SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન ભરેલો હોય છે. કર્તવ્યપરાયણતાનો માર્ગ જો અશાંતિથી જ ભરેલો હોય તો પરમાત્માની આ વિશ્વવ્યવસ્થામાં એ મોટી ખામી ગણાય. તેથી કર્તવ્યતાનો માર્ગ જ સાચી શાંતિનો માર્ગ છે. કર્તવ્યબુદ્ધિને આનંદશંકર સ્વતઃ સિદ્ધ ગણે છે. એમને મન નીતિનો પાયો અધ્યાત્મ છે. આ દષ્ટિએ આનંદશંકર માણસના સર્વ કર્મોને કરાવનાર ઈશ્વર છે એમ સ્વીકારે છે. અહંકત્વ બુદ્ધિ વિલય પામી ગઈ છે તેમને તો – “હું કરતો નથી, પણ પરમાત્મા કરે છે.” તેવું ભાન સતત રહે છે. માણસનું કર્તુત્વ અને ઈશ્વરનું કારયિતૃત્વ એ બંનેનો ખુલાસો આનંદશંકર વેદાંતના દષ્ટિબિંદુએ કરી આપે છે. તેમના મતે, “જીવને ઉપાધિકૃત કર્તુત્વ છે, પણ કારયિતૃત્વ તો ઈશ્વરનું જ છે.- કરે છે જીવ, કરાવે છે ઈશ્વર” (ધર્મવિચાર-૧, પૃ.૨પર-૨૫૩) ટૂંકમાં જીવદષ્ટિએ જીવનું કર્તૃત્વ અને ઈશ્વરસૃષ્ટિમાં ઈશ્વરનું કારયિતૃત્વ અને છતાં કર્મનિર્લિપ્તતા એ સિદ્ધ કરી શકાય છે. વૈરાગ્ય : જ્ઞાન, ભક્તિ અને કર્મ કે નીતિ એ ધાર્મિક જીવનનાં આવશ્યક પાસા છે. આ ત્રણેને સિદ્ધ કરવા માટે ઈન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે છે. આ ઈન્દ્રિયનિગ્રહ અને મનોનિગ્રહ વૈરાગ્યથી શક્ય બને છે. તેથી વૈરાગ્ય પણ ધાર્મિક જીવનની જરૂરિયાત બની જાય છે. ખરી રીતે જેને ઈશ્વરમાં પ્રેમ થાય છે તેને જગતના કોઈપણ પદાર્થની આસક્તિ રહેતી નથી. આમ, વૈરાગ્યનો અર્થ અનાસક્તિ એવો થાય છે. આ જાતનો વૈરાગ્ય જગતના દુઃખોના કંટાળામાંથી જન્મેલો નથી હોતો, પણ જગતના સ્વરૂપના સાચા જ્ઞાનમાંથી નિષ્પન્ન થયેલો હોય છે. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગમાં વૈરાગ્યની ભાવનાને આનંદશંકર એ ત્રણેમાં રહેલી મૂળભૂત ભાવના ગણે છે. પરમાત્મા પ્રાપ્તિ માટે સૌથી પહેલું અને આવશ્યક પગથિયું વૈરાગ્ય છે. પોતાના આ વિચારના આધાર સ્વરૂપે “આત્મનિવેદન” (પરિશિષ્ટ-૨, કાવ્ય-૧૦, પૃ. ૨૯૬) નામના વાર્તિકમાં આનંદશંકર લખે છે : “જગતના વ્યવહાર તરફ કાંઈ પણ અરુચિ ઉત્પન્ન થયા વિના મનુષ્ય પરમાત્માભિમુખ થઈ શકતો નથી. અને જો કે પરિણામે જગતમાં પણ જ્ઞાનીને પરમાત્મા દર્શન જ થાય છે તથાપિ આરંભમાં જગત ઉપર જગતરૂપે ત્યાજ્યબુદ્ધિ થવી જરૂરની છે.” (ધર્મવિચાર-૧, પૃ.૨૦૧) જગત ઉપરની મમતા સર્વ પ્રથમ દૂર થવી જોઈએ. કારણ ત્યાં સુધી સહજ વિશાલતા શકય બનતી નથી. પરમાત્મા જ આત્માનો ખરો આશ્રય, આત્માનું પરમપ્રયોજન - રસનું સ્થાન છે. આમ પરમાત્મા માટેની અનન્ય પ્રીતિ જ વૈરાગ્યનું મૂળ છે. તેના અભાવમાં મનુષ્ય જ્ઞાન, કર્મ કે ભક્તિના માર્ગે ચાલી પોતાની લક્ષ્ય પ્રાપ્તિમાં સફળ રહેતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005477
Book TitleAcharya Anandshankar Dhruv Darshan ane Chintan
Original Sutra AuthorN/A
AuthorDilip Charan
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy