________________
૫૦૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
આટલું સાંભળતા જ આંખના ખૂણે લપાઈને રહેલાં બે અશ્રુબિંદુ ટપક-ટપક કરીને લુણિગની આંખમાંથી વરસી પડ્યાં.
સજળ નયણે વસ્તુપાળે કહ્યું કે, ભાઈલા રડ નહિ. તારે જે કહેવું હોય તે નિઃસંકોચ કહી દે. આ તારા ભાઈઓ મજુરી કરીને, ઘરબાર વેચીને પણ તારી ઇચ્છા પૂરી કરશે.
ભાઈની અંતિમ ઇચ્છા જો પૂરી ન કરી શકે એને ભાઈ કેમ કહેવાય? લુણિગ વિચારે છે કે એવી અમારી શી પરિસ્થિતિ છે કે મારી ઇચ્છા પૂર્ણ થાય..
ભાવના ગમે તેટલી મોટી હોય પણ સમય ને સંજોગોનો સાથ ન હોય તો? છતાં ય ખરી નિષ્ઠા અને શ્રદ્ધાથી કરેલા ભાવો જલ્દી પૂર્ણ થાય છે.
ત્યારે લુણિગે છેવટે કહ્યું કે એક વખત આબુગિરિ ઉપર વિમલવસતિના દર્શન કરતા મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે આવું ભવ્ય જિનાલય બનાવવાની મારી કોઈ શક્તિ નથી પણ જયારે અનુકૂળતા આવશે ત્યારે આ જિનાલયમાં એક નાનકડો ગોખલો બનવડાવીશ અને એમાં જિનેશ્વપ્રભુને પધરાવીશ.
આટલું બોલતા જ લુણિગ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મુખની વાત આંસુ દ્વારા વ્યક્ત થવા લાગી.
સમજુ વસ્તુપાલ ક્ષણમાં જ જાણી ગયો કે હવે....શરીરમાં રોગ, અંતિમ મંગલમય ઇચ્છાની અપૂર્ણતા, થાક..શ્વાસની રૂંધામણ---આ બધું જ છેલ્લી સ્થિતિ સૂચવે છે. માટે જ..
મોટાભાઈનો હાથ પકડીને કહે છે ભાઈ! આંખ ઉઘાડીને...કાન સરવા કરીને તું સાંભળ..ભલે અત્યારે આપણે દરિદ્ર હોઈએ પણ...પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખીને હું તને વચન આપું છું કે આબુ તીર્થની પાવન ધરા ઉપર એક ગોખલો નહિ પણ તારા નામથી ભવ્ય જિનાલય બનાવીશ. ભલે પછી એના માટે કાળી મજુરી કરવી પડે. જે કરવું પડે તે કરીને તમારી ઇચ્છા હું પૂર્ણ કરીશ.
આટલું સાંભળતા જ જાણે મનની ઇચ્છા પૂર્ણ ન થઈ હોય તેમ તે આનંદ પામ્યો. હૈયે હરખ ભરાયો. થોડો સ્વસ્થ થયો. મુખ ઉપર અપાર શાન્તિ પ્રગટી ને નવકારમંત્રનું ધ્યાન ધરતો-ધરતો લુણિગનો જીવ પરલોકની વાટે ચાલ્યો ગયો.
અને આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો...
પછી તો બંધુબેલડી વસ્તુપાલ-તેજપાળે ભાગ્યનું ચક્ર ફરતા જ આબુની ધરતી ઉપર ભવ્ય જિનાલય બનાવીને એનું નામ રાખ્યું....લુણિગ વસહિ.
જે આજેય લુણિગની ભાવનાની સાક્ષી પુરતુ અડખમ ઊભું છે... ભાઈ હો તો આવા હજો... ભાવના હોય તો આવી હો.... ધન્ય છે લુણિગ તને ને ધન્ય છે તારી જનેતાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org