________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૯૯
હૉસ્પિટલના બિછાનેથી પણ કમળાબા પોતાના દીકરાઓને સ્તવન અને સજ્ઝાય શીખવતાં. અત્યારે સંઘવી કુળમાં જે સ્તવનો અને સઝાયોનો વારસો ઊતરી આવ્યો છે તે કમળાબાની દેણ છે.
બધી જ વાતનું સુખ છે. પણ એક વાતે એને ચેન નથી. એનું મન બેચેન છે. પોતે સંયમ લઈ શકી નહીં એનું એના હૈયે ભારે દુ:ખ છે. હું તો હવે સંયમ લઈ શકવાની નથી, પરંતુ મારા છ સંતાનોમાંથી એકાદને પણ હું સાધુવેશમાં જોઉં તો જીવતર ધન્ય બની જશે; મારું જીવ્યું લેખે લાગશે.
જોગાનુજોગ, પોતાના પાંચમા દીકરા શ્રી સુરવિંદચંદ (હાલના પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી)ને સોળ વરસની ભર યુવાનવયે સંયમ પંથે જવાના કોડ જાગ્યા. મા તો રાજી રાજી થઈ ગયા. પણ રાજકુંવર જેવા દીકરાને ઘરના સૌ દીક્ષાની રજા કેમ આપે? પરંતુ પૂર્વભવમાં જબરદસ્ત આરાધના કરીને આવેલો એ દીકરો એકનો બે થતો નથી.
જ્યોતિષીઓનું માર્ગદર્શન લેવાનું નક્કી થયું. મોટા જ્યોતિષીઓને તેડાવ્યા. કુટુંબ આખું ભેગું થયું છે. એક બાજુ મા અને એનો દીક્ષાર્થી દીકરો છે, બીજી બાજું આખું કુટુંબ છે. જ્યોતિષીઓનું એક એક વચન લાખેણું ગણવાનું હતું. જ્યોતિષીઓના કથનથી દીક્ષાની ગતિવિધિ નક્કી થવાની હતી.
જયોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે આ છોકરાના નસીબમાં દીક્ષા નથી, તેમ છતાં પણ જો એ દીક્ષા લેશે તો દસ વરસમાં સંસારમાં પાછા આવી જશે. વળી, આ વર્ષ તો વિ. સં. ૨૦૦૦ની સાલનું છે એટલે કે ત્રણ મીંડાનું વરસ છે. દીક્ષા લેશે તો મીંડું વાળી દેશે.
ઘરવાળાને તો આવો જવાબ જોઈતો હતો. હવે તો કમળાબા સમજી જશે અને દીક્ષાની વાત પર પૂર્ણ વિરામ મુકાઈ જશે. પણ શાસન અને ધર્મ જેની રગેરગમાં વ્યાપેલાં હતાં તેવાં કમળાબા આટલી વાતથી ઢીલા શું કામ પડે? એણે તો જવાબ આપ્યો, ‘‘મારો દીકરો દસ વરસે પાછો આવશે ત્યાં સુધી તો દીક્ષા પાળશે ને? એક દિવસનું પણ ચારિત્ર અને સાધુવેશ ક્યાં છે? મારા સંસ્કાર પામેલો દીકરો પાછો આવશે જ નહીં અને છતાં કર્મવશ કદાચ આવશે તો મારો ખોળો મોટો છે. મારા પાછા ફરેલા દીકરાને મારા ખોળામાં સમાવી લઈશ.’’
કમળાબાની મક્કમતા પર સહુ ઓવારી ગયા, અને મનોમન એની ભાવનાને વંદી રહ્યા. અને સોળ વરસના સુરવિંદચંદને કુટુંબીજનોએ ભારે હૈયે દીક્ષાની રજા આપી.
વરસીદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો. કમળાબાને ૧૦૨ ડીગ્રી તાવ હતો. શરીરમાં તાવ ધખે છે, મનમાં હોંશની ધુણી ધખે છે. આવા તાવવાળા શરીરે પણ દીકરાના સંયમવેશની છાબ હોંશે હોંશે લઈ વરઘોડામાં ફરી બધાને કહેતી ફરે છે કે લગ્નટાણે દીકરાના રામણદીવા તો ઘણા લીધા, પરંતુ છાબ લેવાનું સદ્ભાગ્ય ક્યારે મળવાનું હતું? હું તો છાબ લઈ ધન્ય બની ગઈ! મારું જીવન પાવન થઈ ગયું! !
સુરતના રાજમાર્ગ પરથી દીક્ષાનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. રૂપ રૂપના અંબાર જેવો દેવાંશી દીકરો દીક્ષા લેવા જઈ રહ્યો છે. માતા અને દીકરાને હરખનો પાર નથી. જોનારા જોઈ શકતા નથી. અરે રે! આવા દીકરાને કેમ છોડાતો હશે? હજારો આંખો અશ્રુભીની છે. ભોળા-ભદ્રિક પૂ. શ્રી વિજ્ઞાનસૂરિજી મ. અને ધર્મરાજા શ્રી કસ્તુરવિજયજી મ.ના ચરણે દીકરાને સોંપી માતા-પિતા ધન્ય બને છે.
દીકરાના રૂપને અનુરૂપ એવું શ્રી ચંદ્રોદયવિજયજી નામ પાડ્યું. એ ધન્ય દિવસ હતો સં. ૨૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org