________________
૩૬૮
જ્ઞાનસાર
પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુઠાન વચ્ચેનો તફાવત સમજાવવા માટે શ્રી હરિભદ્રસૂરિજીએ “ષોડશક' ગ્રંથમાં સચોટ દૃષ્ટાન્ત પત્ની અને માતાનું આપ્યું છે. પ્રીતિ અનુષ્ઠાન કરતાં ભક્તિ અનુષ્ઠાનમાં વધુ આદર સદ્ભાવ પ્રગટ થાય છે. વળી એની સાથે વિશુદ્ધિ પણ વધે છે. પત્ની અને માતા બંને અત્યંત પ્રિય હોવા છતાં અને બંનેના પાલનનું કાર્ય સરખું હોવા છતાં પત્નીનું કાર્ય પ્રીતિથી અને માતાનું કાર્ય ભક્તિથી થાય છે.
(૩) વચન અનુષ્ઠાન-વચન એટલે જિનેશ્વર ભગવાનનું વચન, આગમનું વચન. સાધુ ભગવંતો માટે વચન અનુષ્ઠાન વિશેષ મહત્ત્વનું છે. બધા ધર્મવ્યાપારમાં ચારિત્રશીલ સાધુઓ ભગવાનના વચનને યથાર્થ અનુસરે છે. શાસ્ત્રાજ્ઞાનું પાલન તેઓ ઓચિત્યપૂર્વક કરે છે.
(૪) અસંગ અનુઠાન–આ અનુષ્ઠાનનો એટલો અભ્યાસ થઈ જાય છે અને શાસ્ત્રવચનો એવા કંઠસ્થ, હૃદયસ્થ થઈ ગયાં હોય છે કે શાસ્ત્રગ્રંથો વિના પણ મુનિઓ યોગ્ય ક્રિયાઓ સહજભાવે કરે છે અથવા તો તે એમના જીવનમાં વણાઈ ગઈ હોય છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ઉદાહરણ આપ્યું છે કે જેમ ચંદનમાંથી સુવાસ સહજભાવે આવે છે, તે માટે આયાસ કરવો પડતો નથી. તેવી રીતે બધી જ ધર્મક્રિયાઓ સાધુ મહાત્મા માટે સહજ બની જાય છે.
વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન વચ્ચેનો તફાવત સમજાવવા માટે હરિભદ્રસૂરિજીએ કુંભારના ચક્રનું દૃષ્ટાન્ત આપ્યું છે. ચક્રને ફેરવવું હોય તો પહેલાં દંડથી એને ફેરવવું પડે છે. પછી જ્યારે એ ગતિ પકડે છે ત્યારે દાંડો લઈ લેવામાં આવે છે. એ પછી પણ ચાકડો સહજ રીતે ફર્યા કરે છે. વચન અનુષ્ઠાન આગમના સંબંધથી પ્રવર્તે છે અને અસંગ અનુષ્ઠાન આગમના સંસ્કાર માત્રથી પ્રવર્તે છે.
પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ ચાર અનુઠાનમાં પહેલાં બે અનુષ્ઠાન મુખ્યત્વે શ્રાવકો માટે છે અને તે અભ્યદયના-સ્વર્ગના કારણ છે અને છેલ્લાં બે અનુષ્ઠાન મુખ્યત્વે સાધુઓ માટે છે અને તે મોક્ષનાં કારણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org