________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
છે એમ માનીને જ સર્વ શાસ્ત્રો પ્રવર્તે છે. કોઈપણ શાસ્ત્ર જગતના નિષેધ વિના ઉદ્ભવતું નથી એમ કહી આનંદશંકર માયાવાદને સર્વશાસ્ત્રના પાયામાં રહેલા સિદ્ધાંત તરીકે પ્રમાણે છે. આનંદશંકરની સર્વ વિચારણામાં માયાનો સિદ્ધાંત ગર્ભિત રીતે રહેલો છે. વિકારમાં ચિરંતન તત્ત્વને શોધવાની પ્રવૃત્તિમાં, ભિન્ન વસ્તુઓમાં અભિન્નતાનો પદાર્થ શોધવામાં, ભાસમાં ભાસને બાધિત કરતી, ભાસનો ખુલાસો આપતી વસ્તુ શોધવામાં, ખરું જોતાં માયાનો સિદ્ધાંત એક સ્વીકૃત લઈને જ ફિલસૂફ અને વૈજ્ઞાનિક ચાલે છે. અનુભવ વિરોધ સ્વીકાર્યા વિના કોઈ શાસ્ત્ર પ્રવર્તી શકતું નથી. માયાવાદ સર્વશાસ્ત્રના સ્વીકૃતને જ સ્પષ્ટ કરે છે એમ આનંદશંકર બહુ ભારપૂર્વક સમજાવે છે. “માયાનો સિદ્ધાંત અનુભવ વિરુદ્ધ છે એમ કહેવાનો કોઈ અર્થ નથી, કેમકે અનુભવ વિરુદ્ધ તો માયાનું સ્વરૂપ જ છે. દેખાય છે તેમ નથી છતાં દેખાય છે એ જ માયા છે. સમ્યફ જ્ઞાન અસમ્યફ જ્ઞાનથી વિરુદ્ધ છે એમ કહેવામાં અનુપપત્તિ નથી.” (અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, પૃ.૧૬૪) અહીં દર્શાવેલી અનુભવ વિરુદ્ધતા તે અત્યંત કે એકાંત અનુભવવિરુદ્ધતા નથી, કેમકે સાચા અનુભવથી ખોટો શમી જાય છે, લુપ્ત થાય છે. આ જગત અજ્ઞાનીને જે રૂપે દેખાય છે તેથી ભિન્ન રૂપે જ્ઞાનીને દેખાય છે અને ત્યારે જ્ઞાન પહેલાંનો દેખાવ મિથ્યા હતો તેમ તે સમજે છે. આમ, અનુભવવિરોધ પણ હકીકતમાં એક આભાસ છે. કારણકે માયાવાદનું સામાન્ય રીતે એમ કહેવું નથી કે, આ જગત દેખાય છે તે નથી દેખાતું, એનું તો વિશેષતઃ કહેવું છે કે આ જગત દેખાય છે તે બ્રહ્મદર્શન થતાં જગતરૂપે નથી દેખાતું. આ સંદર્ભમાં આનંદશંકર લખે છે :
જગતનો આવિર્ભાવ માત્ર માયા જ નથી પણ બ્રહ્મની માયા છે, અને એ બ્રહ્મનો વિકાર કે બહિર્ભત કાર્ય નથી, પણ માયા છે. (...) અર્થાત્ જગતથી પર (Transcendent) હોઈ, જગતના અંતરમાં (Immanent) એ વિરાજમાન છે એમ વેદાંતસિદ્ધાંત છે. પણ આ અંતરમાં હોવું તે જડની માફક બહિસંબંધ વડે સંભવતું નથી. માટે બ્રહ્મની સત્તાથી જ જગતની સત્તા બની રહે છે એમ કહેવું યોગ્ય જણાય છે. જગત “બ્રહ્મસત્તાનિરૂપિતસત્તાવાળું છે, ‘મિથ્યા' છે. (ધર્મવિચાર-૧, પૃ.૯૮)
અદ્વૈતવેદાંતના આ પરમસત્યનું માત્ર બુદ્ધિથી પરોક્ષજ્ઞાન થાય. પરંતુ હૃદય અને ક્રિયાશક્તિ એ સત્યને અનુકૂળ ન થાય તો જોખમી બને છે. વેદાંતવિરોધીઓનો વેદાંત સામે આ જ મોટો આક્ષેપ છે કે વેદાંતમાંથી નૈતિક આચરણની પ્રેરણા મળતી નથી. મણિલાલ અને આનંદશંકરે વેદાંતનો નૈતિક દૃષ્ટિએ સક્ષમ બચાવ કર્યો છે. વેદાંતમત નિષેધાત્મક નહી પણ વિધેયાત્મક લાગે એટલા માટે મણિલાલ અભેદને પ્રેમરૂપે વર્ણવે છે, જયારે આનંદશંકર વેદાંતને કર્તવ્યભાવના સાથે જોડવાનું કામ કરે છે. વ્યક્તિના અખંડજીવનમાં - તેની ક્રિયામાં, તેની લાગણીમાં, તેના વિચારમાં વેદાંતના પરમસત્યનું સિંચન થવું જોઈએ. એ સત્યનો એના સમગ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org