________________
૨૧. કર્મવિપાકચિંતનાષ્ટક
૨૭૯
અનુવાદઃ જેઓની ભ્રકુટી ચડાવવા માત્રથી પર્વતો પણ તૂટી પડે છે તેવા રાજાઓથી પણ, કર્મની વિષમતા આવી પડે છે ત્યારે ભિક્ષા પણ મેળવી શકાતી નથી, એ આશ્ચર્ય છે. (૨) | વિશેષાર્થ કર્મની ગતિ કેટલી બધી વિષમ છે અને જીવને ક્યાંથી ક્યાં ભમાડે છે તે વિશે અહીં કહ્યું છે. કર્મ જીવને દેવેન્દ્ર કે ચક્રવર્તી બનાવે છે અને કર્મ જીવને નરક-નિગોદમાં પણ લઈ જાય છે. બે પરસ્પર વિરુદ્ધ અંતિમ કોટિની સ્થિતિ સુધી કર્મ જીવને લઈ જાય છે. એટલું જ નહિ, એક જ ભવમાં પણ જીવને ઊંચે ચડાવે છે અને નીચે પછાડે છે અથવા નીચેથી ઉપર લઈ જાય છે. શુભાશુભ કર્મનો વિપાક મહત્ત્વનું કાર્ય કરે છે. કર્મોના વિપાક આગળ કોઈનું કશું ચાલતું
નથી.
અહીં દૃષ્ટાન્ત રાજાનું આપવામાં આવ્યું છે કારણ કે સત્તા-સામર્થ્યની દૃષ્ટિએ તે ઉચ્ચ સ્થાને છે. રાજા કેવો છે ? એની ભ્રકુટી વાંકી થતાં મોટા પર્વતો પણ તૂટી પડે છે. મતલબ કે રાજા રોષે ભરાય ત્યારે કોણ સલામત રહે ? રાજા ભવાં ચડાવે અને પર્વતો તૂટી જાય એ રૂઢપ્રયોગ તરીકે વ્યંજના કે લક્ષણાથી સમજવાનું છે. એમ તો ભવાં ચડાવવા છતાં બારી પણ બંધ થઈ જતી નથી. પણ રાજાની તાકાત બતાવવા આવો શબ્દપ્રયોગ થાય છે. સિવાય કે રાજા પોતે કોઈ વાર પોતાના સૈન્યને અમુક શિખર તોડી પાડવા માટે હુકમ કરે તો તે જુદી વાત છે.
આવા શક્તિશાળી રાજાઓનાં કર્મો જો વાંકાં હોય તો એવો વખત આવે કે યુદ્ધમાં હારી જતાં એમનાં રાજપાટ જાય, પોતે જીવ બચાવવા ક્યાંક ભાગી જાય, છુપાઈ જાય તો ખાવાનું ન મળે. ક્યાંક ભીખ માગે તો ભીખ આપનાર કોઈ ન હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે બત્રીસ પકવાન આરોગનાર રાજાને ક્યારેક રસ્તામાં ભીખ માગીને જે લૂખું સુકું મળે તે ખાવાનો વખત આવે છે. ક્યારેક તો ભીખ પણ ન મળે. એટલે જ કવિ મલબારીએ ગાયું છે કે
સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માંગતાં શેરીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org