________________
‘વસંતવિલાસનો છંદ
કાન્તિલાલ વ્યાસે ૧૯૪૬ સપ્ટેમ્બરના મુંબઈ યુનિવર્સિટીના જર્નલમાં ‘વસંતવિલાસ ફાગુ – એ ફર્ધર સ્ટડી', એ નામે એક વિસ્તૃત અભ્યાસ લેખ પ્રસિદ્ધ કર્યો છે. તેમાં ‘વસંતવિલાસ'નાં ભાષા, છંદ, કૂટ પંક્તિઓનું અર્થઘટન વગેરે વિશે બીજા વિદ્વાનોએ વ્યક્ત કરેલાં મંતવ્યોની સમીક્ષા કરી પોતાના કેટલાક મતોનું સમર્થ કે કવચિત શુદ્ધિ કરી છે, ને અંતે આખી કૃતિનું પાઠવિવેચન, કૂટ શબ્દોના અર્થ માટે અન્ય ગ્રંથોમાંથી અનુલક્ષણો, અન્ય મતોનો ઉલ્લેખ કે ચર્ચા વગેરે સહિત અંગ્રેજી ભાષાંતર આપેલું છે. આ રીતે તેમની ‘વસંતવિલાસની આવૃત્તિના પ્રવેશકમાં ચર્ચેલા ઘણા મુદ્દાઓ ફરી સ્પર્શ પામ્યા છે. આ જાતના સૂક્ષ્મ અને સર્વસ્પર્શી અભ્યાસનો કોઈ લાભ પામી હોય તો આ પહેલી જ મધ્યકાલીન કૃતિ છે, એટલે તેને લગતા સામાન્ય કે વિશિષ્ટ પ્રશ્નોની ચર્ચા આવશ્યક ઠરે છે. આ દૃષ્ટિએ અહીં ‘વસંતવિલાસ' ના છંદની ચર્ચા કરી છે.
પ્રાચીન ગુજરાતી કૃતિઓનાં ભાષા અને છંદના વિષયને એક જટિલ કોયડો બનાવી દેતી બાબત છે એ કૃતિઓની લેખનપદ્ધતિ (‘ઑર્થોગ્રાફ') છે. અપભ્રંશ ભૂમિકા પછી ભાષાના ધ્વનિબંધારણમાં વિધવિધ, વિપુલ અને ઝડપી પરિવર્તનો થયાં, એટલે શીઘ્રતાથી પલટાતા ઉચ્ચારણે ભાષાના સ્વરૂપને એક પ્રકારની પ્રવાહિતા આપી. જુદાજુદા સમયની ભાષાના લેખનમાં વ્યક્ત થતા સ્વરૂપની શુદ્ધિ જાળવી રાખવાનું કાર્ય આથી અસંભવવત્ બની ગયું. તેમાં જ્યારે રચનાસમય અને પ્રતિલિપિસમય વચ્ચે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org