________________
દેલવાડાનાં દેરાં
અહીં પણ પટ્ટશાલાનો મોરો અલંકારમંડિત કર્યો છે. ત્યાં વચ્ચેના બે સ્તમ્ભો પરના છા પર હાથીઓ કે મદલોને બદલે મૃણાલનાલને ચાંચ વતી ગ્રહતા હંસોની આકૃતિઓ કોરી છે (ચિત્ર ૬૧) અને ભારપટ્ટના મોવાડ પર ઇશ્ચિકાવલણમાં દેવી મૂર્તિ સપરિવાર કોરેલી છે. સંધાન ભાગની ધ્યાન ખેંચે તેવી છતોમાં જોઈએ તો એકમાં તો વચ્ચે નાગણ સમા ભાસતાં, મંદારવૃક્ષના હોઇ શકે તેવાં પર્ણો વર્તુલાકારે ગોઠવી, તેમાં ગાળાઓ વચ્ચે વચ્ચે ખીલેલાં ચંપક અને મધ્ય બિંદુએ પણ મોટા કદનું ચંપક કોર્યું છે (ચિત્ર ૬૨). તો બાજુની એક અન્ય ચોરસ છતમાં ચોતરફના ભારપટ્ટીને તળિયે જબરાં અર્કપુષ્પ સમી લૂમાઓની શ્રેણિઓ કાઢી, વચ્ચેના ભાગમાં કૃષ્ણજન્મનો કહેવાતો પ્રસંગ (કદાચ એવો અન્ય કોઈ પ્રસંગ) ચતુર્કારવાળી નગરીના મધ્યભાગમાં, આશ્ચર્યકારક અને કલાત્મક વ્યૂહમાં ગોઠવેલ છે. તેમાં બે કર્ણો પર વૃક્ષો (કલ્પવૃક્ષો ?) અને અન્ય બે પર કર્ણસૂત્રે દેવી લક્ષ્મી અને ચક્રેશ્વરીનાં રૂપો બતાવ્યાં છે (ચિત્ર ૬૩). તો નજીક એક છીછરી છતમાં કાગળકટાઈ જેવા સફાઈબંધ કામથી નિષ્પન્ન થતા ત્રણ કોલની આકર્ષક છત પણ જોવા મળે છે (ચિત્ર ૬૪).
૨૭
અને હવે પટ્ટશાલામાં સૃષ્ટિમાર્ગક્રમેણ વિતાનોની શોભા નીરખવા માટે પશ્ચિમ દ્વારથી ડાબી પાંખથી ભમતી ફરવી શરૂ કરીએ. અહીંની ધ્યાન ખેંચે તેવી છતોમાં એકમાં દેવી અંબાની બે વૃક્ષોની સ્થિત આરાધકોની આકૃતિઓમાં સાથેની પ્રતિમા અને બીજી યક્ષી અપ્રતિચક્રા(ચિત્ર ૬૭)ની મૂર્તિ જોવા મળે છે, તો ત્રીજી એવી છતમાં ભગવતી સરસ્વતીનું અંકન જોવા મળે છે, તો છેવટે ખૂણાની, પત્તીઓના થરોથી સંઘટિત, નાભિચ્છન્દ જાતિની છતમાં વિકર્ણીમાં ક્રીડામગ્ન કિન્નર યુગલો બતાવ્યાં છે (ચિત્ર ૬૯). અહીં ઉત્તરની ભમતીમાં નજીક નજીકમાં રહેલા ચારેક જેટલા સમતલ વિતાનોમાં અનુક્રમે દ્વારિકા નગરી અને નેમિનાથના સમવસરણનું દૃશ્ય, નેમિનાથ વિવાહ, જિનજન્મકલ્યાણક, અને પાર્શ્વનાથચરિત્રના ભાવો આલેખાયેલા છે. પણ ભમતીની ઉત્તરી હરોળ આસપાસની એક છતમાં સમતલ લક પર મૃણાલવઠ્ઠીના ચક્રાકાર ઊલટાસૂલટા ગૂંચળાઓમાં વચ્ચે વચ્ચે કિન્નર યુગ્મો, અને એકમાં ગજક્રીડા આદિ સુશોભનોનો કંડારેલો રસકોશ પોતે અભૂતપૂર્વ ન હોવા છતાં ત્યાં જે ચાતુરીપૂર્વક ગોઠવણી કરી છે તે જોતાં એને ધ્યાન ખેંચે તેવી ભાત કહી શકાય તેમ છે (ચિત્ર ૬૮). (કર્ણાટકમાં ૧૧મી સદીના આખરી ચરણમાં બંધાયેલાં બલિગાંવે આદિ કેટલાંક મંદિરોની જાળીઓમાં આ જ હૈતવનું આલેખન થયેલું છે.) આ સિવાય અહીંની બે ઉત્ક્ષિપ્ત પ્રકારની સરસ છતો ચિત્ર ૭૦ તથા ૭૧માં પ્રદર્શિત થયેલી છે. આ ઉત્તર તરફ્ની ભમતીના છેવાડાની કેટલીક છતો અઢી ત્રણ દાયકા પૂર્વે જૂની ભાતોને આદર્શરૂપે નજર સામે રાખીને કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org