________________
૭૦૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
E
શ્રીપૂજય શ્રી હર્ષસૂરિજીએ તેમની બુદ્ધિપ્રતિભાને પિછાણીને અભ્યાસની સુંદર વ્યવસ્થા કરી આપી. બંગાળમાં મુર્શિદાબાદ વગેરે સ્થળોમાં જગતશેઠ પરિવારના આશ્રયે હેમરાજભાઈનો અભ્યાસ થતો રહ્યો. ભવિષ્યમાં તેમને જ્ઞાન પ્રસાર અને સમાજસુધારણાનું જે કાર્ય કરવાનું હતું તેનો પાયો આ રીતે પડ્યો સંસ્કૃત, પ્રાકૃત તેમ જ અનેક શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કરી હેમરાજભાઈ કચ્છ પાછા ફર્યા અને પોતાની જન્મભૂમિ “કોડાય” ગામમાં જ્ઞાનની સરવાણી વહેતી કરી. એમની પ્રેરણાથી જ જાગેલા કોરશીભાઈએ શ્રી કુશલચંદ્રજી બનીને કચ્છ-કાઠિયાવાડમાં સાધુસંસ્થાનો જીર્ણોદ્ધાર કર્યો, જ્યારે હેમરાજભાઈએ (દીક્ષા લેવાના પ્રયત્નો કારગત ન બનતા) સંસારમાં રહીને સમાજોદ્ધાર માટે કામ કર્યું.
શાસ્ત્રોનાં પરિશીલનથી હેમરાજભાઈના વિચારો વધુ સ્પષ્ટ અને દઢ બન્યા. આજની ભાષામાં કહીએ તો તેઓ “ક્રાંતિકારી વિચારો ધરાવતા થઈ ગયા. અલબત્ત, આ “ક્રાંતિ' ધર્મસાપેક્ષ હતી. શાસ્ત્રોમાંથી જ તેમને નવી દિશા મળી હતી. તે વખતે ભારતમાં અને જૈન સમાજમાં સ્થગિતતા, શિથિલતા. અને સુષુપ્તિનું વાતાવરણ હતું. હેમરાજભાઈ એ આવરણને ભેદીને તત્ત્વ, તથ્ય અને મૂળ સુધી જવાના પ્રયાસમાં હતા. જેટલું સમજાયું તેટલું અમલમાં મૂકવામાં માનતા હતા. પરંપરાના અંધ અનુકરણના તેઓ પ્રખર વિરોધી બન્યા. તેમણે શ્રી પાર્જચંદ્રસૂરિજીના ગ્રંથોનું ખૂબ પરિશીલન કરેલું અને તેના પ્રભાવે ધર્મક્ષેત્રે પ્રવર્તતી શિથિલતા તેમને ખટકવા લાગી.
દોઢસો વર્ષ પૂર્વે ધર્મક્ષેત્રે આવેલી નવજાગૃતિના સંદેશવાહક તરીકે શ્રી હેમરાજભાઈનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થની અનોખી ગાથા સંભળાવી જાય છે.
કચ્છ આવ્યા બાદ તેમણે સર્વ પ્રથમ જ્ઞાનપ્રસારનું કામ હાથમાં લીધું. કોડાયમાં તેમણે એક વિદ્યાપીઠ સ્થાપી. હેમરાજભાઈના મનમાં ધર્મ વિશે જે આદર્શ રચાયો હતો તેને સાકાર કરવામાં આ સંસ્થાએ નક્કર ફાળો આપ્યો. કચ્છભરમાંથી અનેક ભાઈ-બહેનો આ સંસ્થામાં જોડાયાં. અનેક ધર્મનિષ્ઠ અને વિદ્વાન શ્રાવક-શ્રાવિકાઓ અહીં તૈયાર થયાં. એ જમાનામાં મહિલાઓનું શિક્ષણ નહિવત હતું. ઘણી બધી બહેનો અહીં જ બારાખડી શીખીને આગળ જતાં વિદુષી બની. સમાજસુધારણાની દૃષ્ટિએ સ્ત્રીઓને સમાન સ્થાન આપવાનું હેમરાજભાઈનું આ પગલું તે સમયે ઘણી બધી હિંમત માગી લેનારું હતું. . તે સમયે દેરાસરો પણ ગોરજીઓની માલિકીનાં રહેતાં. આ વસ્તુ ધર્મવિરુદ્ધ હતી. હેમરાજભાઈએ કોડાયમાં શ્રી મહાવીરસ્વામીનું એક જિનાલય પણ બંધાવ્યું, જેમાં કચ્છની જ ખાણમાંથી કાઢેલા પીળા આરસના વિશાળ પ્રતિમા બિરાજમાન કરવામાં આવ્યાં. જિનાલયની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ તે અંગે સ્પષ્ટ સૂચનાઓના શિલાલેખ પણ દેરાસરમાં લગાડ્યા.
સં. ૧૯૩૦ માં હેમરાજભાઈએ “સદાગમ પ્રવૃત્તિ સંસ્થા શરૂ કરી. આ સદાગમ સંસ્થા વર્ષો સુધી કામ કરતી રહી. પાઠશાળાની સુવાસ ચારે બાજુ પ્રસરી. સંસ્કૃત-પ્રાકૃત-જૈન શાસ્ત્રોનો અભ્યાસ અહીં ધમધોકાર ચાલ્યો. જર્મન પ્રોફેસર હર્મન જેકોબીએ કરેલા આગમોના ખોટા અર્થ સામે સંસ્કૃત ભાષામાં ચર્ચાગ્રન્થ તૈયાર કરનાર પ્રો. રવજી દેવરાજ કોડાયના હતા અને આ જ સંસ્થામાં ભણીને વધુ અભ્યાસ અર્થે કાશી પણ ગયા હતા. કોડાયને લોકો “કચ્છનું કાશી” કહેતા, એના પરથી આ સંસ્થાની કામગીરીનો ખ્યાલ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org