________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ – ગાથા-૫૩
૧૧૫
આ જ પ્રમાણે એકલા નિશ્ચયનયના પક્ષપાતી વ્યવહારનું ખંડન કરે છે. મનને જિતો, જો મન સ્વચ્છ છે તો ત્યાગ-તપ-ઉપવાસાદિ વ્યવહાર કરવાની કંઈ જ જરૂર નથી. આત્મા જો પવિત્ર છે તો કર્મ કંઈ લાગતાં જ નથી. શરીર શરીરનું (ભોગ ભોગવવાનું) કામ કરે તેમાં આત્માને શું નુકશાન ? આમ એકાન્ત નિશ્ચયવાળા કહે છે. આ પણ મિથ્યા છે. અને વ્યવહારનયના પક્ષપાતી નિશ્ચયનયનું ખંડન કરે છે. જો એમ એકલા મનની પવિત્રતાથી જ ચાલતું હોત તો પરમાત્મા મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષ સુધી શા માટે ઘોર તપ કર્યું ? ગમે તેટલું મન પવિત્ર હોય તો પણ પરસ્ત્રી સાથે સ્વસ્રી જેવા વ્યવહાર કરાતા નથી. માટે વ્યવહાર ચોક્ખો હોવો જોઈએ. વ્યવહાર જ આદરવો જોઈએ, લીટા કરતાં કરતાં એકડો આવે તેમ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય આવે. આવી દલીલો કરીને વ્યવહારને થાપે અને નિશ્ચયને વખોડે આ પણ સઘળો એકાન્તવાદ છે. લીટા કરતાં કરતાં એકડો તેને આવે કે જેણે એકડાનું લક્ષ્ય રાખીને લીટા કર્યા હોય. અન્યથા લીટાની દૃષ્ટિવાળાને લીટા જ રહે છે ક્યારેય પણ એકડો આવતો નથી. આવી સરળ અને સીધી આ વાત છે.
અતીતકાલમાં સાંખ્ય-મીમાંસક-ચાર્વાક-બૌદ્ધ વિગેરે દર્શનકારો એકાન્તવાદી હતા. એટલે જ મહાશાસ્ત્રોમાં દર્શનવાદ ઘણો ચર્ચાયેલો છે. વર્તમાનકાલમાં જૈનદર્શનમાં જ કેટલાક પક્ષો પોતપોતાની માનેલી માન્યતાના પક્ષપાતી થયા છતા સાપેક્ષ દૃષ્ટિને ભૂલી જઈ નિરપેક્ષ દૃષ્ટિવાળા થયા છતા જોરશોરથી પોતાની એકાન્તવાતનો જ પ્રચાર કરે છે. અને ૫૦-૧૦૦-૫૦૦ માણસોનો (અને તેમાં પણ ધનવાનોનો) અનુયાયી વર્ગ મળી ગયે છતે પોત પોતાના પક્ષો થાપે છે. તેઓ જો સાચા આત્માર્થી હોય તો આ વાત તરફ ધ્યાન આપવા જેવું છે કે અંધ-પંગુના ન્યાયે જ્ઞાન અને ક્રિયા બન્ને ઉપકારક છે. સાધ્ય-સાધનભાવે નિશ્ચય અને વ્યવહાર બન્ને ઉપકારક છે. સર્ચલકતા હોય કે અચેલકતા હોય પણ નિર્મોહદશા એ મોક્ષનું કારણ છે. પ્રારંભમાં સચેલક રહી અભ્યાસથી મોહને જીતી ઉપલી દશામાં જિનકલ્પાદિ લેવાના અવસરે અચેલક થાય તો તે બન્ને યથાસ્થાને ઉપકારી છે. સાલંબનાવસ્થામાં મૂર્તિપૂજા અને મંદિર ઉપકારી છે. નિરાલંબનાવસ્થામાં તે બાહ્ય આલંબનો છોડવાં પડતાં નથી. પરંતુ આપોઆપ છુટી જાય છે.
આ રીતે જો સાપેક્ષદૃષ્ટિ આવી જાય તો કલ્યાણ થતાં વાર ન લાગે. નિરપેક્ષદૃષ્ટિએકાન્તવાદ એ જ સઘળું બાધકતત્ત્વ છે. આ જ મહા મિથ્યાત્વ છે. આ ગ્રંથકારશ્રી તો એમ કહે છે કે આ બધી તીર્થંકરપ્રભુની આશાતના છે. વિવેકી સમજુ આત્માઓએ આ પાઠમાંથી ઘણું ઘણું શીખવા જેવું છે. અને સાપેક્ષ દૃષ્ટિવાળા બનીને બધા ભાવો યથાસ્થાને ઉપકારક થાય તેમ જોડવા જોઈએ. ॥ ૫૩ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org