SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન અર્થ સ્પષ્ટ કરવાની પદ્ધતિ કપોલકલ્પિત નથી. ભારતમાં છેક બ્રાહ્મણ અને ઉપનિષદમાં પણ એ પ્રાપ્ત થાય છે. નિરુક્તકાર યાસ્કમુનિની પણ પહેલાં આ અર્થપદ્ધતિ પ્રચલિત હતી. પોતાની પદ્ધતિના સમર્થનમાં આનંદશંકર કહે છે : આ રીતે આધ્યાત્મિક સત્યો પ્રતિપાદન કરવાની રીત અત્યારે ચાલતી પાશ્ચાત્ય કેળવણીની અસરમાં આપણને ગમે તેટલી વિચિત્ર લાગે, પણ એટલું સ્મરણમાં રાખવાનું છે કે પ્રાચીનકાળમાં એ સર્વત્ર રૂઢ હતી એમ જગતના પ્રાચીન ગ્રંથો જોતાં જણાય છે. ‘ક્રિશ્ચિયન થિઓલોજી'ના અભ્યાસકો પણ સાક્ષી પૂરી શકશે કે આ પદ્ધતિનો એમાં સારી પેઠે ઉપયોગ થયો છે અને થાય પણ છે. તે સ્વીડનબોર્ગ જેવાના પંથમાં જ નહિ પણ ઇંગ્લેન્ડના “સ્ટેટ ચર્ચ (રાજ્ય માનેલા સંપ્રદાય) તથા ટેનિસન વગેરે કવિઓએ પણ સ્વીકારી છે. શેક્સપિયરના નાટકોની ખરી મહત્તા પણ આ પદ્ધતિને અનુસરતાં જ સમજાય છે. સર્વને સુવિદિત છે કે એનાં પાત્રો એ સ્ત્રીપુરુષ જ નથી, પણ મૂર્તિમંત ભાવો છે, એનાં નાટકો એ સ્થૂળ વ્યવહારનું વર્ણન નથી, પણ આધ્યાત્મિક સત્યોનું પ્રત્યક્ષીકરણ છે. એ જ રીતે મહાભારત, પુરાણો વગેરેનું પણ છે. જરૂર માત્ર એટલી જ છે કે જેટલાં માન, પ્રેમ અને આદરપૂર્વક પશ્ચિમની પ્રજાઓમાં શેક્સપિયરનો અભ્યાસ થાય છે તેટલાં જ માન, પ્રેમ અને આદરપૂર્વક આનો અભ્યાસ થવો જોઈએ.” (ધર્મવિચાર-૧, પૃ.૨૩૩) પોતાની આ આધ્યાત્મિક અર્થપદ્ધતિને આનંદશંકર Working hypothesis કહે છે. આ પદ્ધતિના ઉપયોગથી ઘણી અસ્વાભાવિક લાગતી વાતો સ્વાભાવિક થઈ જાય છે. ગ્રંથકર્તાના ભાવમાં તન્મય થઈ ઊંડા ઊતરી જતાં, કાંઈક એવો અપૂર્વ પ્રકાશ સર્વત્ર વ્યાપી રહેલો ઉપલબ્ધ થાય છે કે જેથી કરી ચૂળ દૃષ્ટિને અગમ્ય એવા નિગૂઢ ભાવો હસ્તામલકવતું પ્રત્યક્ષ દેખાય છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને આનંદશંકરે એમની પોતાની પસંદગીના કેટલાક મહાન કવિઓની આધ્યાત્મિક અર્થસભર કૃતિઓનું રસદર્શન કરાવ્યું છે. તેમાં તેમની ધર્મભાવના ક્રમશઃ પ્રગટ થતી આવે છે. ધર્મનાં હાર્દરૂપ તત્ત્વો જ્ઞાન, ભક્તિ, કર્મ, વૈરાગ્ય વગેરે વિષય પરના તેમના વિચારો આ રસદર્શનોને આધારે તારવી શકાય છે. વિચાર, લાગણી અને ક્રિયા એ ત્રણ આપણા અનુભવની એકબીજાથી છૂટી ન પાડી શકાય તેવી ત્રણ બાજુઓ છે. આ માનસશાસ્ત્રીય સત્યને અનુરૂપ ધાર્મિક જીવનમાં પણ મુખ્ય ત્રણ અંગો છે : જ્ઞાન, ભક્તિ અને કર્મ. ધર્મનું હાર્દ ઈશ્વરનિષ્ઠા છે અને આ ઈશ્વરનિષ્ઠા એક વિશિષ્ટ પ્રકારના જીવનમાર્ગમાં પરિણમે છે. આનંદશંકરે કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ એ ત્રણ વિરોધી લાગતા માર્ગોનું સમાધાન વિશિષ્ટ રીતે કર્યું છે. મનની ત્રિવિધ શક્તિ છે. મનુષ્યની બુદ્ધિ કે તર્કશક્તિ માટે જ્ઞાનમાર્ગ, તેની લાગણી માટે ભક્તિમાર્ગ અને ઇચ્છાશક્તિ કે ક્રિયાશક્તિ માટે કર્મમાર્ગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005477
Book TitleAcharya Anandshankar Dhruv Darshan ane Chintan
Original Sutra AuthorN/A
AuthorDilip Charan
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy