________________
સાધુને પણ જે ક્રિયા કરતા હોય તેનો જ વિચાર કરવાનો કહ્યો છે. ભગવાન મહાવીર ગોચરી વહોરવા જાય ત્યારે ફક્ત ગોચરીમાં જ ઉપયોગ રાખે, તે વખતે આત્માના ધ્યાનનો વિચાર ન કરે. મન બીજે જાય તો તે ક્રિયા યોગ્ય રીતે ન જ કરી શકાય. જે વખતે જે ક્રિયા કરતા હો તે વખતે તેમાં જ ઉપયોગ રહેવો જોઇએ. સમગ્રતાથી તેમાં પરોવાવાનું છે. છતાં પ્રભુ મહાવીર ગોચરીના કે ભોજનના વિચારમાં હોય ત્યારે પણ તેમનું વ્યક્તિત્વ બીજી સામાન્ય વ્યક્તિ તુલ્ય બનવાનું નથી. કારણ કે તેમનું ભાવમન ત્યારે પણ અત્યંત વિશુદ્ધિ યુક્ત છે.
ચોવીસ કલાક દરમ્યાન તમે તમારા સારા-ખરાબ વિચારોનું વાચન કરો તો તમને હસવું આવે. તમારા પર મનની ગતિ અસાવધાનીપૂર્વક થતી હોય છે. છતાં એક વખત ખરાબ તો બીજી વખત સારા વિચારો જે આવે છે તે તમારી અંદરની વૃત્તિઓને જ આભારી છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ જે ઉચ્ચ મહાત્મા થઈ ગયા તે મહાન સમ્રાટ હતા. તેમણે વૈરાગ્યનું નાનું સરખું નિમિત્ત મળતાં સામ્રાજ્ય ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. એક વખત રાણીએ એમના માથાનો ધોળો વાળ જોતાં તેમને કહ્યું કે “યમનો દૂત આવ્યો છે,” આટલું સાંભળવા માત્રથી તેમને વિચાર આવ્યો કે “ઘડપણ હવે નજીક આવ્યું છે. વાર્ધક્ય આવવા છતાં હું હજી રાજ કરું છું?” આ રાજર્ષિનું વ્યક્તિત્વ કેવું હશે? વિચારો, આદર્શો કેટલા ઊંચા હશે? આટલા નાના નિમિત્ત માત્રથી દીક્ષા લઇ ભગવાન મહાવીરના શિષ્ય થઇ તેઓ રાજમાર્ગ પર એક વખત અતિ દુષ્કર સાધના કરી રહ્યા હતા. શ્રેણિક મહારાજા આ જ સમયે સવારી સાથે પસાર થઈ રહ્યા હતા. તેમણે આ રાજર્ષિને જોઈને ઉમળકો આવવાથી, હાથીની અંબાડી પરથી નીચે ઊતરી બહુમાનપૂર્વક તેમને વંદના કરી. આ વખતનું તેમની સાધનાનું બાહ્ય સ્વરૂપ જોઇને કોઇપણ અંજાઈ જાય તેવું હતું. જયારે આ સવારી જઈ રહી હતી ત્યારે રસાલામાં પ્રારંભ સ્થાને સુમુખ અને દુર્મુખ નામના બે દૂતો પણ સામેલ હતા. તે વખતે સુમુખે આ રાજર્ષિના ત્યાગ અને સંયમનાં વખાણ કર્યા, પરંતુ દુર્મુખે આ વખાણ સહન ન કરી શકવાથી કપોલકલ્પિત વાત ઉપજાવી કાઢીને કહ્યું કે “જેનાં તમે વખાણ કરો છો તે વ્યક્તિએ જીવનમાં યોગ્ય કર્યું નથી.” બનેલું એવું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ નાના પુત્રના જન્મ પછી તરત જ દીક્ષા લીધી હતી અને મંત્રીના ભરોસે રાજય છોડીને ચાલી નીકળ્યા હતા. જેથી દુર્મુખે વાત આગળ લંબાવીને કહ્યું કે “રાજા તો પોતે જવાબદારી છોડી ચાલી નીકળ્યા છે, ને પાછળ તો દીકરો ઘરબાર વગરનો ફરે છે.”
અત્યારના વખતમાં દીક્ષા લેનાર માટે આવું જ બોલાતું હોય છે ને ? રાજર્ષિ આવી કપોલકલ્પિત વાતને સાચી સમજીને ક્રોધિત થયા હતા. આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, આર્યપરંપરાના સમ્રાટ હતા અને ક્ષત્રિય હતા. તેથી અન્યાય-અનીતિ પ્રત્યે આ સમયે દ્વેષ આવવાથી વિચારે
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org