________________
સભા:- પ્રશસ્ત કષાય, અપ્રશસ્ત કષાય બધા લેવાના?
સાહેબજી:- હા, બધા જ કષાય લઈ લેવાના. પ્રશસ્ત કષાય પણ આત્માનો સ્વભાવ નથી. માટે સમતામાં જતાં પહેલાં પ્રશસ્ત કષાય પણ મૂકવાના છે. આત્માનું ઊંચું સુખ મેળવવા માટે પ્રશસ્ત કષાય પણ છોડવા પડે. કડવા કારેલાના રસને અપ્રશસ્ત કષાય કહ્યા છે. કારેલાને સીધા સમારીને મોંમાં મૂકો તો શું થાય? અને તે જ કારેલાને મીઠું નાખી કડવાશ કાઢી નાંખો, પછી ગોળ નાંખો, મસાલો નાંખો, અને વધારીને સ્વાદિષ્ટ શાક બનાવો તો પણ મૂળથી કડવાશ તો રહેવાની જ. જેને ભાવતું હોય તે ચપચપ ખાઈ જાય, પણ સાવ કડવાશ જશે નહીં. અપ્રશસ્ત કષાય પ્યોર કારેલા જેવા છે, પ્રશસ્ત કષાય મસાલેદાર કારેલા જેવા ટેસ્ટી છે; પણ કારેલાના બદલે કેરી નથી, કડવાશ તો રહેવાની. એટલે પ્રશસ્ત કષાય કે અપ્રશસ્ત કષાય બંને આત્માનો સ્વભાવ નથી, તેથી અંતે તેમને છોડવાના છે, પણ અત્યારે તો મસાલેદાર ટેસ્ટી કારેલાં ખાવાનાં પણ છે, એટલે કે પ્રશસ્ત કષાય કરવાના છે.
સભા - પરંતુ સાહેબ ! કારેલાના ગુણ કડવા ન હોય.
સાહેબજી - તમે ગુણ સુધી ધ્યાન રાખો તેવા છો? કે તમને તો તત્કાળ મીઠું ફળ જોઈએ છે? મોંમાં મૂકી ને મધુર સ્વાદ જોઇએ છે. કારેલાની કડવાશ ફળરૂપે નથી, સ્વાદરૂપે છે. કારેલા પણ લિમિટમાં ખાઓ તો ગુણકારી, વધારે ખાઓ તો નુકસાન થાય, તે ખબર છે? અપ્રશસ્ત કષાય એટલે ગમે ત્યારે વગર બોલાવે ટપકી પડે. તેના દોરવાયા તમે દોરવાઓ છો. ઘણાને ભૌતિક દૃષ્ટિએ પણ કષાય ખરાબ લાગે છે, કરવા નથી, પરંતુ જાત કે મન ઉપર કંટ્રોલ નથી રહેતો, માટે ક્રોધ કરે છે. કમાન છટકે પછી ભાન ન હોય કે શું બોલું છું? ગમે તેમ ક્રોધ ઊછળી પડે. જેના પર કાબૂ નથી, જેમાં ભાન નથી, સૂઝ નથી એવો ગુસ્સો અપ્રશસ્ત કષાય કહેવાય. જયારે પ્રશસ્ત કષાય તો આવશ્યકતા ઊભી થાય ત્યારે જ મર્યાદિત પ્રમાણમાં થાય.
સભા :- એટલે રીમોટ કંટ્રોલ હાથમાં જોઈએ. સાહેબજી:- અત્યારે કોના હાથમાં છે?
સભા:- રીમોટ જ કંટ્રોલ છે. (અમારા ક્રોધનો કંટ્રોલ દૂર રહેલી બીજી વ્યક્તિના હાથમાં જ છે.)
સાહેબજીઃ- જેનો રીમોટ જ કંટ્રોલ છે, તેવા કોઇ પણ વાહનમાં તમે બેસો ખરા? બેસો તો મરી જાઓ કે જીવો ? અત્યારે તમારી કરુણ સ્થિતિ છે. ભૌતિક દૃષ્ટિએ પણ કષાયને કાબમાં નથી લઈ શકતા. તે તમારી મોટી નબળાઈ છે.
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org