________________
૩૫૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
જેમ કે, સમ્પ્રતિ મહારાજાના સમયની અનેક જિનમૂર્તિઓ આજે કેટલાંક તીર્થો અને જિનમંદિરોમાં બિરાજમાન જોવા મળે છે. તેણે બનાવેલી જૈનગુફાઓ પણ આજે દક્ષિણ ભારતમાં અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. સમ્પ્રતિએ તક્ષશિલામાં પિતા કુણાલને ધર્મારાધના કરવા માટે મોટો જિનવિહાર બંધાવી આપ્યો હતો, જે તક્ષશિલાના ખંડેરોમાં આજે પણ ‘શિકાપ' વિભાગમાં કુણાલના સ્તૂપ તરીકે વિદ્યમાન છે. (આ સ્થાન આજે પાકિસ્તાનમાં, રાવલપીંડીથી ઉત્તરે લગભગ ૨૨ માઈલ દૂર આવેલ છે.)
કલિંગ દેશના પ્રતાપી અને પરમ જૈનધર્મી રાજાઓ
વર્તમાન ઓરિસ્સા રાજ્યનો કેટલોક ભાગ અને તેની નીચેનો કેટલોક વિસ્તાર પૂર્વે ‘કલિંગ દેશ’ નામે ઓળખાતો. આ પ્રદેશ જૈનધર્મની પ્રાચીન કેન્દ્રભૂમિ હતી. અહીં વિશાલાપતિ મહારાજા ચેટકનો પુત્ર શોભનરાય આવ્યો અને વીર સં. ૧૮માં તે કલિંગાધિપતિ બન્યો. આ જ વંશની પરંપરામાં વીર સં. ૩૬૨માં વિદુહરાય કલિંગનો રાજા થયો. આમ, લગભગ ૩૫૦ વર્ષ સુધી કલિંગ પર એક જ વંશનું આધિપત્ય રહ્યું. આ રાજાઓ જૈનધર્મી હતા. ‘હિમવંત સ્થવિરાવલી'માં આ રાજાઓની વિગતો વિસ્તારથી મળે છે.
શોભનરાય : વિશાલા (વૈશાલી) નગરીના ગણસત્તાક રાજ્યતંત્રના પ્રમુખ મહારાજા ચેટક અને મગધસમ્રાટ કોણિક વચ્ચે ભયંકર યુદ્ધ થતાં આખરે રાજા ચેટક અનશન કરી સ્વર્ગવાસી બને છે. આ વખતે રાજા ચેટકનો પુત્ર શોભનરાય ત્યાંથી નાસીને કલિંગ દેશમાં તે વખતના રાજા સુલોચનના આશ્રયે ગયો. કલિંગ રાજાઓ કકુંડુ વગેરે ભ. પાર્શ્વનાથના ઉપાસક જૈન હતા. કલિંગનરેશ સુલોચન પણ જૈન હતો. તેને સંતાનમાં માત્ર એક પુત્રી હતી. રાજા સુલોચને પોતાની કન્યા અને રાજ્ય બંને શોભનરાયને આપ્યાં. તેના મૃત્યુ પછી શોભનરાય કલિંગાધિપતિ બન્યો અને તેનો વીર સં. ૧૮માં કલિંગની રાજધાની કનકપુર (કાંચનપુર)માં રાજ્યાભિષેક થયો. શોભનરાય પણ પિતા ચેટકની જેમ પરમ જૈનધર્મી હતો. તે કલિંગ દેશમાં આવેલ શત્રુંજયાવતારરૂપ કુમારિગિર અને ઉજ્જયંતાવતારરૂપ કુમારીગિરિ તીર્થ ઉપર યાત્રા કરવા ગયો. અહીં રાજા શ્રેણિકના સમકાલિન રાજા સુલોચને શ્રમણોને ધ્યાન-સાધના કરવા માટે પાંચ ગુફાઓ બનાવી હતી, તેમ જ શ્રેણિક મહારાજાએ શ્રી સુધર્માસ્વામીનાં હાથે શ્રી ઋષભદેવની સુવર્ણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. એટલે આ સ્થાન તીર્થરૂપ તો હતું જ; શોભનરાયે આ તીર્થનો મહિમા વધારી ખૂબ પ્રચાર કર્યો.
ચંડરાય : આ શોભનરાયની પાંચમી પેઢીએ વીર સં. ૧૪૯માં કલિંગની ગાદીએ ચંડરાય આવ્યો. તેના સમયમાં મગધના નંદવંશના આઠમા રાજા મહાનંદે અહીં કલિંગ ઉપર ચઢાઈ કરી હતી, જે યુદ્ધમાં કલિંગની ખૂબ જ ખુવારી થઈ, દેશ પાયમાલ થયો. કિન્તુ એની આઝાદીની તમન્ના ઊભી રહી. રાજા મહાનંદ ગુસ્સામાં કુમારિગિર ઉપર મંદિરને તોડીને શ્રી ઋષભદેવની સુવર્ણ પ્રતિમા પટણા (પાટલીપુત્ર) લઈ ગયો.
૧. આ બંને તીર્થ ભુવનેશ્વરથી પાંચ માઈલ પશ્ચિમે પહાડી પર સામસામે આવેલ છે. આજે તે ખંડિગિર અને ઉદયગિરિ નામે પ્રસિદ્ધ છે. આ બંનેમાં મળીને ૩૦ જેટલી જૈન ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં ૨૪ તીર્થંકરો અને ૨૪ દેવીઓની મૂર્તિ આવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org