________________
૩૬૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
ઇરાની શકો ઉજ્જૈનની ગાદીએ આવ્યા હતા. આ શકશાહીઓએ ઇરાનથી સમુદ્રમાર્ગે સૌરાષ્ટ્રના કિનારે ઊતરી પ્રથમ સૌરાષ્ટ્ર જીત્યું હતું. ઉજ્જૈનની ગાદીએ ચાર વર્ષ બાદ બલમિત્ર આવ્યો, જે વિક્રમાદિત્યના નામે વિખ્યાત બન્યો. આ તરફ ઇરાની શકો ઉજ્જૈનમાં તો માત્ર ૪ વર્ષ જ રહ્યા, પછી પશ્ચિમ ભારતમાં તેની સત્તા વધુ મજબૂત બની. શરૂમાં ક્ષત્રપ નહપાન અને ઉષવદાતે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પોતાની સત્તા જમાવી અને શકસંવત પ્રવર્તાવ્યો. ત્યારપછી મહાક્ષત્રપ ચષ્ટન ગુજરાતનો રાજા બન્યો. પછી જયદામા અને તેના પછી રૂદ્રદામા રાજા થયો, જે આદર્શ શાસક હતો. તેણે રાજ્યને ખૂબ વિસ્તાર્યું હતું. ત્યારપછી દામઝદ, જીવદામા, રૂદ્રસિંહ, રૂદ્રસેન વગેરે ક્ષત્રપવંશીય રાજાઓ થયા.
વસ્તુતઃ આ શકોને અહીં આજ કાલિકસૂરિ લાવેલ હોવાથી શકો તેમને પોતાના ગુરુ માનતા હતા. એટલે તે શકો જૈનધર્મી કે ધર્મપ્રેમી હતા. તેઓએ જૈનધર્મ પાળીને પોતાના જીવનને એવું ઉચ્ચ અહિંસક અને સમભાવી બનાવ્યું હતું કે તેઓ થોડા વર્ષમાં આર્યસંસ્કૃતિથી ઓતપ્રોત બની ગયા. આ કાલકસૂરિએ પોતાના પ્રભાવથી આ પરદેશીઓને હિન્દમાં લાવી હિન્દી અને આર્ય બનાવી દીધા હતા, તે એટલે સુધી કે શરૂઆતના શક–ક્ષત્રપો તો જૈનધર્મના અનુયાયીઓ બની જ ગયા હતા. ઉષવદાતનો લેખ બતાવે છે કે એ જૈનધર્મ માનતો-પાળતો. તેના શિલાલેખમાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કરેલો છે. તેણે નાસિક વગેરે સ્થાનોમાં ગુફાઓ ખોદાવી છે, જે જૈનગુફાઓ છે. કચ્છ-ભુજના ફર્ગ્યુશન મ્યુઝિયમમાં શક સં. બાવનના મહાક્ષત્રપ રૂદ્રદામાના ચાર શિલાલેખો છે, જેમાં શ્રમણો સંબંધી લખાણ છે. તેના રાજકાળમાં ગિરનાર તીર્થનો મોટો જીર્ણોદ્ધાર થયો છે. રૂદ્રદામાને દામદઝ અને રૂદ્રસિંહ એમ બે પુત્રો હતા. આ ભાઈઓએ ગિરનાર પર ભ૦ નેમિનાથના કેવલજ્ઞાન અને મોક્ષકલ્યાણકના સ્થાનમાં જિનાલયોને ઉપયોગી કામો કરાવ્યાં છે, જેનો લેખ જુનાગઢમાં વિદ્યમાન છે. આવી રીતે આ શક-ક્ષત્રપોએ અહીં આવીને જૈનધર્મનો સ્વીકાર કર્યો, તે આ કાલિકસૂરિની અસરને લીધે જ હતું; એટલું જ નહીં, તેઓએ આ વિદેશીઓને શુદ્ધ દેશી સંસ્કૃતિ આપવાની અપનાવેલ નીતિને આભારી હતું.
વલભીવંશના જૈનધર્મી રાજાઓ ઃ કલ્પસૂત્રનું સૌપ્રથમ વાંચન : આગમવાચનાઓ : મહાન વિદ્યાતીર્થ :
વિ. સં. ૩૭૫માં વલભી સંવત પ્રવર્તાના૨ વલભી રાજા આદ્ય શિલાદિત્ય પરમ જૈન હતો. વચમાં તે બૌદ્ધધર્મી બન્યો હતો કિન્તુ આ૦ મલ્લવાદીસૂરિના પ્રભાવથી પુનઃ જૈનધર્મી બન્યો હતો. આ સૂરિજીએ રાજસભામાં બૌદ્ધાચાર્યને વાદમાં હરાવી બૌદ્ધોના કબજામાંથી શત્રુંજયતીર્થ પાછું મેળવ્યું હતું. આ મહાતીર્થનો રાજાએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. શિલાદિત્યના વંશજો ‘મૈત્રક' તરીકે ઓળખાતા હતા. આ વંશ મિત્રવંશ અને વલભીવંશ તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યો છે.
આ વલભીવંશનો રાજા ધ્રુવસેન (પહેલો) શ્રદ્ધાવાન જૈનધર્મી હતો. તેણે માતપિતાના કલ્યાણ માટે ઘણાં જિનમંદિરોના જીર્ણોદ્ધાર અને દર્શન-પૂજન કરાવ્યાં છે. આજે પર્યુષણા પર્વ દરમિયાન વ્યાખ્યાનમાં જે કલ્પસૂત્રનું વાચન કરવામાં આવે છે, તેની શરૂઆત આ રાજાના સમયમાં થઈ છે. રાજા તેના કુમારભુક્તિનગર આણંદપુર (વડનગર)માં રહેતો હતો ત્યારે વિ. સં. ૧૮૩માં આ૦ કાલિકસૂરિ (ચોથા) એ જ નગરમાં ચાતુર્માસ પધાર્યા હતા. તે વર્ષે રાજાના કુમારનું અકાળ મૃત્યુ થતાં રાજકુટુંબમાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org