________________
ભય સાતમો )
હસ્તિનાપુર નગર એટલે આ જંબૂદ્વિપના ભારતક્ષેત્રના કુરુદેશની શોભા. એમાંય રાજા શ્રીષેણ એટલે તો તે નગરની મહાન વિભૂતિ. તેને શ્રીમતી નામની રાણી હતી. આ રાણીએ શંખ જેવા આકારનો ઉજ્વળ પૂર્ણ ચંદ્ર પોતાના મુખમાં પ્રવેશતો જોયો. તે સ્વપ્નના ફળ વિષે સ્વપ્ન પાઠકોએ જણાવ્યું કે તે રાણીને એવો ઉત્તમ પુત્ર થશે જે સૌ શત્રુઓનો નાશ કરનાર બનશે. આ વાતથી સૌ ખુશ થયા.
સમય પસાર થતા રાણી શ્રીમતીએ સર્વ લક્ષણોથી પૂર્ણ એવા પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર બીજુ કોઈ નહીં પણ આરણનામના દેવલોકમાંથી ચ્યવીને આવેલો અપરાજિતનો જીવ. આમ આ રીતે પથમ ભવમાં જે ધનકુમાર હતો તેનો જીવ અનુક્રમે સાતમાં ભવે આ રાજકુમાર તરીકે જન્મ પામ્યો. માતા-પિતાએ ઉલ્લાસપૂર્વક પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો. પુત્રનું નામ શંખકુમાર રાખવામાં આવ્યું. અપરાજિતનો મિત્ર વિમળબોધનો જીવ આરણ દેવલોકમાંથી ચ્યવીને શ્રીષેણ રાજાના મંત્રી ગુણનિધિના પુત્ર તરીકે અવતર્યો. તેનું નામ મતિપ્રભ પાડવામાં આવ્યું. પૂર્વ ભવ અનુસાર આ ભવે પણ શંખકુમાર અને મતિપ્રભ વચ્ચે ગાઢ મિત્રતા સ્થપાઈ.
એક વખત તે નગરની સીમમાં રહેતા લોકોએ રાજા શ્રીષેણને જણાવ્યું કે ચંદ્રશશિરા નદીને કાંઠે ખૂબ જ શકિતશાળી એવો સમરકેતુ નામનો પલ્લિપતિ એટલે કે ચોરનો રાજા પર્વત પર એક કિલ્લો બંધાવી રહ્યો છે. એ રાજા નગરના લોકોની સંપત્તિ લૂંટી જશે. આ વાત સાંભળી રાજા શ્રીષેણે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ તે પલ્લિપતિને પકડી લાવશે તેને યોગ્ય બદલો આપવામાં આવશે. આ વાત શંખકુમારે પણ સાંભળી. તેણે માતા-પિતા પાસે આ ભગીરથ કાર્ય કરવાની સંમતિ માગી. પિતાની આજ્ઞાથી તે સૈન્ય સાથે તે ગામ ગયો. પલિપતિને ખબર પડતા જ તે ત્યાંથી નાસી ગયો અને બીજે કયાંક કપટથી સંતાઈ રહ્યો. શંખકુમારે ગામ કબજે કર્યું અને તે પણ ઝાડની ઘટામાં સંતાઈ રહ્યો. આ વાતની ખબર પડતા તે રાજા શંખકુમાર સાથે લડવા બહાર નીકળ્યો. તે માનતો હતો કે પોતે બળવાન છે એટલે તેની જ જીત થશે. પરંતુ શંખકુમારે થોડી જ વારમાં તેને હરાવ્યો. તેણે જે જે વસ્તુઓ ચોરી લીધી હતી તે જે તેને પાછી આપી. આ રીતે શંખકુમારે પોતાની શકિતનો પરિચય કરાવ્યો. તે ચોરોને પાછા લઈ આવતા રસ્તામાં જયારે તેઓ એક છાવણીમાં રાત્રે સુતા હતા ત્યારે કોઈ સ્ત્રીના રૂદનનો અવાજ સંભળાયો. શંખકુમાર તે દિશામાં ગયો. એક સ્ત્રી વૃક્ષ નીચે બેઠી બેઠી રડતી હતી. શંખકુમારે તેને રડવાનું કારણ પૂછયું, ત્યારે તે સ્ત્રીએ કહ્યું " હે કુમાર! અંગદેશની ચંપાપુરી નગરીના જિતારી રાજાને યશોમતી નામની રૂપવાન અને ગુણવાન કુંવરી છે, જયારથી તેણે શ્રીષેણ રાજાના કુંવર શંખકુમારના ગુણો વિષે સાંભળ્યું છે, ત્યારથી તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો હતો. પરંતુ મણિશેખર નામના એક વિદ્યાધરે તેનું હરણ કર્યું. હું તેની ધાવ માતા છું. તેની સાથે હું પણ નીકળી હતી. તે વિદ્યાધર મારી પાસેથી બળજબરીપૂર્વક યશોમતિને લઈ ગયો છે તેથી હું રડુ છું". આ વાત સાંભળી તે સ્ત્રીને સાંત્વન આપી શંખકુમાર ત્યાંથી તેની શોધમાં નીકળ્યો. થોડે દૂર પર્વતની ગુફામાં તેણે એક સ્ત્રીને પ્રાર્થના કરતી જોઈ. તે બાજુમાં રહેલા પુરૂષને પોતાને છોડી દેવાની વિનંતી કરતી હતી. શંખકુમારને ખ્યાલ આવી ગયો કે તે સ્ત્રી જ યશોમતિ હશે. તે તરત સિંહની માફક વિધાધર પર ત્રાટક્યો અને યશોમતિને કહ્યું, "તું જેને મનથી ચાહે છે એવો તારો પ્રાણનાથ હું પોતે જ શંખકુમાર છું".
(13)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org