________________
દેખીતું છે. અઢી હજાર કરતાં વધુ વર્ષથી ચાલી આવતી આપણી આ ગૌરવવંતી પરંપરામાં પ્રત્યેક જમાને કેટકેટલાં નરરત્નો સમાજે જોયાં હશે કે જેના વિશે આપણને કશી ખબર નથી. કાળના પ્રવાહમાં કેટકેટલી વાતો સદાને માટે વિલીન થઈ ગઈ છે! આમ છતાં જેમનાં નામ અને કામ લોકજીભે સચવાઈ રહ્યાં છે અને જેમના વિશે કેટલીક માહિતી પ્રકાશિત થઈ છે તે બધી એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે તો જૈન - જૈનેતર એવા અનેક લોકોને જૈન શાસનના તેજસ્વી તારલાઓનો સુંદર પરિચય મળી રહે. છેલ્લા એક-દોઢ સૈકામાં નાની-નાની પુસ્તિકારૂપે કે છૂટક ગ્રંથો રૂપે એવું ઘણું કાર્ય આ વિષયમાં થયું છે. એ બધાનો લાભ શ્રી નંદલાલભાઈને આ ગ્રંથમણિ તૈયાર કરવામાં મળ્યો છે. એટલે જૈન પ્રતિભાવંત વ્યક્તિઓ વિશે એક કોશરૂપ ગ્રંથ આપવાનું શ્રી નંદલાલભાઈનું સ્વપ્ર સાકાર થયું છે એ જોઈને અત્યંત હર્ષ થાય છે અને આ ગ્રંથની ઉપયોગિતા અને મૂલ્યવત્તા તો આ ક્ષેત્રમાં પડેલા માણસોને સવિશેષ સમજાય એમ છે.
જૈન શાસનમાં ચતુર્વિધ સંઘનો મહિમા ઘણો મોટો છે અને સાધુ-સાધ્વી ઉપરાંત શ્રાવક-શ્રાવિકાની પરંપરા પણ ગૌરવવંતી રહી છે. આ પરંપરાની મહાન ધુરંધર વ્યક્તિઓ વિશે આ ગ્રંથ તૈયાર કરવા માટે શ્રી નંદલાલભાઈએ વિશાળ ફલકનું આયોજન કર્યું છે. અલબત્ત, એમાં ચારે ફિરકા લેવા જતાં તો વાતનો પાર આવે નહિ. એટલે કેટલીક મર્યાદામાં રહીને છેલ્લા એક બે સૈકામાં જ નહિ, પણ અઢી હજાર વર્ષમાં થયેલાં અને એથી પણ પૂર્વના સમયનાં પ્રતિભાવંત, ઉદાહરણીય, અનુકરણીય શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કાર્યની રસિક રૂપરેખા આ ગ્રંથમાં આપવામાં આવી છે. એ માટે જ્યાં જ્યાંથી પ્રકાશિત કે અપ્રકાશિત એવી જે કંઈ માહિતી ઉપલબ્ધ થઈ શકી હોય તે બધી આ ગ્રંથમાં સમાવિષ્ટ કરી લેવામાં આવી છે. એ માટે તૈયાર લખાણો સંકલિત કરવા ઉપરાંત ભિન્ન ભિન્ન લેખકો દ્વારા એમણે નવેસરથી કેટલુંક લખાણ કરાવ્યું છે. આટલું બધું કામ કરવા માટે પુષ્કળ સમય જોઈએ અને સાથે સાથે ધીરજ અને ખંત પણ જોઈએ. વળી લેખકોનો અને અન્ય વ્યક્તિઓનો સહકાર પણ જોઈએ. એ બધાં માટે શ્રી નંદલાલભાઈ આવાં મોટાં પ્રકાશનનાં કાર્યો કરવામાં સિદ્ધહસ્ત અનુભવી છે.
આ ગ્રંથ પર નજર ફેરવતાં જોવા મળે છે કે જૈન નરનારી રત્નોએ કેવાં કેવાં ક્ષેત્રોમાં પોતાના ધર્મને સાચવીને, આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણનું અતિપ્રશસ્ય કાર્ય કર્યું છે. જિનમંદિરનું નિર્માણ, જિનમંદિરનો જીર્ણોદ્ધાર, યાત્રાસંઘોનું આયોજન, સાધર્મિક ભક્તિ, સાહિત્ય સેવા, જ્ઞાનભંડારો, તપશ્ચર્યા, ધર્મપ્રચાર, સંઘરક્ષા, દુષ્કાળ આદિમાં રાહતકાર્યો ઈત્યાદિ પ્રકારનાં ક્ષેત્રોમાં યશસ્વી યોગદાન આપનાર રાજાઓ, રાજ્યમંત્રીઓ, મંત્રીપુત્રો, શ્રેષ્ઠીઓ, સારસ્વતો વગેરેએ સુયોગ્ય નેતૃત્વ ધારણ કરી પોતપોતાના ક્ષેત્રમાં જૈન શાસનને સુયોગ્ય દોરવણી આપી છે અને સંઘની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. આ બધા મહાનુભાવોની | યાદી એટલી મોટી અને મહિમાવંતી છે કે એમાંથી કોઈ બે પાંચનાં નામ અહીં લખવા જતાં અત્યંત મૂંઝવણ અને સંકોચ થાય છે. સુજ્ઞ વાચકો આ ગ્રંથમાં અપાયેલા જીવનચરિત્રોની માત્ર નામાવલિ જ વાંચી જશે તો પણ એમને આ વાતની તરત પ્રતીતિ થશે.
આ નામાવલિ સંપૂર્ણ છે? ના, એમ સંપૂર્ણ થઈ શકે નહિ. કેટકેટલી એવી વ્યક્તિઓ ભૂતકાળમાં થઈ ગઈ હશે જેમના વિશે આપણને કશી જ ખબર નથી. ઇતિહાસમાં એમનો નામોલ્લેખ સુદ્ધાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org