________________
૩૧. તપાષ્ટક
૪૧ ૩
અનુવાદઃ સારા ઉપાયમાં પ્રવૃત્ત થયેલા જ્ઞાની તપસ્વીઓના આનંદમાં, (મોક્ષરૂપી) સાધ્યની મધુરતાને લીધે હંમેશાં વૃદ્ધિ જ હોય છે. (૪)
વિશેષાર્થ : સામાન્ય ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓ જેટલી તપશ્ચર્યા અને આહારસંયમની પ્રવૃત્તિ કરે છે તેના કરતાં સાધુ-સાધ્વીઓની તપશ્ચર્યા અને આહારસંયમની પ્રવૃતિ ઘણી વિશેષ હોય છે. તેઓએ પંચ મહાવ્રત ધારણ કરેલાં હોય છે એટલે રાત્રિ ભોજનનો આજીવન સર્વથા ત્યાગ હોય છે. કેટલાયે મહાત્માઓ જીવનભર આયંબિલની કે વરસીતપની કે ઇતર પ્રકારની તપશ્ચર્યા કરતા રહે છે. આહાર-ગોચરી અને દ્રવ્યના વપરાશના કેટલા બધા નિયમો તેઓ પાળે છે ! કેટલાયે મહાત્માઓ દિવસમાં માત્ર એક જ વખત આહાર લેતા હોય છે. શું તેઓને ભાતભાતની વાનગીઓના ચટાકા માણવાનું મન નહિ થતું હોય? ના, કારણ કે હવે તેઓએ એક લક્ષ્ય સ્પષ્ટપણે સ્વીકાર્યું છે અને તે છે મોક્ષપ્રાપ્તિનું. એ માટે કર્મની નિર્જરા થવી જોઈએ અને સંવર દ્વારા નવા કર્મો આવતાં અટકવાં જોઈએ. તપ એ કર્મનિર્જરાનું પ્રબળ સાધન છે. એટલે એમાં મોક્ષાર્થી સાધુસાધ્વીઓને અત્યંત આનંદ અનુભવવા મળે છે. તપશ્ચર્યાના પર્વો આવતાં તેઓ આનંદિત થઈ જાય છે. એમની તપશ્ચર્યા જ્ઞાનયુક્ત હોવાથી તે વધુ ઉલ્લાસમય બને છે. એમાં મધુરતા અનુભવાય છે. ભોજનના આનંદ કરતાં ઉપવાસનો આનંદ કેટલો બધો ચડિયાતો છે તે બાલજીવોને નહિ સમજાય, પરંતુ આવા જ્ઞાની મહાત્માઓને તો એની તરત પ્રતીતિ થાય છે. ભૂખ્યા રહેવાનું કષ્ટ એમને માટે કષ્ટ રહેતું નથી. જેમ જેમ વધુ તપ થાય તેમ તેમ એમના આનંદમાં વૃદ્ધિ થતી જાય છે.
શ્રી યશોવિજયજી મહારાજે પોતે આ શ્લોકની ટીકામાં ‘વૈરાગ્યરતિમાંથી નીચેનો શ્લોક ટાંક્યો છેઃ
रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीव्रास्वपि योगिनां स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि न किं सुधापानगुणाचकोराः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org