________________
સ્વતંત્ર કર્તુત્વનો સ્વીકાર
વૈજ્ઞાનિક ધર્મની એક કસોટી છે - પોતાનાં કાર્યો માટે પોતાને જ જવાબદાર માનવું. ઘણા લોકો પોતાના કાર્ય માટે પોતાને જવાબદાર નથી માનતા, તેઓ પરિસ્થિતિ કે પરમસત્તાને જવાબદાર ગણાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. હું શું કરું, પરિસ્થિતિ જ એવી હતી તેથી આવું કાર્ય થઈ ગયું! હું શું કરું, પરમાત્માની એવી જ મરજી હતી તેથી એમ થઈ ગયું !પરમાત્માની ઈચ્છા વગર એક પાંદડું પણ હાલતું નથી તો પછી કર્તુત્વને હું કઈ રીતે મારા માથે લઈ લઉં ? આવી પરિસ્થિતિ અને પરમસત્તાની પરતંત્રતાએ માનવીની સ્વતંત્રતા તથા જવાબદારી ઉપર પડદો પાડી રાખ્યો છે. જ્યાં સુધી માણસ કર્મ માટે પોતાની જવાબદારીનો અનુભવ ન કરે, ત્યાં સુધી તે પોતાની સ્વતંત્ર ચેતનાનો વિકાસ કરી શકતો નથી. સ્વતંત્ર ચેતનાનો વિકાસ થાય એ આજની ખૂબ મોટી અપેક્ષા છે. તેના અભાવે વિકાસમાં અવરોધ બનનારા અનેક માનસિક ભ્રમ પેદા થયા છે. એવી ભ્રાંતિઓમાં જીવનાર વ્યક્તિ પોતાની યાંત્રિક ચેતનાથી મુક્ત થઈ શકતી નથી.
કર્મ સર્વેસર્વા નથી
કર્મનો સિદ્ધાંત ધર્મની વૈજ્ઞાનિકતાનું સ્વયંભૂસાક્ષ્ય છે. ઘણા બધા ધર્મો કર્મના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે પરંતુ તેની એકાંગિતાનો સ્વીકાર કરીને માણસને યંત્ર બનાવી દે છે. જે કાંઈ બને છે બધું કર્મ દ્વારા જ થાય છે એ ચેતનાનું યાંત્રિકીકરણ છે. હકીકતમાં તે ઈષ્ટ નથી. કર્મ માનવીની ચેતનાને પ્રભાવિત કરનારું એક તત્ત્વ છે. તે સર્વેસર્વા નથી. કાળ, સ્વભાવ, પુરુષાર્થ, નિયતિ વગેરે અનેક તત્ત્વો છે કે જે માણસની ચેતનાને પ્રભાવિત કરે છે. ચેતના માત્ર પ્રભાવિત જ નથી, અપ્રભાવિત પણ છે. જો માત્ર પ્રભાવિત હોવાની વાત હોય તો તેનું પોતાનું અસ્તિત્વ જોખમમાં પડી શકે છે. તેનામાં અપ્રભાવિત રહેવાની ક્ષમતા છે કે જેથી તે પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે.
આ સમન્વિત પ્રક્રિયા દ્વારા માણસનાં બહુમુખી વ્યક્તિત્વ અને તેનાં વિવિધ કાર્યોની વ્યાખ્યા આપી શકાય છે. વ્યાખ્યાનો આ સર્વાગીણ અને સમન્વિત દૃષ્ટિકોણ જ ધર્મની વૈજ્ઞાનિકતા છે. એકાંગી દૃષ્ટિકોણ ધર્મને અવૈજ્ઞાનિક બનાવી મૂકે છે. સાપેક્ષતા અને સમન્વયનો દૃષ્ટિકોણ વર્તમાન ચિંતનની એક પ્રવિત્ર ધારા છે. તેના દ્વારા સત્યના મહાસાગરના અતલ ઊંડાણનું નિમજ્જન કરી શકાય છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 182
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org