________________
પૂર્વદિશાની ક્ષિતિજેથી ઊભરતા ઉદિત નારાયણનાં વિકિરણોથી આકાશનું પ્રાંગણ ગુલાબી રંગની ઓઢણી ઓઢી રહ્યું હતું. પંખીઓના મીઠા કલરવથી નગરશ્રેષ્ઠિ ચાંચદેવના ભવ્ય પાહિનીપ્રાસાદ'નું ઉદ્યાન ગુંજી રહ્યું હતું. ઠંડી વાયુલહરીથી શીતળતાનો સ્પર્શ અનુભવતી પાહિનીદેવીની કાયા મીઠો મધુરો કંપ અનુભવતી ‘પાહિનીપ્રાસાદ'ના વિશાળ ખંડમાં આંટા મારતી ઘડીએ ઘડીએ ગવાક્ષ તરફ દોડી જતી હતી. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી સ્નાનાદિ કાર્યથી પરવારી, એના દેવાલયમાં બેસી પ્રતિક્રમણ કરતી પાહિનીના જીવને આજે શાંતિ નહોતી – ચિત્ત ચકડોળે ચડયું હતું. નમો અરિહંતાણમ્'નો નવકારમંત્ર પણ શાંત ચિત્તે કરી શકતી નહોતી.... આખી રાત અજંપામાં પસાર કરી હતી અને જાગ્યા પછી પણ મન આકુળવ્યાકુળ દશામાં કૌતુકપૂર્ણ આનંદ અનુભવતું હતું. પાહિની, મનની બધી જ વ્યાકુળતાને અરિહંતને શરણે મૂકી ઝરૂખામાં બિછાવેલા રત્નજડિત આસન પર જઈને બેસી ગઈ.
આંખો સામે ધંધુકાનગરીનો રાજપથ પથરાઈ ગયો. સવારનો સમય હતો, નાનાં ભૂલકાંઓને પાઠશાળામાં જતાં જોઈ એનું હૈયું ભરાઈ આવ્યું. પરદેશ પધારેલા કંથ ચાંચ સાથે પ્રસન્નદાંપત્યનો દાયકો વિતાવી ચૂકેલી પાહિનીની કૂખ ખાલી હતી. ખોળાનો ખૂંદનાર દેને રન્ના દે’ની એની પ્રાર્થના આજ સુધી રન્નાદેએ સાંભળી નહોતી, અને એનો રંજ પાહિનીને ઘણો હતો.
પરંતુ આજની રાતની વાત અનોખી હતી. અજંપાની આડશમાં પણ પાહિનીના હૈયામાં ઊંડે ઊંડે અવનવાં સ્પંદનો જાગતાં હતાં... પાછલી પરોઢની નીંદરમાં પલકના હિંડોળે એક અવર્ણનીય સપનું ઝૂલી ઊઠ્યું હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org