________________
દેલવાડાનાં દેરાં
મરીચિકાના પ્રભાવ તળે ભલભલા વિદ્વાનો પણ સંભ્રમમાં પડી જાય છે. વસ્તુતયા વિમલવસતિકાની પરમ શોભાની સંમોહિનીથી તો નિષ્ણાતો પણ અલિપ્ત રહી નથી શક્યા. એના સ્થાપત્યનું અત્યંત સૂક્ષ્મ નિરીક્ષણ અને ઉત્કીર્ણ લેખો તેમ જ વાડ્મયિક પ્રમાણોના પરીક્ષણ દ્વારા કેટલાંક આશ્ચર્યકારક સત્યો હવે પ્રકાશમાં આવી ગયાં છે. મંત્રીશ્વર વિમલે કરાવેલ અસલ મંદિરનો ભાગ એમાં કયો અને કેટલો સમજવો એ પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો છે.
દેલવાડા, વશિષ્ઠાશ્રમ, અને નીચે પશ્ચિમ તળેટીમાં દેવાંગણ અને પાસે જ કરોડીધ્વજમાં મળી છઠ્ઠાથી આઠમા શતક સુધીની ભૂરી, નીલ શ્યામશિલાની કેટલીક માથી લઈ મધ્યકાળના પ્રારંભની બ્રાહ્મણીય દેવપ્રતિમાઓ પ્રાપ્ત થયેલી છે. પણ એ જેમાં સ્થપાયેલી હશે તે પુરાણાં દેવાલયો જોવામાં આવ્યાં નથી. એ સમયનાં મંદિરો ઇંટેરી હોય તો ના ન કહેવાય; પણ મધ્યયુગનાં અહીનાં મંદિરો પાષાણનાં છે. છતાં એ કાળમાંયે આબૂ પર શિલ્પીઓ અને સ્થપતિઓની શ્રેણીઓ સ્થિર થઈ વસી રહી હોવાનો સંભવ ઘણો જ ઓછો છે. સ્થપતિઓને અવિરત આશ્રય ત્યાં તો કયાંથી સાંપડે ? વિમલવસહીની રચના સમયે તક્ષણકારો-શિલ્પીઓ કયાંથી આવ્યા હશે એનો વિચાર કરતાં એક જ સ્થાન હૈયે ચઢે છે : ચંદ્રાવતી. સાચું પૂછો તો એ કાળમાં આબૂની તદ્દન નિકટવર્તી ભૂમિમાં ચંદ્રાવતી એક મહાનું કલાસ્રોત બની ચૂક્યું હતું. અહીંના જ શિલ્પીઓએ આરાસણ અને દેલવાડામાં કામ કર્યું હશે. ચંદ્રાવતીમાં જે કંઈ શિલ્પાવશેષો બચ્યા છે તે, અને મૂળે ત્યાંથી લઈ જઈ અન્યત્ર ખસેડેલ કૃતિઓ જેવા કે મદુઆ(મધુસૂદન)નું તોરણ, ગિરિવર પાસે પાટનારાયણની દ્વારશાખા, અને ઝાડઉલી(ઝાડોલી)ના જૈનમંદિરની શણગાર ચોકીના સ્તંભો અને તોરણોની કલા તેમ જ દેલવાડા અને કુંભારિયાનાં જૈનમંદિરોનાં અલંકૃત સ્તંભોની કલા વચ્ચે એટલી સમતા અને સમીપતા છે કે તે સ્થાનોના શિલ્પીઓના કુળનો ચંદ્રાવતી સાથેનો ઘનિષ્ઠ સંબંધ તદ્દન નિશ્ચિત બની રહે છે. ભૌગોલિક દૃષ્ટિએ પણ આ ત્રણે સ્થાનો એકબીજાની ઠીકઠીક નિકટ રહેલાં છે.
મંત્રીશ્વર વિમલે નિર્માણ કરાવેલી વસતિકા આ પ્રકારની હતી. મૂળ ખડકાળ ભૂમિ પૂર્વ તરફ જરા ઢાળવાળી છે; એટલે જ્યાં જ્યાં ઢાળ નડતો હશે ત્યાં પૂરણી કરી, નીચી થી જગતી જેવું કરી લેવામાં આવ્યું. એ ભૂમિ પર ગર્ભગૃહયુકત મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, અને છચોકીની રચના વિમલમંત્રીએ કરાવી. સારુંયે બાંધકામ અત્યંત સાદાઈભર્યું, કાળા પથ્થરનું હતું. જે કંઈ થોડું રૂપકામ હતું તે મોટા ભાગનું આરસમાં કરેલું. આમ કેમ બન્યું હશે ? ધનાઢ્ય મનાતા ને ચંદ્રાવતીશ ગણાતા મંત્રીશ્વરનું સમસ્ત મંદિર આરસનું અને અલંકારપૂર્ણ શા માટે નહીં હોય ? સંભવતયા સંચારવ્યવસ્થાની મુશ્કેલીઓને કારણે બાંધકામ માટેના મોટા કદના આરસના ખંડો નીચેથી ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org