________________
૩૮૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
વિજયસેનસૂરિના શિષ્ય આ. વિજયદેવસૂરિને સં. ૧૬૭૩ના માંડવગઢના ચોમાસામાં ‘જહાંગીરી મહાતપા'નું બિરૂદ આપ્યું અને મહો. નેમસાગરગણિને ‘વાદિજીક'ની પદવી આપી. (૩) બા. જહાંગીરે આગરાના સંઘવી ચંદ્રપાલને સં. ૧૯૭૧ (૭૨)ના શ્રાવણ મહિનામાં ખંભાતના મહમ્મદપરા-અકબરપરામાં આ. વિજયસેનસૂરિના અગ્નિસંસ્કાર સ્થાને મંદિર, બાગ-બગીચો બનાવવા માટે ૧૦ વીઘા જમીન ભેટ આપી, તે સ્થાનની જગાત વગેરે માફ કરી.
બાદશાહ શાહજહાં : તે પણ જૈનશ્રમણોથી વધુ પરિચિત અને પ્રભાવિત હતો. અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીને બહુ માનતો. બા. શાહજહાંએ તેમને (૧) શેઠના મકાન વગેરેથી રક્ષા, (૨) જ્ઞાતિ વ્યવહારની સ્વતંત્રતા, (૩) અમદાવાદ-સરસપુરના ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદને બાદશાહી ખજાનાના ખરચે મૂળરૂપે સમરાવી પાછો સોંપી દેવાની આજ્ઞા અને (૪) શત્રુંજય ગિરિરાજ-પાલીતાણા ભેટ આપવાનો હુકમ—એમ ચાર ફરમાનો આપ્યાં હતાં. (શેઠ શાંતિદાસ અને તેના વંશજોનો પરિચય અન્યત્ર આપવામાં આવ્યો છે.)
બાદશાહ ઔરંગઝેબ : ધર્મઝનૂની બાદશાહોમાં એક ઔરંગઝેબ પણ હતો. છતાં તેણે કેટલીક બાબતમાં સજ્જનતા બતાવી હતી. (૧) ભ. હેમવિમલસૂરિની પરંપરાના પં. પ્રતાપકુશળજી વિદ્વાન મલ ફારસી ભાષાના અભ્યાસી હતા. તેમના જ્ઞાનની પ્રશંસા સાંભળી બા. ઔરંગઝેબે માન-સન્માનથી તેડાવી, પોતાની શંકાઓનું સમાધાન મેળવી, પ્રસન્ન અને પ્રભાવિત થઈ, ૫-૭ ગામો ભેટ આપ્યાં; પણ ત્યાગી મુનિવરે લેવાનો ઇન્કાર કર્યો. (૨) અજમેરના સૂબાએ અજમેર, મેડતા, સોજત, જયતારણ અને જોનપુર વગેરે શહેરોના જૈન ઉપાશ્રયો પોતાના તાબામાં લઈ ખાલસા કરી લીધા હતા. એ સમયે ઔરંગાબાદનો સૂબો અસતખાન, જે મહો. સોમવિજય ગણિવરની પરંપરાના (૬૨) પં. ભીમવિજયજીનો ભક્ત હતો. બા. ઔરંગઝેબ સં. ૧૭૩૬માં અજમેર ઉપર ચડી આવ્યો ત્યારે ભ. વિજયરત્નસૂરિ અને પં. ભીમવિજયજીના ઉપદેશથી તેમજ સૂબા અસતખાનની પ્રેરણાથી, બાદશાહે પં. ભીમવિજયજીને તે ઉપાશ્રયો છૂટા કરી પાછા સોંપવાનું ફરમાન લખી આપ્યું હતું અને જૈન ઉપાશ્રયો સંઘને પાછા સુપ્રદ કરાવ્યા હતા. (૩) બા. ઔરંગઝેબે સં. ૧૭૧૭ ચૈત્ર સુદ ૯, ૧૦ કે ૧૧ ના શેઠ શાંતિદાસ ઝવેરીને તેમની કદરદાનીરૂપે શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે તીર્થો ભેટ આપ્યાં હતાં.
શેઠ સૂરદાસ ઃ અમદાવાદમાં શેઠ શાંતિદાસ ઝવેરીના સમયમાં શેઠ સૂરદાસ પણ જૈન સંઘના એક અગ્રણી હતા. બાદશાહ શાહજહાંએ ‘જ્ઞાતિ-વ્યવહારની સ્વતંત્રતા'ના આપેલ ફરમાનમાં શેઠ શાંતિદાસની સાથે તેમના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે અમદાવાદમાં ‘સુરદાસ શેઠની પોળ' બનાવી હતી, જે હાલ પ્રસિદ્ધ છે. શેઠ સૂરદાસને (૧) રતન અને (૨) ધનજી એમ બે પુત્રો હતા.
ગારિયાધારના ઠા. કાંધાજી ગોહિલ વગેરેએ વિ. સં. ૧૭૦૭માં શેઠ શાંતિદાસ અને શા. રતન સૂરા સાથે જ શત્રુંજયતીર્થના રખોપાનો કરાર કર્યો હતો. શેઠ રતન સૂરા સૂરતના સંઘપતિ પ્રેમજી પારેખે કાઢેલા શત્રુંજયતીર્થના યાત્રાસંઘમાં સાથે હતા. શેઠ ધનજીએ આ. વિજયદેવસૂરિના ઉપદેશથી સં. ૧૭૧૨માં અમદાવાદમાં આઠ હજાર મહમુદી ખરચી આ. વિજયપ્રભસૂરિનો વંદણા મહોત્સવ કર્યો હતો. તેમજ તેઓએ સં. ૧૬૯૯માં મહો. યશોવિજયજીને ભણવા કાશી મોકલવા વિનંતિ કરી અને પોતે પંડિતના ખર્ચ માટે બે હજારનું વચન આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org