________________
૩૪૬
પ્રેમ-પંક “અને મારાં આંસુ–મારી વેદનાની તને કશી પડી જ નથી?”
“સરકાર, આપ એવા શબ્દો ન વાપરતા, આપ જાણો છો કે, મારાથી આપના મુખના એ શબ્દો સાંભળ્યા જતા નથી; મને ચાહો છો તેથી જ આપને ફરી ફરી વિનંતી કરું છું કે, મને હવે પડતી મૂકો.”
“લુઇઝા, હું હવે તને પગે પડીને વિનંતી કરું છું કે, તું જેમ કહીશ તેમ હું કરીશ – માફી આપવાનું કહીશ તો માફી આપીશ અને સજા કરવાનું કહીશ તો સજા કરીશ –- પણ મને તું પડતો ન મૂકીશ.”
સરકાર, હું આપને હુકમ આપનાર કોણ?”
“તું મારી જિંદગી છે – મારું સર્વસ્વ છે; તને શી રીતે સાબિત કરી બતાવું?”
“તો મને આપ હજુ ચાહો છો, સરકાર?”
“હું પરમાત્મા સમક્ષ – તારી સમક્ષ ઘૂંટણિયે પડીને કહું છું કે, હું તને ચાહું છું તને ચાહું છું – બીજા કોઈને નહિ – મારી જાતને પણ નહિ.”
તો સરકાર એક વખત મારો હાથ આપના હાથમાં પકડો; મારા જીવનનું એ પરમ સુખ હશે. એ પરમ સુખ મને બક્ષીને, પછી એ સુખને આંચ ન આવે તેવી રીતે જીવવા આ મઠમાં આપને હાથે જ મને સોંપી દેજો.”
“કદી નહિ, કદી નહિ; હું તારે માટે જ જીવવા ઇચ્છું છું, અને તારી સાથે જ મરવા પણ ઇચ્છું છું. તારા વિના મારે જીવવું મંજૂર નથી. જો તું મને સુખી થયેલો જોવા ઇચ્છતી હો, તો તારે મારો હંમેશને માટે સ્વીકાર કરવો જ રહ્યો.”
પણ સરકાર, રાજદરબારમાંથી મને લાંછિત કરીને કાઢી મૂકવામાં આવી છે. એવી સ્ત્રી આપને માટે લાયક ન કહેવાય.”
“વાહ, જેને હું સ્વીકારું તે નાલાયક શી રીતે કહેવાય?”
“સરકાર, આપ સ્વીકારો તો પણ આપની રખાત તરીકે સ્વીકારી શકો; અને રખાત કદી તેના પ્રેમીને કશું ગૌરવ ન અર્પી શકે, – રાજદરબારમાં તેનું કશું સ્થાન ન હોય તો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org