________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૮૨૦
કહેવાનો ભાવાર્થ સમજી શક્યો નહોતો. તેના સહકર્મીઓ પણ તેને તેનો અર્થ સમજાવી શક્યા નહોતા–પણ એક સમયે રેલવેમાં કામ કરતો એ કિશોર આજે સપના બુક હાઉસના ચેરમેનપદે વિરાજે છે ત્યારે તેને તેનો અર્થ પૂરેપૂરો સમજાઈ ગયો છે. વાત, સપના બુક હાઉસના ચેરમેન શ્રી સુરેશભાઈ સી. શાહની છે. તેમનો જન્મ મુંબઈના ઘાટકોપરમાં થયો હતો. સામાન્ય પરિવારના સભ્ય. કૌટુંબિક પરિસ્થિતિને કારણે માત્ર એસ.એસ.સી. સુધી જ અભ્યાસ કરી શક્યા, પણ તેઓ આજે લીમકા બુક ઓફ રેકોર્ડીસ દ્વારા પ્રમાણિત ભારતના સૌથી મોટા બુક સ્ટોરના માલિક તરીકેનું ગૌરવ અનુભવે છે. સ્વયં ભલે ભણી ન શક્યા, પણ અન્ય લોકોની જ્ઞાન-પિપાસા સંતોષવામાં તેઓ નિમિત્ત બન્યા છે, તેનો તેમને સંતોષ છે.
પરિવારમાં તેઓ સૌથી મોટા પુત્ર હતા. તેમને અભ્યાસ છોડીને નોકરીમાં જોડાવું પડ્યું. પિતાજીનું રૂની દલાલીનું કામ હતું, પણ સુરેશભાઈને તેમાં રસ ન હતો, એટલે તેઓ પોકેટ બુકનું વિતરણ કરતી કંપનીમાં જોડાયા. પોતાની કુનેહ અને નિષ્ઠાથી તેમણે કંપનીને ઘણો લાભ કરાવ્યો. પોતાની લગન, નિષ્ઠા અને ધગશથી તેઓ ક્લાર્કમાંથી સહાયક–મેનજર તરીકેના પદ સુધી પહોંચ્યા. મદ્રાસમાં સહાયક મેનેજર તરીકે તેમણે વિક્રમ સર્જક વેચાણ કર્યું. તેનાથી પ્રેરાઈને કંપનીએ બેંગ્લોરમાં શાખા ખોલી અને સુરેશભાઈને ત્યાં મેનેજર તરીકે મોકલ્યા. સુરેશભાઈએ ત્યાં પણ ખૂબ જ સુંદર વેચાણ કરીને માલિકોની પ્રશંસા મેળવી. અહીં તેમને સારો પગાર મળતો હતો, પરંતુ પત્ની ભાનુમતીબહેને તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા આપી. પત્નીને સુરેશભાઈની ક્ષમતા અને વૃદ્ધિમાં પૂર્ણ વિશ્વાસ હતો. સુરેશભાઈએ પત્નીના સતત આગ્રહ અને પ્રેરણાને વશ થઈ વીવીપુરમમાં જનતા હોટલ પાસે એક નાની ઓરડી ભાડે લીધી ને ત્યાં પોતાની સર્વ પ્રથમ પુસ્તકની દુકાન શરૂ કરી. તે દિવસોને યાદ કરીને સુરેશભાઈ જણાવે છે કે, “......મારી પત્નીએ સંઘર્ષભરી પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો અને મને આગળ વધવાની પ્રેરણા અને શક્તિ આપ્યાં હતાં. નહીંતર, હું તો એક નોકરિયાત માણસ હોત. મને આનંદ છે કે આજે હું ૩૦૦ માણસોને રોજગાર આપી રહ્યો છું.”
સુરેશભાઈએ પછી ગાંધીનગરમાં પોતાની દુકાનનું સ્થળાંતર કર્યું. સખત પરિશ્રમ કરીને અને નવીનવી યોજનાઓ અમલમાં મૂકીને તેમણે પોતાનો વ્યવસાય વિકસાવ્યો.
સપના બુક હાઉસનો આરંભ ૧૦૦ પુસ્તકો સાથે
૧૯૬૭માં થયો હતો. પછી ધીમે ધીમે પરિસ્થિતિનો સામનો કરતાં રહીને તેઓ વિકાસ સાધતા રહ્યા. સુરેશભાઈની ઇચ્છા મહાન કન્નડ-પ્રકાશક થવાની હતી. તેઓ હંમેશાં પોતાને કન્નડીગ ગણે છે અને કન્નડ ભાષાના પ્રેમને કારણે તેઓ કન્નડ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરતા રહ્યા. આજે સપના માટે કન્નડ સાહિત્યનાં પુસ્તકોનો સૌથી મોટો ભંડાર ઉપલબ્ધ છે. તેમને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી શિવરામ કાપંથ જેવા ટોચના લેખકોનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. પરિણામે સપના બુક હાઉસ આજે કન્નડ ભાષાના પુસ્તક પ્રકાશન ક્ષેત્રે રાજા ગણાય છે. તેઓ વિખ્યાત કન્નડ લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કરે છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ કન્નડ પુસ્તકોનું પ્રકાશન તેઓએ કર્યું છે. તેઓ આજે દરરોજનું એક પુસ્તક પ્રગટ કરે છે, જે એક વિક્રમ છે. તેઓ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીમાં પણ પુસ્તકો પ્રકાશિત કરે છે.
પિતાને પગલે હવે પુત્રો-સર્વશ્રી નીતિન, દીપક અને પરેશ વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. પુત્રોના સંચાલન નીચે સપના વિસ્તરતું જાય છે. તેઓ નવા-નવા વિચારો અને ટેક્નિક દ્વારા વેચાણ વધારતા જાય છે. હવે તો ઓનલાઇન વેચાણ પણ થાય છે. આજે સપના બેંગ્લોરમાં ગાંધીનગર, સદાશિવનગર અને જયનગરમાં ત્રણ શો રૂમ ધરાવે છે. તેઓ ટૂંક સમયમાં ઈદિરાનગર અને મૈસૂરમાં પણ શોરૂમ શરૂ કરશે.
સુરેશભાઈએ આટલી વિશાળ સફળતા મેળવ્યા પછી પણ સાદગી અને નમ્રતાને વરેલા છે. તેઓ ઉદારમને શિક્ષણ તથા વિવિધ સેવાકાર્યોમાં દાન આપતા રહે છે. સુરેશભાઈ સી. શાહે પોતાની આવી યશસ્વી સફર દરમ્યાન વિવિધ પુરસ્કારો પણ મેળવ્યા છે. જેમ કે –
* કર્ણાટક રાજ્યોત્સવ એવોર્ડ, ૧૯૯૧-૯૨.
* કન્નડ ભાષામાં ઉત્તમ પ્રકાશન માટે કન્નડ પુસ્તક પ્રાધિકાર, કર્ણાટક રાજ્ય તરફથી શ્રેષ્ઠ પ્રકાશક તરીકેનો પુરસ્કાર
કે ફેડરેશન ઓફ પબ્લિશર્સ એન્ડ બુકસેલર્સ એસોસિએશન, નવી દિલ્હી તરફથી દક્ષિણ ભારત માટે શ્રેષ્ઠ પુસ્તક વિક્રેતા તરીકેનો એવોર્ડ.
* ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક સ્ટડીસ, નવી દિલ્હી, તરફથી ઉદ્યોગ રત્ન એવોર્ડ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org