________________
૩૯૨
શંકા-સમાધાન આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીએ રાજાને સંદેશો મોકલ્યો કે “બે વખત ન આવવું પડે એટલા માટે પોતે આવ્યા નથી. કારણ કે રાજપુત્રનું સાતમા દિવસે બિલાડાથી મૃત્યુ થશે.” આ જાણીને રાજાએ સઘળા બિલાડાઓને નગરમાંથી બહાર કઢાવી નાખ્યા.
સાતમા દિવસે ધાવમાતા જયારે બારણાની પાસે બેસીને રાજપુત્રને સ્તનપાન કરાવી રહી હતી ત્યારે અકસ્માત્ દરવાજાનો લાકડાનો આગળિયો બાળક ઉપર પડ્યો અને બાળક મરી ગયું. આચાર્યે બિલાડાથી મૃત્યુ થશે એમ કહ્યું હતું અને મૃત્યુ લાકડાના આગળિયાથી થયું. આથી રાજાએ આચાર્યને પૂછાવ્યું કે આપે બિલાડાથી રાજપુત્રનું મૃત્યુ થશે એમ કહ્યું હતું અને મૃત્યુ તો આગળિયાથી થયું. આમ કેમ થયું ? આચાર્યે તે લાકડાનો આગળિયો મંગાવ્યો. જોયું તો આગળિયામાં બિલાડાનું મુખ કોતરેલું હતું. રાજાને આ બતાવ્યું.
આ પ્રસંગથી વરાહમિહિરને જૈનો પ્રત્યે દ્વેષ અધિક વધ્યો. મરીને તે વ્યંતર થયો. દ્વેષના કારણે તેણે પ્રતિષ્ઠાનપુરમાં મહામારી જેવો ઉપદ્રવ કર્યો. તેથી જૈન સંઘના ઘણા માણસો મરવા લાગ્યા. આ ઉપદ્રવને દૂર કરવા માટે આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. આ સ્તોત્રના પાઠથી ઉપદ્રવ દૂર થયો. ત્યારથી ઉવસગ્ગહર સ્તોત્ર જૈન સંઘમાં પ્રચલિત બન્યું.
આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીએ છ ગાથાના પ્રમાણરૂપ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી હતી પણ લોકો વાત વાતમાં સ્તોત્રનો ઉપયોગ કરવા માંડ્યા. એથી ધરણેન્દ્ર આવીને શ્રી ભદ્રબાહુ સ્વામી મહારાજાને વિનંતી કરી કે, હે ભગવન્! આ ઉવસગ્ગહર સ્તોત્રની છઠ્ઠી ગાથાને ગોપવીને પાંચ જ ગાથાઓ રાખો. અમે એ સ્તોત્રના પ્રભાવથી પરોક્ષપણે શ્રીસંઘના ઉપદ્રવને દૂર કરીશું. આથી આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીજીએ છઠ્ઠી ગાથા ગોપવી દીધી. ત્યારથી ઉવસગ્ગહર સ્તોત્ર પાંચ ગાથા પ્રમાણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org