________________
શ્રી નલિયા તીર્થ - મોટી પંચતીર્થી
''વીરવસહી'
શ્રી જખૌ તીર્થથી શ્રી નલિયા તીર્થ -૧૩કિલોમીટર દૂર છે. કચ્છના સાહસિક અને દાનશૂર મહાજનોએ કચ્છને સુખી કરવામાં, દેશ, ધર્મ અને સમાજની સેવામાં સત્કાર્યો કરીને પોતાના નામને ચિરસ્મરણીય બનાવ્યું છે. એમાં શ્રેષ્ઠિ નરશી નાથાનું સ્થાને આદર અને ગૌરવભર્યું છે. કોઠારા નગર શ્રેષ્ઠિ નરશી કેશવજી નાયકના જીવન અને ધર્મકાર્યોથી ગૌરવશાળી બન્યું છે. તેમ નલિયા ગામ શ્રેષ્ઠિ નરશી નાથાના જીવન અને ધર્મકાર્યોથી ગૌરવશાળી બન્યું છે.
નલિયા ગામને કચ્છની મોટી પંચતીર્થીનું સ્થાન મળ્યું તે શ્રેષ્ઠિનરશી નાથાની ધર્મશ્રદ્ધા અને ઉદારતાના પ્રતાપે જ. આ ધર્મ પુરુષે ગચ્છનાયક શ્રી મુકિતસાગરસૂરિજીના ઉપદેશથી પોતાના વતન નલિયામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું ભવ્ય સુંદર જિનાલય બંધાવીને એની પ્રતિષ્ઠા સંવત ૧૮૯૭ મહા સુદ-૫ (વસંતપંચમી) બુધવારના રોજ આચાર્ય શ્રી મુકિતસાગર સૂરીશ્વરજીની નિશ્રામાં કરાવી જિનાલયનું નામ 'વીરવસહી' આપ્યું. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની ૭૫ સે.મી. ની પદ્માસનસ્થ શ્વેત પ્રતિમાજી છે. વિશાળ સોળ શિખરો અને ચૌદ મંડપોવાળું મંદિર તેની કલા માટે પ્રસિદ્ધ છે.
આ જ ચોગાનમાં બીજાં ૨ મંદિરો છે : (૧) શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર (૨) શ્રી અષ્ટાપદનું દેરાસર
શેઠનરશી નાથા અને તેમના ધર્મપત્નીની મૂર્તિ છે તથા બીજી મૂર્તિ શેઠ નરશી નાથા, તેમના ધર્મપત્ની તથા પુત્ર સાથેની છે.
અહીં ધર્મશાળા, ભોજનશાળા, આંબલશાળા, પાઠશાળા, જ્ઞાનમંદિર, બાલાશ્રમ, કન્યાશાળા, સદાવ્રત, મહાજનવાડી વગેરે અનેક સંસ્થાઓ છે. પેઢી - શ્રી કચ્છ દશા ઓસવાળ જૈન મહાજન છે. જૈન દેરાસર, મુ.પો. નલિયા પિ.કો ન. ૩૭૦ ૬૫૫ તા. અબડાસા (કચ્છ) તારઘર - ટેલિફોન નં. ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org