________________
ભગવાન શ્રી ઋષભદેવ
વૈશાખ માસના એ દિવસો હતા. પૃથ્વીનાથની સંસાર ત્યાગની ઘડી આવી પહોંચી. તેમણે રાજા-પ્રજા સૌને ભેગા કર્યા. હિતોપદેશ આપ્યો.
દેવો તથા માનવોથી ઉપાડેલી શિબિકામાં તેઓ આરૂઢ થયા. સુંદર ઉપવન પાસે જઈ આભૂષણોનો ત્યાગ કરી તેમણે સ્વયં મુષ્ટિ-લોચ શરૂ કર્યો. સ્વજનો અને પ્રજાજનો, આબાલ-વૃદ્ધ સૌના ચક્ષુઓ અશ્રુથી છલકાઈ ગયા. ચાર મુષ્ટિ-લોચ જોયાં પછી માતા મરુદેવા અને સુમંગલા પોતાની જાતને સંભાળી ન શક્યા અને આક્રંદ કરી ઊઠયા. ઇન્દ્રની વિનંતીથી પ્રભુએ પાંચમી મુષ્ટિ પાછી વાળી અને સ્વયં વનની વાટે આગળ વધ્યા. ફાગણ વદ આઠમને દિવસે પ્રભુએ સર્વ સંગ પરિત્યાગ કર્યો.
બ્રાહ્મી – સુંદરીની પાંપણે જાણે પાણિયારું બંધાઈ ગયું પણ પ્રભુ તો સંસારથી અસંગ થઈ ચાલી નીકળ્યા અને મૌનપણે વિહાર કરી ગયા.
"માદિમ નિષ્પરિગ્રહ.”
પૃથ્વીનાથ સાથે જેમની અતિપ્રિયતા હતી, તેવા રાજા અને પ્રજાજનો પણ હજારોની સંખ્યામાં તેમની પાછળ નીકળી પડ્યા.
પ્રભુ જ્યાં જતાં ત્યાં સૌ તેમનો સત્કાર કરતા હતા. કુદરત પણ તેમને જોઈને પ્રસન્ન થતી. ફળથી લચી પડેલાં વૃક્ષો, ઝરણાં કલકલ કરીને જાણે સાદ આપતા હતાઃ પધારો, પધારો” વળી કોઈ પ્રદેશના માનવો તેમની પાસે હીરા, સોના, કન્યા અને ખાદ્ય પદાર્થો ધરે છે પણ પ્રભુ કાંઈ લેતા નથી. એ જ મૌન, એ જ ત્યાગ, એ જ તપ, પ્રભુ દૂર દૂર વિહાર કરી જાય છે. આથી તેમની પાછળ નીકળેલા રાજા અને પ્રજાજનો મુંઝાયા. અને છેવટે તેઓ કચ્છ મહાકચ્છના માર્ગદર્શનથી સંયમ પાળવા લાગ્યા. નદીકિનારે વસીને તાપસચર્યા પાળવા લાગ્યા, પણ પાછા સંસારમાં ન ગયા.
આમ છ માસના વહાણા વાયા અને પ્રભુ ગ્રામ-નગરની દિશામાં વળ્યાં. હવે દેહને ભાડું આપવાની આવશ્યકતા જણાઈ, પણ રાજા થઈને ખોરાકની ભીખ માંગે તે વાત લોકોની સમજમાં કેમ આવે? લોકો હાથી ઘોડા, સોના, રૂપા, અરે ! કન્યાઓ પણ લઈને પોતાના રાજાને દર્શને આવતાં, પણ પ્રભુ તો નિષ્પરિગ્રહી હતા. ફકત નિર્દોષ આહારની જ જરૂર હતી.
લોકો વિચારે છે કે પ્રભુ કંઈક માંગે છે ! પણ શું માંગે છે? આપીએ તો લેતા નથી. દીક્ષા કાળ છ માસ પછી બીજા છ માસ એમ જ પસાર થયા. પ્રભુ હસ્તિનાપુર નગરમાં પધાર્યા. પ્રભુના સ્વાગત માટે માનવગણ ઉભરાઈ ગયો. અનેક મૂલ્યવાન વસ્તુઓ હાજર કરવામાં આવી, પણ પ્રભુને કાંઈ જ ખપતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org