોનો સમૂહ પણ છે; પરંતુ કોઈ માર્ગદર્શક સંવિગ્ન-ગીતાર્થ નથી. અને તેની નિશ્રા વિના ગમે તેટલો ઉત્કટ આચાર પાળનાર સાધુ પણ સાધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org