________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૨ – ગાથા-૩૧
૧૮૫
સંપ્રદાયોનું વક્તવ્ય જેમ પરતીર્થિક તુલ્ય બને છે. તેમ આ પણ કોઈ એક બાજુના નયવાદની પક્કડથી કહેવાયેલું છે. માટે પરતીર્થિકનું વક્તવ્ય છે.
પ્રશ્ન - ક્રમોપયોગવાદ અને હોપયોગવાદ માનનારા આચાર્યો પણ જૈનશાસનના મહાપ્રભાવક અને મહાગ્રન્થોના રચયિતા છે. જૈનશાસનના અનુયાયી તમામ વ્યક્તિઓ તેઓના પ્રત્યે પણ ગૌરવપૂર્ણ મહાન સદ્ભાવ અને બહુમાન હૈયામાં ધરાવે છે તેઓના રચેલા સૂત્રપાઠોની જ્યાં ત્યાં સાક્ષી આપવામાં આવે છે તેવા શ્રી જિનભદ્રગણિજી અને શ્રીમલ્લવાદીસૂરિજી જેવા મહાન સમર્થક આચાર્યોના વક્તવ્યને વિષે શ્રી ગ્રન્થકર્તાએ “પરતીર્થિકના વક્તવ્ય તુલ્ય” જેવા અરોચકભાવો કેમ વ્યક્ત કર્યા ? એટલું જ નહીં, પરંતુ આટલા બધા ભારે શબ્દપ્રયોગવાળી ભાષાનો પ્રયોગ કેમ કર્યો ? તે સમજાતું નથી.
ઉત્તર - તે સમર્થ આચાર્યો પ્રત્યે ગ્રન્થકર્તાને પણ અતિશાય ઘણો અહોભાવ છે. જરા પણ અરોચક ભાવ નથી. પણ “આ વાદ-વિવાદની ભાષા છે’ જ્યારે જ્યારે કોઈ મુદ્દા ઉપર વાદ-વિવાદ અથવા તેની વાદી-પ્રતિવાદી રૂપે ચર્ચા ચાલે છે, ત્યારે તે પ્રસંગે આવી, અરોચકભાવ જાણે હોય શું તેવી ભારે શબ્દોના પ્રયોગવાળી ભાષા જ માત્ર હોય છે. હાર્દિક સદ્ભાવ કે બહુમાન ઓછું હોતું નથી, તેઓ પણ આ આચાર્યો પ્રત્યે તેટલા જ વિશિષ્ટ ભાવવાળા જ હોય છે. અને આ આચાર્યો પણ જૈનશાસનના મહાપ્રભાવક છે. તેઓએ પણ તેઓના રચેલા મહાપ્રભાવકગ્રંથોમાં અભેદોપયોગવાદનું ખંડન કરવાપૂર્વક ક્રમો૫યોગવાદાદિનું સમર્થન કરેલું છે એટલે સૃષ્ટિભેદના કારણે વાદ વિવાદની ભાષા માત્ર જ તીખી છે. કોઈને કોઈના પણ પ્રત્યે અરોચકભાવ પણ નથી. તથા અહોભાવ પણ ન્યૂન નથી. માત્ર વાદવિવાદની આવી ભાષા હોય છે. બીજો કોઈ અનર્થ મનમાં વિચારવો નહીં.
તથા આ ગ્રંથ પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજશ્રી રચિત છે. જે જે ગ્રન્થો જેના જેના રચેલા હોય છે તે તે ગ્રન્થોમાં તે તે ગ્રન્થકર્તાને માન્ય જ મુદ્દાઓ યુક્તિપ્રયુક્તિથી સિદ્ધ કરવામાં આવતા હોય છે. આપણે જો ક્રમોપયોગવાદ અને સહવાદને માનનારા આચાર્યો વડે રચાયેલા ગ્રન્થોનો અભ્યાસ કરીએ તો ત્યાં આ માન્યતાની સામે ક્રમોપયોગવાદની અને સહવાદની સાર્થકતા, તેના હેતુઓ, અને તેનાં પ્રમાણો પણ વધારે પ્રમાણમાં આપેલાં જ હોય છે. તેથી વિશેષાર્થીએ તે તરફના મુદ્દાઓ અને દલીલો પણ તેઓના ગ્રન્થોમાંથી જાણવા પ્રયત્ન કરવો, પરંતુ એકે પણ આચાર્યો તરફ હૈયામાં સદ્ભાવ કે બહુમાન ઓછું કરવું નહીં, નયવાદથી થતા વાદ-વિવાદો આવા જ હોય છે. તે સાંભળતાં અને સમજતાં પોતે તટસ્થ રહેવું, પોતાના હૃદયને મધ્યસ્થ રાખવું, પણ કોઈ પણ જાતનો કોઈના પણ પ્રત્યે અનુચિત વિચાર કે રાગ-દ્વેષવાળો વિચાર મનમાં લાવવો નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org