________________
૧૬૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
છતાંય જિનધર્મ પ્રેમી તેણે અન્ય ધર્મનાં વિધિ-વિધાનોની ઉપેક્ષા કરી પ્રભુ મલ્લિનાથજીની મૂર્તિની માનતા માની. દઢ ધર્મભાવના થકી ભદ્રા શેઠાણીનું વંધ્યાપણું ટળ્યું ને ઘેર પારણું બંધાણું, અંતે ફળ પ્રત્યક્ષ દેખી શેઠ-શેઠાણીએ ધર્મારાધના જ વધારી. પ્રભુ વીર પધાર્યા ત્યારે ભાવભરી ભક્તિ કરી દર્શન-વંદન કર્યા.
(૯) સુલસની સૌમ્યતા –દયામુક્ત ક્રૂર કાળજાધારી કસાઈ કાલસૌરિકને ત્યાં જ અહિંસાપ્રેમી અદકેરા સુપુત્ર સુલસનો જન્મ અચંબો પમાડનાર લાગે, પણ હકીકત છે. પિતાના ઘાતકી ધંધાનો બહિષ્કાર કરી પરિવારને પણ પ્રતિબોધ પમાડવા પગ ઉપર કુહાડી ફટકારી પોતાની વેદનામાં ભાગ પડાવવા સૌને આમંત્રી સુલસે ખાટકીનો ધંધો ખોટનો સાબિત કરી આપ્યો. અભયકુમારને મિત્ર બનાવી ચાંડાલવૃત્તિથી વેગળો રહી સ્વયં તો ધર્મભાવિત બન્યો જ; સાથે પરિવારને પણ વાસિત બનાવ્યું.
(૭) સૂરરાજા :–નાનાભાઈ સોમની દીક્ષા પછી ગૃહસ્થધર્મમાં પણ રહી ચારિત્રની તીવ્રાનુમોદનામાં વૈરાગી જીવન ગાળતાં રાજા સૂરને સંતાનો થયાં છતાંય જ્યારે રાણી દેવરમુનિને વાંદવા વરસતા વરસાદમાં છલકાયેલ નદી ઓળંગી જવા મથવા લાગી ત્યારે પોતે આગારી છતાંય બ્રહ્મચારી છે તેમ નદી દેવીને પૂછવા જણાવ્યું. પતિની આજ્ઞા માનતી રાણીએ આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો ત્યારે નદીએ રાણીની ઇચ્છા મુજબ બ્રહ્મચર્યની વાત વધાવવા રસ્તો કરી આપ્યો. બ્રહ્મજ્ઞાન વડે નિરીહપણાથી જીવતા રાજાએ અંતે સંસારત્યાગની ભાવના રજૂ કરતાં જ રાણીએ પણ વિશ્વાસપૂર્વક પતિદેવની પવિત્રતા પીછાણી પ્રવ્રયાપંથ પસંદ કરી લીધો.
(૮) મંત્રી શાસ્તુ –ધીર-ગંભીર અને શાસનપ્રેમી મંત્રીવરોમાં જેનું નામ–કામ ગણાય છે, તેઓએ જાતીય વાસનાના વિકારવમળના મળનો ત્યાગ કરાવવા શાંતુવસહી નામના જિનમંદિરની બાજુમાં જ વેશ્યાને વશ થયેલ જૈન મુનિને નજરે દેખ્યા છતાં પણ હલકા ન ચીતર્યા. સ્પષ્ટ દૃષ્ટિપાત પછી મૌનની ભાષામાં જ મુનિરાજને મોહરાજાથી ચેતવવા ઇશારો માત્ર કર્યો, જે મૌન મુનિવરને સદાય માટે સતાવી ગયું. પોતાના પાપને જાણનાર છતાંય કશુંય ન કહેનાર મંત્રીરાજની મર્યાદા જાણી મુનિશ્રીને ભારોભાર પ્રાયશ્ચિત્ત થયું. ફરીવાર સંયમનો સ્વીકાર આO હેમચંદ્રસૂરિજી પાસે કરી તપ વડે કાયા ઓગાળી સિદ્ધાચલજીનું શરણું લીધું ને ગૃહસ્થ છતાંય શાંતુ મંત્રીને મનોમન ગુરુ માન્યા. બાર વર્ષ પછીની મુલાકાત વખતે જ્યારે મુનિરાજે મંત્રીને મહાન ઠેરવ્યા ત્યારે વિઝમ મંત્રીએ પોતાની જાતને સાવ તુચ્છ દર્શાવી, સાધુપદને જ મહાન ઠેરવ્યું.
(૯) આદર્શ પાત્રો –આવા તો અનેક ગૃહસ્થોએ શાસનનું ગૌરવ વધાર્યું છે, જેમાં સેવચંદ શેઠ, સોમચંદ શેઠ, ઉજમશી ફઈ, વસુમતી ભાવસાર, મોતીશા શ્રેષ્ઠિ વગેરેનાં નામ-કામ અર્વાચીન પાત્રો તરીકે વર્ણવાય છે. તેમ જ ભરફેસરની સજઝાયમાં ગવાતા આદર્શ પુરુષ-સ્ત્રીઓનાં જીવન-કવન પણ ઉચ્ચ માર્ગદર્શન કરાવે તેવા ઉમદા રહ્યા છે.
જીવન જેનાં ઉપવન જેવાં, સુમન સમા ગુણો છે જેમની પ્રભા; જિનશાસનની તેઓ જ છે આભા, શોભા અને પ્રતિભા. સજ્જન, મહાજનથી પણ મૂઠી ઊંચેરા વ્રતધારી જૈન નબીરા.... ચાંદી-સોના ને વિવિધ ધાતુઓથી મૂલ્યવાન છે સાચા હીરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org