SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] સમિતિ, જેવી અનેક સમિતિઓમાં તેઓએ સક્રિય અને સ્મરણીય યોગદાન આપ્યું હતું. સ્વ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ શ્રી રતિલાલ દેસાઈનું જીવન એક સંશોધક, સાધક અને કર્મનિષ્ઠયોગીનું જીવન હતું. એમની સાહિત્ય-સાધનાએ જૈન સાહિત્યની વિપુલતામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓશ્રીની કલમે કોઈ એક ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતાં, સાહિત્યનાં બધાં જ ક્ષેત્રને આવરી લીધી હતી. તેઓએ ચરિત્રો લખ્યાં છે; વાર્તાઓના સંગ્રહનું ક્ષેત્ર ખેડ્યું છે. તેઓએ પત્રકાર, સાહિત્યકાર, સંશોધનકાર, વાર્તાકાર તરીકે સારી એવી નામના મેળવી છે. આ અભિગમમાં તેઓએ ધર્મ અને કર્મનો સુમેળ સાધેલ હતો. જે એમના જીવન સાથે વણાયેલ સંસ્કારની પ્રતીતિ કરાવે છે. તેઓએ પોતાની નિષ્ઠા પર દૃઢ રહીને પોતાના જીવનકાર્યને આદર્શરૂપે આગળ ધપાવ્યું હતું. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ઇતિહાસનું એમણે કરેલું સંપાદન એ જૈનશાસનની સૌથી મોટી સેવા છે. શ્રી રતિભાઈએ ગુરુ ગૌતમસ્વામિ નામનું આધારભૂત ચિરત્ર લખ્યું છે તો ભદ્રેશ્વરનો સવિસ્તર, સચરિત્ર ઇતિહાસ લખ્યો છે અને દસ જેટલા વાર્તાસંગ્રહો આપ્યા છે. એમની આ સાહિત્યસેવા અને આદર્શમય જીવન સૌકોઈને અનુમોદનીય અને ચિરસ્મરણીય બની રહેશે. [ ૮૪૭ સ્વ. શ્રી બાબુભાઈ વાસણવાળા આજના સમયના રાજકારણમાં વિરલ કહી શકાય તેવી નિષ્ઠા, પ્રામાણિકતા અને પ્રજા સેવાની ભાવનાને ચરિતાર્થ બનાવનાર શ્રી બાબુભાઈ વાસણવાળાએ ૧૯૪૨થી આઝાદીની લડત વખતે કોંગ્રેસમાં કામ શરું કર્યું. ૧૯૬૯ થી ૭૨ સુધી શહેર કોંગ્રેસના મંત્રીપદે રહ્યા. દેશમાં ગમે તે જુવાળ આવ્યો પરંતુ એમની લોકચાહનાને કારણે ૧૯૭૫થી વિધાનસભામાં સતત ત્રણ વખત તેઓ વિજયી બનેલ. ત્રીસ વર્ષથી વધુ ભારત સેવક સમાજ દ્વારા લોકસેવાનું કાર્ય કરેલ તો અધ્યયન મંડળ દ્વારા રાજકારણમાં નિષ્ઠાવાન અને પ્રામાણિક કાર્યકરોને આગળ લાવવાનો પ્રયાસ કરેલ. જૈનસમાજ અને જૈનશાસન અંગેના જરૂરી પ્રશ્નને રાજ્યસ્તરે હલ કરવામાં તેઓ હંમેશાં આગળ રહ્યા હતા. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ ગુજરાતની મહાજન પરંપરાના મહાન જ્યોતિર્ધર અને સમગ્ર જૈનસમાજના કર્ણધાર એવા શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું જીવનકાર્ય સફળપણે આગળ ધપાવી રહેલા શ્રી શ્રેણિકભાઈએ એમનો ઔદ્યોગિક વારસો તો દીપાવ્યો છે, પરંતુ એમનો સાંસ્કારિક દાન-સેવાદિના ગુણનો વારસો પણ દીપાવી જાણ્યો છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકેની શ્રી શ્રેણિકભાઈની કામગીરી અવિસ્મરણીય બની રહેશે. અનિલ સ્ટાર્ચ પ્રોડક્ટ્સ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે તેમજ અનેક કંપનીના ચેરમન તરીકે એમણે સુંદર કામગીરી બજાવી છે. ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી, અટીરા, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વગેરે સંસ્થાઓની કારોબારીના સભ્ય છે. ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના મેનેજીંગ ટ્રસ્ટી છે. જ્યારે લાલભાઈ ગ્રુપની બધી જ કંપનીઓની જવાબદારી તેઓ સંભાળી રહ્યા છે. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં એમ.બી.એ. થનાર શ્રેણિકભાઈને વાંચન અને ફોટોગ્રાફીનો ભારે શોખ છે. એમનું નમ્ર, સ્નેહાળ અને સૌજન્યશીલ વ્યક્તિત્વ સહુ કોઈને સ્પર્શી જાય એવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy