________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૨ – ગાથા-૨
૧૨૫
લેવા ગરાગ તરીકે તે જ ચોક્સીને ત્યાં આ પાડોશી જ્યારે જાય છે, ત્યારે લેવા જનારા તે ગરાગની દૃષ્ટિ એકલા સોનાદ્રવ્ય તરફ નથી હોતી, કારણ કે તે સમજે છે કે આ ચોક્સીની દુકાન છે એટલે બધા અલંકારો સોનાના જ હોય છે. એમાં દેખવા જેવું કંઈ છે જ નહીં. આ ગરાગ કસોટી લઈને આવતો નથી. અલંકારોને કસોટી ઉપર ચડાવતો નથી. પરંતુ કેવો સુંદર ઘાટ છે. કેવી સુંદર ડીઝાઈન છે. ઇત્યાદિ વિશેષોને જ (પર્યાયોને જ) ધારી ધારીને જુએ છે. એક વીંટી લેવી હોય તો પણ ૧૦૦ વીંટી જુદા જુદા ઘાટવાળી દેખે છે તેથી આ ગરાગ જ્ઞાનોપયોગવાળો છે તે વિશેષધર્મોને જ દેખે છે. સોનુદ્રવ્ય તેને ચોક્કસ જણાય જ છે. પણ મુખ્યતાએ તેનું પ્રયોજન ન હોવાથી ભાસમાન હોવા છતાં અભાસમાન તુલ્ય છે. આ પ્રયોજનને અનુસારે વિશેષધર્મોને જોતો હોવાથી પ્રધાનપણે પર્યાયાર્થિકનયવાળો થઈને ગૌણપણે દ્રવ્યાર્થિકનયવાળો કહેવાય છે.
આ અલંકારોને ચોક્સી અને ગરાગ, બન્ને કાલભેદે ખરીદનારા છે. એક કાલે આપણી પાસેથી ચોક્સી ખરીદનાર છે અને બીજા કાલે તે જ ચોક્સી પાસેથી ગરાગ ખરીદનાર છે. છતાં ચોક્સીની દૃષ્ટિ વિશેષ એવા ઘાટ દેખાતા હોવા છતાં પણ સામાન્ય સોના તરફ ઢળેલી છે અને ગરાગની દૃષ્ટિ (આ સોનાના જ અલંકારો છે. એમ જાણતો હોવા છતાં પણ) વિવિધ ઘાટ અને ડીઝાઈન ઉપર છે. પ્રથમનો દર્શનોપયોગ છે. બીજાનો જ્ઞાનોપયોગ છે. પ્રથમ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાવાળો છે. બીજો પર્યાયાર્થિકનયની અપેક્ષાવાળો છે આમ સર્વત્ર સમજવું.
કોઈક કાલે ઘણા માણસોએ એક વૃક્ષ તરફ નજર કરી. દરેકને આ એક વૃક્ષ છે. એમ દેખાયું. પરંતુ જેને સચિત્તનો સ્પર્શ કરવો નથી એવા પ્રયોજનવાળાને આખું ય વૃક્ષ સચિત્ત હોવાથી વૃક્ષમાત્ર છે આમ જણાય છે. જ્યારે જેને ફુલ સુંઘવાં છે. ફળ ખાવાં છે. ઔષધ માટે પત્રો લેવાં છે. તેવા માણસોને (આખુંય આ વૃક્ષ વૃક્ષપણે સામાન્ય જણાતું હોવા છતાં પણ) આ પત્ર છે. આ ફુલ છે. આ ફળ છે. આ શાખા છે. આ પ્રશાખા છે. એમ વિશેષો જ દેખાય છે અને વૃક્ષત્વ અભાસમાન જેવું જ રહે છે.
ચોક્સી કે ગરાગ અલંકારોને સામાન્યપણે કે વિશેષપણે જુએ તેથી અલંકારોમાં કંઈ તફાવત (કે ફેરફાર) થતો નથી. યોગી વૃક્ષને સચેતન સમજી વૃક્ષપણે દેખે, અને ફલાદિનો અર્થી તેને જ ભિન્ન ભિન્ન રૂપે જુએ તેથી વૃક્ષમાં કંઈ ફરક પડતો નથી. પરંતુ તેને જોનારા આત્માઓની પ્રયોજનને અનુસારે આ બે જાતની ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોય છે તે જ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય છે. એક સામાન્યોપયોગ રૂપ છે. બીજો વિશેષોપયોગરૂપ છે. તેને જ જૈનશાસ્ત્રોમાં દર્શન અને જ્ઞાન કહેલ છે.
११
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org