________________
૯૦૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
રોજ સવારે માતા-પિતાને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવે છે. પાંચેક વર્ષની ઉંમરથી જ એ પોતાના પિતાશ્રી સાથે સ્કૂલમાં રજા હોય ત્યારે પૂજનમાં બેસતો. આજે ૧૧ વર્ષની ઉંમરે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તેમ જ શ્રી બૃહત્ શાંતિસ્નાત્ર જેવાં પૂજનો પણ પુસ્તક કે પ્રતના આધાર વિના જ અત્યંત શુદ્ધ ઉચ્ચારપૂર્વક તે મોઢે ભણાવી શકે છે!!!
પૂજનો દરમિયાન અભિષેક વખતે પ્રભુજીના જન્મકલ્યાણકની ઉજવાણી પ્રસંગે હરણેગમેષી દેવનું પાત્ર તે ખૂબ જ અદ્ભુત રીતે ભજવે છે.
રોજ સવારે ૨-૨ કલાક સુધી દેરાસરમાં સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી જિનપૂજા કરે છે. ત્રીસેક જેટલાં સ્તવનો તથા બે પ્રતિકમણ સૂત્રો કંઠસ્થ કરેલ છે. મહિનામાં પંદરેક દિવસ સાંજે માતા-પિતા સાથે પ્રતિક્રમણ પણ કરે છે. કંદમૂળ તો કદી પણ તેના કોઠામાં ગયું જ નથી !
* રોજ ૯ કલાક પદ્માસનમાં નવકાર મહામંત્રનો જાપ કરતા અપ્રમત્ત
‘શ્રાવક શિરોમણિ'' દલીચંદભાઈ ધર્માજીની અજોડ આરાધના :——
અપ્રમત્તપણે અજોડ અનુપમ આરાધના દ્વારા કર્મદલિકોને દળી નાખનારા ‘‘શ્રાવક શિરોમણિ'' શ્રી દલીચંદભાઈની અજોડ ધર્મચર્યા જાણીને મુનિવરો પણ તેમની શતમુખે પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી.
કર્મસાહિત્ય નિષ્ણાત, સુવિશુદ્ધસંયમી પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સત્સંગથી ધર્મ પામેલા આ સુશ્રાવક હાલ ૮૫ વર્ષની જૈફ વયે પણ જે અદ્ભુત આરાધના કરી રહ્યા છે તે જાણીને મસ્તક અહોભાવથી ઝૂકી જાય છે!.....
રોજ રાત્રે ૯ વાગ્યાથી માંડીને સૂર્યોદયપર્યંત લગભગ ૯ કલાક સુધી પદ્માસનમાં બેસીને સામાયિકપૂર્વક નવકાર મહામંત્રનો જાપ તથા અરિહંત પરમાત્માનું ધ્યાન ધરતા આ સુશ્રાવકને જોઈને ભગવાન મહાવીરસ્વામીના સમયમાં થઈ ગયેલા પુણિયા તથા આનંદ વગેરે સુશ્રાવકોની યાદ તાજી થયા વગર રહે નહિ!.....
અત્યાર સુધીમાં બે લાખથી અધિક સામાયિક કરનારા આ શ્રાદ્ધવર્યને પ્રતિદિન ૧૫ સામાયિક (પ્રતિક્રમણ સહિત) કરવાનો નિયમ છે! પર્યુષણના ૮ દિવસ તેમ જ દ૨ ચૌદશે સાધુજીવનની નેટ પ્રેકિટસ સ્વરૂપ પૌષધ જેવા પવિત્ર અનુષ્ઠાન દ્વારા આત્મગુણોની પુષ્ટિ કરનારા આ સુશ્રાવકશ્રીએ અત્યાર સુધીમાં ૨૦૦૦થી પણ અધિક પૌષધ કર્યાં છે.
દરરોજ ૫૦૦૦ ઉપરાંત નવકાર મહામંત્ર (૫૦ બાંધી નવકારવાળી)નો જાપ કરનારા આ આરાધકરત્ને અત્યાર સુધીમાં પાંચ ક્રોડથી અધિક નવકાર જાપ દ્વારા પંચ પરમેષ્ઠિઓને પ્રણિધાનપૂર્વક પ્રણામ કરીને પોતાના આત્માને નખ-શિખ ભાવિત કરી દીધો છે! [આ વાંચીને આપણે પણ કમસે કમ રોજ ૧ બાંધી નવકારવાળી નિયમિતપણે ગણવાનો દૃઢ સંકલ્પ તો અચૂક કરીએ.
અઠ્ઠમથી વર્ષીતપ તથા પારણે ઠામ ચોવિહાર એકાસણાપૂર્વકના વર્ષીતપ સહિત કુલ ૨૫ વર્ષીતપ, ૧૦ અઠ્ઠાઈ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ચત્તારિ અન્નદશ દોય તપ, ધર્મચક્ર તપ, સ્વસ્તિક તપ જેવાં મોટાં મોટાં તપ સહિત કુલ ૬ હજાર જેટલા ઉપવાસ, હજારો આયંબિલ-એકાસણાં તેમ જ ૨૨ વર્ષથી બિયાસણા, માત્ર ૬ વર્ષની વયથી રાત્રે ચોવિહાર તથા ૧૬ વર્ષની વયથી ઉકાળેલું પાણી વાપરનાર આ મહાતપસ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org