________________
૩% હ શ્રી પદ્માવતી દેવ્ય નમઃ
પંચેન્દ્રિયગમ્ય આ વિરાટ વિશ્વમાં મનુષ્ય હવે ભૌતિક સુખમય જીવનનાં ઉચ્ચતર શિખરોની પગથારે આવીને ઊભો છે. હવે માત્ર આ પૃથ્વીના અંતેવાસી બની રહેવાને બદલે અસીમ અવકાશ ગ્રહમાળાના ચન્દ્ર-મંગળ જેવા ગ્રહોની યાત્રાએ જવાની તૈયારીઓના પૂર્વરંગ આરંભી તેણે અપૂર્વ વિકાસ અને મહાબુદ્ધિમાની અંગેની સાબિતી આપી દીધી છે. માનવીએ અમાપ બુદ્ધિબળ જરૂર કેળવ્યું છે ખરું; પણ જીવનનું આ દુષ્કર ચઢાણ એમ જરૂર સૂચવે છે, કે આવું બુદ્ધિ-કૌશલ્ય આધિભૌતિકની યાત્રાનું માત્ર પૂર્ણવિરામ નથી .... માનવીએ એથી પણ ઉચ્ચતમ મુક્તિના કોઈ દિવ્ય માર્ગે આગળ ધપવાનું છે.
ભૌતિક જગતમાંથી માનવીએ હવે અલ્પવિરામ મૂકવું જ પડશે અને આધ્યાત્મિક માર્ગે પ્રયાણ આદરવું જ પડશે. કારણ કે આ શરીરની વિશિષ્ટ રચનામાં તો એ હવે આગળ કશું કરી શકે તેમ લાગતું નથી. મૃત વ્યક્તિને પુનર્જીવિત કરવાની વાત તો દૂર રહી, પણ માનવશરીરમાં સતતપણે ગતિમાન રક્ત પણ, વિજ્ઞાનની વિકાસયાત્રાના ગગનભેદી નારા ગજવવા છતાં પણ, બનાવી શકાયું નથી. તેથી જ મનુષ્યનો હવે પછીનો વિકાસ તેના આત્માના અનુભવની દિશામાં જ થવો જરૂરી છે અને તે શક્ય અને સરળ પણ છે. આત્મોન્નતિના ઉદયની આ વાત કંઈક વાસ્તવિક લાગતી હોય તો માણસની બુદ્ધિને એકાગ્ર કરી તેમાંથી જ જ્ઞાન સંપદાનો પ્રકાશ અને પ્રબળ પ્રતિભાનું તેજ પ્રગટ કરવાની તાતી જરૂરત છે. એ વાત પણ એટલી જ સાચી છે, કે આંતરિક અખૂટ શક્તિના સામર્થ્યવિના જીવનની પરમ માંગલિકતાને માણી શકાતી નથી. આવો, આ ચિંતનયાત્રામાં આગળ વધીને કંઈક જાણવાનો પ્રયત્ન કરીએ.
જીવન-માંગલ્ય
જૈનદર્શનના મતે, આત્મામાં પડેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર્ય, અનંતવીર્ય-બળ જેવા સ્વભાવગત ધર્મો છે. તેનો અનુભવ થવામાં જન્મ-જન્માંતરનાં કર્મો-પુદ્ગલોનાં આવરણો અવરોધક છે. તે દૂર કરી, કર્મોની નિર્જરાના હેતુરૂપ, ઉપસર્ગોથી થતા કર્મોને ઉપશાંત ભાવે અર્થાત વીતરાગ ભાવે ખપાવવા અને નવાં કર્મબંધનો ન થવા દેવામાં સદાય ઉપયોગશીલ રહેવું એ જ માત્ર તરણોપાય છે.
જૈન દર્શનના ચિંતન કે અન્ય દર્શનોએ વર્ણવેલા મુક્તિના ખ્યાલ અંગે પરસ્પર વિચારભેદ જરૂર હોઈ શકે છે; પરંતુ જૈન દર્શનના પાયાના સિદ્ધાંત સ્યાદ્વાદે તો આવાં અલગ-અલગ મંતવ્યોને અનેક ઉદાહરણો દ્વારા સાપેક્ષ ભાવે સન્માન આપ્યું છે, અનેકાન્તદૃષ્ટિથી સુભગ સમન્વય કર્યો છે. આ મુક્તિના મુકામે પહોંચી શકાય તેમાં જ માનવ-અવતારનું સાર્થક્ય ગણ્યું છે. એ જ જીવનસાફલ્યની પારાશીશી ગણાઈ છે. મુક્તિના એ દ્વારે ન પહોંચી શકાય, તો પછી ભલે આપણે ધનસંપત્તિના ઢગ ખડક્યા હોય, ભૌતિક જગતની ગગનચુંબી મહેલાતો ઊભી કરી હોય કે અણુબૉમ્બ જેવા મહાવિનાશક ઘાતક શસ્ત્રોનું સર્જન કરીને સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વને ભયમાં મૂકી શકતા હોઈએ એ સંભવિત છે, પણ માણસરૂપે તો આપણે સદંતર નિષ્ફળ ગયા છીએ. અર્થાત એ કક્ષાના આપણા જેવા વામણા માનવોને કોઈ મહાક્રૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org