________________
પપ૦
શંકા-સમાધાન ધનનો ખર્ચ થઇ રહ્યો છે તે ધન જૈનોની વસતિ વધારવામાં તથા ગરીબ જૈનોને મદદ કરવામાં વપરાય તો જૈનો વધે કે નહિ ?
સમાધાન– શ્રદ્ધાસંપન્ન જૈનો વધે, એ દરેક જૈનનું કર્તવ્ય છે. દર્શનાચારના આઠ આચારોમાં છેલ્લા ચાર આચારો આ કાર્ય માટે જ જણાવ્યાં છે. ઉપબૃહણા આચારથી જેની ઉપબૃહણા કરવામાં આવે તે જૈન ધર્મમાં સ્થિર થાય અને આગળ વધે. સ્થિરીકરણ વાત્સલ્ય આચારથી જૈનો ધર્મમાં સ્થિર થાય અને આગળ વધે. પ્રભાવના આચારથી નવા નવા જૈનો વધે. કેવળ ધનના વ્યયથી જ નવા જૈનો બને એવું નથી. ચુસ્તપણે આચારના પાલનથી પણ નવા જૈનો વધે. આથી જૈનોને વધારવા માટે ચતુર્વિધ સંઘ પોતાના આચારોમાં ચુસ્ત રહે એ પણ બહુ જરૂરી છે. આજે સંઘમાં આચારોની ચુસ્તતા ઘટતી જાય છે. શાસ્ત્રોમાં એવા અનેક દૃષ્ટાંતો છે કે સાધુઓના આચારો જોઈને જૈનેતરો જૈન બની ગયા. માત્ર જૈનોની-નામધારી જૈનોની સંખ્યા વધે એનું મહત્ત્વ નથી. શ્રદ્ધાસંપન્ન અને શક્ય આચારસંપન્ન જૈનો વધે એ મહત્ત્વનું છે. એ માટે આચારપાલન અને ઉપદેશનું પ્રદાન જરૂરી છે. ધનવ્યય નવા જૈનો બનાવવા માટે એટલું ઉપયોગી નથી કે જેટલું બની ગયેલા જૈનોને સ્થિર કરવા અને આગળ વધારવા માટે ઉપયોગી છે. આથી જ દર્શનાચારમાં વાત્સલ્ય આચાર છે. સાધર્મિક વાત્સલ્યનો માત્ર જૈનોને ભોજન કરાવવું એટલો જ અર્થ નથી, કિંતુ ગરીબ સાધર્મિકોને સહાય કરવી એ પણ સાધર્મિક વાત્સલ્ય છે. આથી શક્તિસંપન્ન જૈનોએ સીદાતા સાધર્મિકોને અવશ્ય સહાય કરવી જોઇએ. શક્તિસંપન્ન જૈનો સીદાતા સાધર્મિકોને સહાય ન કરે તો તેમને અતિચાર લાગે. બિનજરૂરી ધર્મતીર્થો ઊભા કરવામાં ધનવ્યયથી થતા લાભ કરતાં સાધર્મિક વાત્સલ્યમાં (સીદાતા સાધર્મિકોને સહાય કરવામાં) થતા ધનવ્યયમાં વધારે લાભ થાય એમ લાગે છે. પણ જયાં નામનાનો-પ્રસિદ્ધિનો મોહ હોય ત્યાં આવો વિચાર ન આવે એ સહજ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org