________________
૧૯૦ ]
[ જેને પ્રતિભાદર્શન
ખેમો દેદરાણી)
કારમાં દુષ્કાળમાં પ્રજા પીડાતી હોય, અન્ન માટે લોકો વલખાં મારતાં હોય; બાળકો અને સ્ત્રીઓ મોતના મોંમાં ધકેલાતાં હોય અને અધૂરામાં પૂરું મેઘરાજા રૂહ્યા હોય ત્યારે જૈન સમાજે સદાય એના ધન અને અન્નના ભંડારો મોકળે મને ખોલી દીધા છે. દેશના ઈતિહાસમાં જૈન શ્રેષ્ઠીઓની દુષ્કાળ રાહતની કામગીરી સુવર્ણાક્ષરે લખાયેલી છે.
ખુદ બાદશાહ દુષ્કાળમાંથી પ્રજાને બચાવવા માટે નિરુપાય બની જાય, ત્યારે આ શાહ જનતાને દુષ્કાળના ખપ્પરમાંથી બચાવતા હતા. આવા શ્રેષ્ઠીઓની પ્રશંસા કરતાં ચારણો એમ કહેતા હતા કે આવા શ્રેષ્ઠીઓના નામની પહેલાં શાહ લાગે છે અને બાદશાહમાં તો પછી શાહ લાગે છે. આથી શ્રેષ્ઠીઓ પહેલાં શાહ છે અને બાદશાડ પછી શાહ છે.
ચાંપાનેરના જૈનોના એક ભોજકની આવી વાત સાંભળીને ગુજરાતના રાજવી મહમ્મદ બેગડાએ એને સખતાઈથી કહ્યું, “તું બધે કહેતો ફરે છે કે શાહ તે શાહ અને પાદશાહ તે માત્ર પા-શાહ, પરંતુ આજે ગુજરાતભરમાં મોટો દુષ્કાળ છે. મારી પ્રજા ભૂખે મરે છે. અન્નના એક કણ માટે સહુ તરફડે છે. મદદ કરીને મારો અન્નભંડાર ખાલી થઈ ગયો છે, પરંતુ તારા આ શાહ ગુજરાતની પ્રજાને એક વર્ષ સુધી અનાજ પૂરું પાડે તો તે શાહ સાચા, જો એમ નહીં કરી શકે તો એમનું “શાહ' બિરુદ જશે અને તારું માથું ધડથી જુદું થશે.''
ચાંપાનેરના ભોજકે મહાજનને વાત કરી, મહાજને ભેગા મળીને આખા ગુજરાતને એક વર્ષ સુધી અનાજ અને વસ્ત્રો પૂરાં પાડવાની યોજના ગોઠવી. આ માટે આગેવાન જૈનો પાટણ, અમદાવાદ, ખંભાત, ધોળકા વગેરે શહેરોમાં ઘૂમવા લાગ્યા. દરેક પોતાની શક્તિ મુજબ એક દિવસ, બે દિવસ કે પંદર દિવસનો ખર્ચ લખાવવા લાગ્યા. એક વર્ષમાં પાંચ મહિના અને વીસ દિવસની વ્યવસ્થા બાકી હતી ત્યારે ધંધુકા જતાં મહાજન વચ્ચે નાનકડા હડાળા ગામમાં આવ્યું.
સામાન્ય વેશ ધરાવતો ગામનો ખેમો દેદરાણી પોતાની ભેંશ લઈને પાણી પિવડાવવા માટે કૂવા તરફ જતો હતો. મહાજનને જોઈને ખેમા દેદરાણીએ પ્રણામ કર્યા. મહાજને ધાર્યું કે આને કંઈક મદદની જરૂર લાગે છે. તેથી કહ્યું, “જે કંઈ કામ હોય તે જલદી કહેજો. અમારી પાસે સમય ઓછો છે અને કામ ઘણું બાકી છે.”
ખેમાએ મહાજનને ઘેર પધારવા આગ્રહ કર્યો. એમ કંઈ આતિથ્ય વિના જવાય ખરું? ખેમો દેદરાણીની પત્નીએ સહુને ભાવથી ભોજન કરાવ્યું. સરળ સ્વભાવના પિતૃભક્ત ખેમાએ મહાજનની મોટી મુશ્કેલીની વાત સાંભળી મહાજને સ્વાભાવિક રીતે કહ્યું, “તમે પણ કંઈક મદદ કરો તો સારું.''
ખેમો દેદરાણીએ પહેલાં વૃદ્ધ પિતાની આજ્ઞા લીધી અને પછી કહ્યું, “આ પરોપકારનો અવસર મને આપો. અમારા જેવાને આવી તક ક્યાંથી મળે? આખા વર્ષનું ખર્ચ હું આપીશ.'
આખું મહાજન સ્તબ્ધ બની ગયું ! બધા વિચારમાં પડ્યા કે લાખોપતિ અને કરોડપતિ પણ આખા વર્ષનું ખર્ચ આપી શક્યા નથી, તો આ સાવ સામાન્ય ગામડિયો કઈ રીતે આપશે? ખેમો મહાજનને ઘરની અંદર લઈ ગયો અને પોતાની અઢળક સંપત્તિ બતાવી. એની સંપત્તિ જોતાં તો સહુને લાગ્યું કે આ સામાન્ય મેલાઘેલા લાગતા ગામડિયાની શક્તિ તો બાર મહિનાના ખર્ચની નહીં, પણ બાર વર્ષની બધી તિથિઓ લખાવી શકે તેવી છે.
ખેમો દેદરાણીને મહાજન સુલતાન મહમ્મદ બેગડા પાસે લઈ ગયા. સુલતાનને આશ્ચર્ય થયું, પણ બહાર નજર કરી તો ખબર પડી કે ચારે બાજુ દાનશાળા ખૂલી હતી. હડાળાથી બળદગાડાંઓમાં ધનની થેલીની થેલીઓ ચાંપાનેરના રાજભંડારમાં ઊતરતી હતી. ખેમો દેદરાણીના કારણે વિ. સં. ૧૫૪૦ના કારમાં દુષ્કાળના ઓળા ગુજરાત પરથી ઊતરી ગયા. માનવતાની મહેકે અનેક માનવજીવનને બચાવી લીધાં. બાદશાહ મહમ્મદ બેગડાએ ખેમાના માનવપ્રેમથી ખુશ થઈને જૈનોનું “શાહ બિરુદ કાયમ રાખ્યું. સુલતાને ખેમો દેદરાણીની પ્રશંસા કરી ત્યારે એણે એટલું કહ્યું, “આ બધો તો મારા જિનશાસનનો જ પ્રભાવ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org