________________
પ્રવેશક
જગતના ધર્મપુરુષોમાં ભગવાન મહાવીર અદ્વિતીય છે અને તેમણે પ્રસ્થાપિત કરેલી સાધનાપદ્ધતિ પણ વિશિષ્ટ રહી છે. તેનું મુખ્ય કારણ છે તે તેમનું તત્ત્વચિંતન જે બધાથી નિરાળું છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે આત્મા અને પરમાત્મા એમ બે ભિન્ન નથી. આત્મામાં જ પરમાત્મા બનવાની ક્ષમતા છે પણ આત્માની અનંત શક્તિઓ આવૃત થયેલી છે તેથી તે પરમાત્મા બની શકતો નથી. મહાવીરનો માર્ગ આત્મામાંથી પરમાત્મા બનવાનો છે. જેમ બીજમાંથી વૃક્ષ થાય છે કારણ કે એ નાનકડા બીજમાં વટવૃક્ષ થવાની ક્ષમતા છે તેમ આત્મા જ પરમાત્મા બની શકે છે. આત્માની બહાર કોઈ પરમાત્મા વસતો નથી. જીવ બહિર્ભાવોમાં રમતો હોય છે ત્યારે તે બહિરાત્મા છે. જ્યારે જીવ અંતર્મુખ બનીને અંતરના ભાવોને સ્પર્શે છે અને તેને પકડે છે ત્યારે ત્યારે તે અંતરાત્મા બને છે. અંતર્મુખ થયેલો જીવ આત્માને આવૃત કરતાં - ઢાંકી દેતાં બધાં પડળોને દૂર કરી નાખે છે ત્યારે તે પરમાત્મા બની જાય છે.
જૈનદર્શને મોક્ષ કે મુક્તિ વિષે પણ આગવું ચિંતન કર્યુ છે. જૈન મતે મોક્ષ ભૌગોલિક છે તેના કરતાં ભાવાત્મક વધારે છે. જીવે પોતાનો મોક્ષ કરવાનો છે – કર્મનાં બંધનોમાંથી જીવે પોતે જ મુક્ત થવાનું છે. આ માટે જીવે પોતે પુરુષાર્થ કરવાનો છે. એમાં પરમાત્માના અનુગ્રહથી કામ ન સરે. જીવનો મોક્ષ ઈશ્વરેચ્છાને આધીન નથી. મુક્તિ માટે જીવે પોતે સંકલ્પ કરી પુરુષાર્થ કરવાનો છે. જૈનોને મતે ઈશ્વર પણ આપણા સમાન જીવ છે, જે પોતાનાં બધાં કર્મોને ખપાવીને પરમાત્મા બની ગયો છે. આપણે તેને ભગવાન ગણી સેવા-પૂજા-વંદન-અર્ચન કરીએ છીએ તે એક આલંબન લેવા માટે. ભગવાન જેવું કોઈ પુષ્ટ આલંબન નથી પણ તે કંઈ મદદ કરવા ન આવે. ભગવાન આપણને તારે નહિ પણ તેણે બતાવેલો માર્ગ આપણને તારે. તરવાનું તો આપણે જ છે. મોક્ષની વાત અન્ય દર્શનોએ કરી છે પણ તેમની મોક્ષ વિષેની કલ્પના અને જૈનદર્શનની કલ્પનામાં પાયાનો ભેદ છે અને તેથી તો જૈન સાધનામાર્ગ અન્ય દર્શનોથી જુદો પડે છે. વેદાંતનો મોક્ષ સાધનાની ચરમસીમા છે અને તેનું ફળ બ્રહ્મલીનતામાં છે. બૌદ્ધોને મતે ક્લેશરહિત ક્ષણ તે જ મોક્ષ છે જ્યારે જૈનોને મતે અનંત ચતુષ્ટયીનો આવિર્ભાવ મોક્ષ છે. અનંત ચતુષ્ટયી એટલે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અવ્યાબાધ સુખ. આત્મામાં આ અનંત પડેલું જ છે પણ તે દબાયેલું છે. સાધના દ્વારા ઉપરનાં આવરણો
VII
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org